મુંબઈમાં સિનિયર સિટીઝન માટે ફર્સ્ટ પિઝા મેકિંગ વર્કશૉપ તે પણ કાંદિવલીમાં, જાણો વિગતો
વિકેન્ડના આયોજનમાં એક સ્વાદિષ્ટ અનુભવ માટે ભારતના ૬૦+ સમુદાય માટે સમર્પિત જીવનશૈલી પ્લેટફોર્મ, GenS Life દ્વારા શનિવાર, ૧૪ જૂન ૨૦૨૫ ના રોજ પિઝેરિયાના કાંદિવલી આઉટલેટ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક વિશિષ્ટ પિત્ઝા મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ ખાસ અનુભવ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે, જેમાં ભાગ લેનારને પિત્ઝા ડોવ રોલ કરવાની, તેમના ટૉપિંગ્સ પસંદ કરવાની, બેક કરવાની અને પોતાના હાથથી બનાવેલા પિત્ઝાનો આનંદ માણવાની તક મળશે - આ બધું પ્રોફેશનલ શૅફના એક્સપર્ટ માર્ગદર્શન હેઠળ. માત્ર ૧૨ સીટ માટે મર્યાદિત, આ ઇવેન્ટ ફક્ત ૬૦ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ ખુલ્લી છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક, આકર્ષક વાતાવરણ સુનિશ્ચિત કરે છે. GenS Life ના સ્થાપક મીનાક્ષી મેનને જણાવ્યું હતું કે, “GenS Life માં, અમે માનીએ છીએ કે નવા અનુભવો શોધવા માટે ઉંમર કોઈ અવરોધ નથી. આ વર્કશોપ ફક્ત પિત્ઝા વિશે નથી - તે આનંદ, કનેક્શન અને કોઈપણ ઉંમરે કંઈક નવું શોધવાની સ્વતંત્રતા વિશે છે. વર્કશૉપ વિગતો: ? સ્થળ: 14°41° પિઝેરિયા, કાંદિવલી ? તારીખ: શનિવાર, 14 જૂન 2025 ⏰ સમય: સાંજે 4 થી સાંજે 6 વાગ્યા સુધી ?️ ટિકિટ કિંમત: બિન-સભ્યો માટે રૂ. 1799 | GenS Life ના સભ્યો માટે રૂ. 1299 ? ₹1000 (સ્થળ પર ચૂકવવાપાત્ર બેલેન્સ) સાથે પૂર્વ-નોંધણી જરૂરી છે. સ્થળ પર કોઈ બુકિંગ નહીં થાય. નોંધણી હવે GenS Life અને 14°41° પિઝેરિયાની સત્તાવાર સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા ખુલ્લી છે. રસ ધરાવતા સહભાગીઓ સાઇન અપ કરવા માટે 'લિંક ઇન બાયો' પર ક્લિક કરી શકે છે. (ધ્યાન આપો: આ એક Paid વર્કશૉપ છે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો તેમાં કોઈ સહભાગ નથી)
read more
શનિવારે 'ઝરૂખો'માં શ્રાવણનો પાઠ 'અને નદીષ્ટ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, 'અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.' લાઓ ત્ઝુએ કહ્યું છે, 'પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે' પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે. ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ. હિતેશ પંડ્યા શનિવાર ૭મી જૂને, સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ, પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, 'શ્રાવણનો પાઠ' અને 'નદીષ્ટ' સાથે ભાવકોને પરિચય કરાવશે. ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ 'શ્રાવણનો પાઠ'( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે. બીજું પુસ્તક છે 'નદીષ્ટ'- મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન) બાદલ પંચાલ યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. પુસ્તકોનાં મુખપૃષ્ઠ સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.
read more
કલાગુર્જરી અને મા આનંદમયી ફાઉન્ડેશન દ્વારા કવિસંમેલન સંપન્ન
કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) તથા 'મા' આનંદમયી ફાઉન્ડેશન (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે 'કવિતાનો કંસાર' કાર્યક્રમ તા.૩૧/૦૫/૨૦૨૫ શનિવારે સંપન્ન થયો. સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલા મા. મંત્રી પ્રણવ ભગત અને અન્ય સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સર્વ કવિઓનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. કવિયત્રી શિલ્પા શેઠ (શિલ્પ), કવિ સુરેશ ઝવેરી (બેફિકર), ચેતન ફ્રેમવાલા, જયેશ ભટ્ટ, દિલીપ શ્રીમાળી, રાજેશ હિંગુ, ધાર્મિક પરમારે વિવિધ વિષયો ઉપર સુંદર રચનાઓ રજુ કરી શ્રોતાઓ ને રસતરબોળ કરી નાખ્યા હતા. કાર્યક્રમનું રચનાત્મક રીતે સંચાલન તેજસ દવેએ કર્યું હતું. વિવિધ કવિઓની રચનાઓનો તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. વિનય પાઠક દ્વારા કાર્યક્રમની રૂપરેખા બાંધવામાં આવી હતી. હાજર રહેલા સર્વ સાહિત્ય પ્રેમી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી સર્વે કવિઓની રચનાને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ હેમાંગ જાંગલાએ સર્વે કવિઓનું સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આવા સફળ કાર્યક્રમના આયોજન બદલ તેજસ દવેએ હેમાંગ જાંગલાનો આભાર વ્યક્ત કર્યો હતો.
read more
મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશન દ્વારા કરિયર માર્ગદર્શન શિબિર યોજાશે
શું તમને પણ થાય છે ને કે What next after 10th / 12th / Graduation? હાલમાં જ આપ સૌ વિદ્યાર્થીમિત્રો વિવિધ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છો તે બદલ હાર્દિક અભિનંદન. આ સાથે કારકીર્દીના ઘડતર માટે શું નિર્ણયો લેવા તેની થોડી ચિંતા પણ હશે. ધોરણ ૧૦ પાસ થયા પછી Arts, Science કે પછી Commerce શું લેવું? ધાર્યા પ્રમાણે ટકા ન આવ્યા તો શું થયું? કયા વિષયો લઈ આગળ ભણતર કરવું? આના વિશે વિદ્યાર્થી અને વાલીઓને પૂર્ણ જ્ઞાન કે માર્ગદર્શન હોતું નથી. પરિણામે અડોશ-પડોશમાં કે મિત્રોને પૂછીને ભવિષ્યના નિર્ણયો લેવાતા કોય છે જે આગળ જતા ઘણી વખત ખોટા પુરવાર થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા કરિયર માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીરમાં શ્રી. હિરેન પાસડ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટેના વિવિધ વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન શનિવાર તા. ૩૧.૦૫ ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ કલાકે એ-ર હૉલ ખાતે આપવાના છે. શ્રી હિન પાસડ જેઓ મોટીવેશનલ સ્પીકર અને કારકિર્દી માર્ગદર્શક તરીકે કાર્યરત છે તેમજ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે આ શિબીરમાં સમસયર ઉપસ્થિત રહી તમે તમારા પ્રશ્નોને/મૂંઝવણોનું નિરાકરણ કરશો. કરિયર માર્ગદર્શન શિબીરના આયોજન મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. સમય : શનિવાર તારીખ ૩૧.૦૫.૨૦૨૫ રોજ સાંજે ૫.૦૦ કલાકે સ્થળ : એ-ર સભાગૃહ, મહાલક્ષ્મી નવરંગ, ડૉ. આંબેડકર નગર, એ. કે. રાઠોડ માર્ગ, મહાલક્ષ્મી, મુંબઈ ૪૦૦ ૩૪. ખાસ નોંધ : ૧) વિદ્યાર્થી મિત્રોને પોતાના વાલીઓને સાથે લાવવા વિનંતી. ર) નોંધ કરવા પોતાના સાથે એક નોટબુક પેન લાવવી જરૂરી છે. આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિ-૧૦ અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત વિ-૦૯એ સાથ આપ્યો છે.
read more
વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી
આજે તા.૧૦ મે ૨૦૨૫ની લેખિનીની માસિક સભા અમારાં સહુ માટે ખાસ બની રહી. આજના અજેન્ડામાં, વિષય હતો, સ્વરચિત વાર્તા પઠનનો અને લેખિનીની કાર્યકારી સમિતિની બે સુજ્ઞ સખીઓ, વર્ષાબહેન તન્ના અને કામિનીબહેન મહેતાએ મળીને લખેલી નવલકથા 'ઝંખના એક ક્ષણની' પુસ્તકનાં લોકાર્પણનો. જે આદરણીય કનુભાઈ અને ડૉ.સુશીલાબહેનનાં હસ્તે સંપન્ન થયું તેનો આનંદ. તદ્ઉપરાંત આજની સભા વિશિષ્ટ એ માટે રહી કારણ કે આદરણીય કનુભાઈ તેમ જ ડૉ.સુશીલાબહેનના વરદ હસ્તે લેખિની સંસ્થા-મુંબઈના પ્રાણ સમાન સહુનાં લાડીલાં પ્રીતિબહેનનું બહુમાન કરવામાં આવ્યું. આ સુખદ ઘટનાનાં સાક્ષી બનનાર અમ સહુના ચહેરાનો રાજીપો શબ્દાતીત હતો. પ્રીતિબહેન એટલે લેખિની અને લેખિનીનું નામ લેતા પ્રીતિબહેનનો ચહેરો જ નજર સમક્ષ તરવરી ઉઠે એટલી હદે તેઓ સંસ્થાને સમર્પિત છે. સહુને સાથે લઈને ચાલનારાં પ્રીતિબહેન લેખિનીઓનાં પ્રેરણાસ્રોત બનતાં રહ્યાં છે. કોઈએ ઓછું લખ્યું, સારું લખ્યું કે મધ્યમ લખ્યું હોય બસ કલમની ધાર નીકળતી રહે એ રીતે સહુને પ્રોત્સાહિત કરતાં રહે છે. કનુભાઈએ પ્રીતિબહેનની કર્તવ્યનિષ્ઠતાને બિરદાવતા કહ્યું કે એમને જ્યારે જ્યારે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે તેઓ શતપ્રતિશત પાર ઉતર્યાં છે. સાહિત્ય સંસદની હોય, લેખિની સંસ્થાની હોય, પારિવારિક હોય કે અન્ય કોઈપણ, તેઓએ દરેક ફરજ સારી રીતે નિભાવી છે. પ્રીતિબહેનના કહેવા પ્રમાણે આદરણીય કનુભાઈ અને સુશીલાબહેન તો તેમનાં દત્તક માવતર છે. ત્યાં પણ દીકરી તરીકેની ફરજ બજાવવામાં ઊણાં નથી ઉતર્યાં. આવો મોકો જવલ્લેજ મળે કે આપણી ગમતી વ્યક્તિને પોંખાતી જોઈ શકીએ. આ પ્રસંગે આભાર વિધિ કામિનીબહેન મહેતાએ કરી અને સભાનું સમાપન કર્યું હતું. ડો.સુશીલાબહેને કહ્યું કે હું બે શબ્દ બોલીશ નહીં પણ લખીને આપીશ. અમે તેની રાહમાં... અંતે સેવપુરી, પેંડા અને ચા-કૉફીને ન્યાય આપી ફરીને મળવા માટે વિદાય તો લેવી જ પડી... (અહેવાલ - મીનાક્ષી વખારિયા)
read more
બોરીવલીમાં કન્વેનશન સેન્ટર તોડાયું
બોરીવલીના કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટરમાં જ્યાં શુભ પ્રસંગો યોજાતા હોય છે તે આજે ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ કરાયું ત્યારે એસી કોન્વોકેશન સેન્ટરમાં કોઈના પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી.જો કે ઇવેન્ટ મેનેજરે તાત્કાલિક તેમને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપી હોવાનું બહાર આવ્યું હતું. કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટર એક ભવ્ય એસી હોલ અને વ્યવસ્થા વાળું ઇવેન્ટનું સ્થળ હતું.
read more
કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આ વર્ષે પણ ૧૦૦ ટકા
પાંચમી મેના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ઉચ્ચ માધ્યમિક બોર્ડનું ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગનું પરિણામ જાહેર થયું. મુંબઈ વિભાગનું પરિણામ 91% આવ્યું છે. તેમાં મુંબઈની નામાંકિત કોલેજોમાં કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આગામી વર્ષે પણ 100 ટકા આવ્યું છે. કોમર્સનાં 1405 વિદ્યાર્થીઓ અને આર્ટ્સનાં 170 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી. ગત વર્ષે કોમર્સ વિભાગમાં 1366 વિદ્યાર્થીઓ અને આર્ટસમાં 147 વિદ્યાર્થીઓ હતા અને 100 ટકા પરિણામ હતું. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર રાજ્યની સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે મેળવનાર આ એકમાત્ર સંસ્થા બની છે. આગામી વર્ષે એકાઉન્ટન્સી વિષયમાં 3 વિદ્યાર્થીઓ અને OCM વિષયમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાને છે. તે ઉપરાંત અન્ય વિષયો અને ભાષામાં 95થી વધુ માર્ક્સ સાથે સફળતા મેળવી છે. કોલેજમાં ડીસ્ટિંગસન તથા પ્રથમવર્ગમાં સફળતા મેળવનાર નો આંકડો ઉચો છે. કોલેજમાં શિક્ષણમાં ગુણાંક સાથે આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય એ પ્રયત્નો સતત રહ્યા છે. સંસ્થાની ઝળહળતી ફતેહ માટે આચાર્યા ડો. લીલી ભૂષણે શિક્ષકોને અઢળક અભિનંદનથી વધાવ્યા. આચાર્યા ડો લિલી ભૂષણ સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપે છે. ઉપાચાર્ય શ્રી રાજીવ મિશ્રા તેમજ સુપરવાઈઝર સિમ્મી ધવનનું માર્ગદર્શન રંગ લાવ્યું. સંસ્થાના સંચાલકોએ પ્રસન્નતાપૂર્વક આ સફળતાને સહર્ષ વધાવી છે. અને સંસ્થાના પ્રમુખ શ્રી મહેશ શાહે સર્વ શિક્ષકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે શિક્ષકોની અથાગ અને સ્માર્ટ કામની પદ્ધતિએ સતત સફળતાનો આંક ઉચ્ચ રાખ્યો છે. એકમાત્ર 100% પરિણામની કોલેજ છે. આ સંસ્થાને અભિનંદન
read more
'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી
'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી'જીવનમાં ખાટાં, મીઠાં અને તૂરાં સિવાયનાં અન્ય રસનાં સંસ્મરણો પણ હોય છે - દિનકર જોષી લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે, એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે કેમકે એમાં સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે. ' નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ ' મને સાંભરે રે ' કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી.એમણે એ સાંજે દરેક વક્તાએ પોતાનાં સંસ્કારની વાતો કરી એની પણ નોંધ લીધી. મીનાક્ષીબેને મનભર, રસભર સુક્ષ્મતાથી સ્મરણો લખ્યા છે કહી એમણે ઉમેર્યું, 'હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે.સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.' વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા. ' ક્યારેક જૂઠું બોલવું પડે 'કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ ૮૮ વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ,ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે. લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યું.વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ વિચારબીજ આપ્યું કે ત્રણ વરિષ્ઠ કલાકાર કે લેખિકા પોતાના બાળપણનાં સારાં માઠાં પ્રસંગોની વાત કરે. કેઈએસ ગુજરાતી ભાષાભવનના નેજા હેઠળ, ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે માતાની સ્મૃતિને ભાવકો સુધી વિસ્તારવાનો ઉપક્રમ તો ખરો જ પણ સાથે સાથે મીનાક્ષીબહેનના બે પુસ્તકો ' અંજની, તને યાદ છે? ' અને 'ઘેરે ઘેર લીલાલહેર ' પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. 'મને સાંભરે રે ' એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જાણીતા કવિ સંગીતકાર નિનુ મજૂમદારના દીકરી છે અને એક ઉત્કૃષ્ટ કલાકાર છે એવો સંજય પંડ્યાએ પરિચય આપી નિનુ મજૂમદારના સ્વરાંકનવાળા ' ગોપીનાથ ' ફિલ્મના ગીત વિશે અને નિનુભાઈની ખેલદિલી વિશે વાત કરી. મીનળબહેને બાળપણનાં સ્મરણોને યાદ કર્યાં. તેમણે કહ્યું, ' મારાં એક ફોઈ હતાં. દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે. મારા પપ્પા અમને લઈને જાય. હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું.. પ્રલય થયો.પ્રલય થયો.ચાર વર્ષની છોકરીને દરિયો શું એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.' મીનળબહેન કહે છે, ' મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા.કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. એક વાત સત્ય છે કે જાતે તોડીને , છુપાઈને ખાવાની જે મજા આવે એ મજા ખરીદીને ખાવામાં ન આવે.પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું. એ ચાલી છુક છુક આગગાડી,કદી સીધીને કદી આડી.... અને એ ગીત ગાયા પછી આપણે હિરોઈન થઈ ગયાં.' આવી અનેક યાદોને તાજી કરતાં છેલ્લે કહ્યું , 'એક છોકરો ખૂબ ચાંપલો હતો. એકવાર મને ગુસ્સો આવતાં એને ધડાધડ ચોડી દીધી.' નિનુભાઈના સ્વરાંકન'આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી, બલીબલી જાયે જશુમતી મૈયા' નો રાજકપુરે' સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો એનો ઉલ્લેખ પણ એમણે કર્યો. ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કહ્યું 'શૈશવની પગલીઓમાં જંબુસર ગામની થોડી ધૂળ છે તો મુંબઈનાં પરાં વિસ્તારની થોડી છાપ છે.' તેઓ કહે છે, ' 1955માં મારા પપ્પા વોશિંગ્ટન ગયા હતા. ત્યાંથી મારાં માટે ઢીંગલી લાવ્યાં હતા. મને આપતાં કહ્યું હતું મારી આ ઢીંગલી માટે આ ઢીંગલી છે. તારી સાથે જ રહેશે.તું જે કરીશ એ બધું જ એ કરશે. ને ઢીંગલી મારી અજાયબ દુનિયામાં વણાઈ ગઈ. આજે પણ શૉકેસમાં છે. રેડિયોમાં ગીતો સાંભળતાં પ્રશ્ન થતો જે માને પૂછ્યો કે મા આટલા નાના રેડિયોમાં આટલા બધાં લોકો કેવી રીતે સમાતા હશે ? ' જંબુસર ગામની વાત કરતાં એમણે કહ્યું , ' જંબુસરમાં અમારું નાનું ઘર, ઝાડુવાળો આવે તો બારણાં બંધ કરી દેવાના નહીં તો ઠંડા પાણીએ નહાવું પડે. મારાં વાલીબા કાણ કૂટવા જાય. આવે ત્યારે એમની છાતી લાલ લાલ થઈ ગઈ હોય . મને નવાઈ લાગે ને હું પૂછું ,બા આ શું થયું છે તો કહે કાણ કૂટવા ગઈ તી'ને એટલે ! ' જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર, પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયા કહે છે ,' હું તમને કલકતા લઈ જાઉં છું.બાળપણને જીવવાનો મોકો મિત્રો જ આપે છે.બાળપણાંનાં આ સંભારણા વહેંચવાનો આ પહેલો અવસર છે. મારી મા અમારી પાંચ બહેનોની અને એક ભાઈની ખૂબ કાળજી લેતી. મા આયુર્વેદની એક ઉક્તિ કહેતી ' આંખે ત્રિફળા દાંતે લુણ,પેટ ન ભરીએ ચારે ખૂણ ' 'મને સ્કૂલે જવાનો બહુ કંટાળો આવે. પપ્પા રમણીકભાઈ મેઘાણી મોં જોઈ પૂછે, કેમ બેન સ્કૂલે નથી જવું? હું ના પાડું તો કહે , કઈ વાંધો નહીં .અહીં દુકાનમાં બેસો ને પુસ્તકો વાંચો.અમારાં ઘરે શિવકુમાર ભાઈ આવે ભજન ગાય.બધાં રડે પણ મને રડવું ન આવે. પણ એક સમય એવો આવ્યો કે કોઈપણ સંગીત વાગે મને રડવું આવે.બધાં કહે આના કપાળે તો કૂવો છે!વાર્તા સ્પર્ધા હતી. મારી મા સરસ વાર્તાઓ લખે.મેં એને લખીને મોકલવા કહ્યું.ઈનામની રકમ મળે તો કાર્ડિગન લેવાય.ઈનામ જાહેર થયું બાનું નામ ન જોયું. પૂછ્યું વાર્તાનાં ઈનામમાં તારું નામ નથી! તો બા કહે મેં મોકલી જ નથી. હું નિરાશ થઈ ગઈ, હવે પેલું કારડીગન નહીં લઈ શકાય.' છેલ્લું સંભારણું યાદ કરતાં તરુબહેને કહ્યું ,' મારી બહેનપણી 'છોટી બહેન ' ફિલ્મ જોઈ આવેલી અને એનાં ગીતો એ ગાયા કરે મને ગીતો બહુ ગમ્યાં .મેં પણ કહ્યું મારે' છોટી બહેન 'ફિલ્મ જોવી છે. અમે ગયાં .પિક્ચર પૂરું થયું ત્યાં સુધી એકપણ ગીત આવ્યું નહીં. હું ઊંચીનીચી થાઉં .મેં પૂછ્યું તો ભાઈ કહે ,ઈગ્લીશમાં હતું. પછી ઘરે આવીને ખબર પડી કે કરુણ ફિલ્મ હતી તેથી એ જોવા નોતા લઈ ગયાં પણ ચાર્લી ચેપ્લિનની 'લાઇમ લાઈટ ' જોવા લઈ ગયાં હતાં. ' અગાઉ સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. એમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું. શીઘ્ર કવિ, ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી. કવયિત્રી તથા લેખિની પ્રમુખ પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક 'અંજની તને યાદ છે.'માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કરતાં ,હળવાશથી લઈને કરુણ રસ સુધી ભાવકોને સફર કરાવી. કવિ , નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ 'હળદરની હોળી અને ઓસામણની પિચકારી' રજૂ કર્યો. કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ' ઘેરે ઘેર લીલા લહેર 'માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. એમણે મીનાક્ષીબહેન સાથેની ઉષ્માસભર વાતોનો પણ ઉલ્લેખ કર્યો. મીનાક્ષીબહેનની વખણાયેલી વાર્તા 'હીંચકો' પરથી યુવા નાટ્ય કલાકાર પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ 'હીંચકો' વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી. કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું.હૉલ એ વખતે ભાવકોથી છલકાતો હતો અને વધારાની ખુરસીઓ મંચની આજુબાજુ મૂકાવવી પડી હતી. અંતિમ પડાવ તરફ જતાં દીકરી પૂર્વી દેસાઈએ હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી. પુત્રી સૌમ્યાબહેને ભાવસભર રીતે સહુનો આભાર માન્યો હતો. એક પ્રેમાળ માતા તથા વાચકોમાં અને નારાયણ દેસાઈ, ગુલાબદાસ બ્રોકર તથા ધીરુબહેન પટેલને પણ પ્રિય એવાં લેખિકાને આના કરતાં ઉત્તમ રીતે સંભારી શકાય ખરાં? (અહેવાલ: પૂરક માહિતી સ્મિતા શુકલ)
read more
અમદાવાદમાં ગેમ્સ, ક્વિઝ, ફૂડ મળે તો.. તો.. ફન તો થાય જ ને?
ગ્લોઈંગ વિંગ્સ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રસભર કાર્યક્રમ યોજાયો તાજેતરમાં જ ગ્લોઈંગ વિંગ્સ - મોર ધેન વર્ડ્ઝ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન થઈ ગયું. ૨૫ એપ્રિલની સાંજે ઝિંદગી ખુશહાલ હૈ-કનેક્ટિંગ પીપલ સોલફૂલી નામનો આ ઉપક્રમ મહારાજા માણેકચોકવાળામાં યોજાયો. સભ્યો સાથે જાણીતાં ગાયક નમ્રતાબેન શોધન પણ હાજર રહ્યાં. તેમણે ક્વિઝનું ઈનામ લેતાં કહ્યું કે, 'સંગીત સિવાયના આવા કાર્યક્રમમાં ભાગ લઈને ખરેખર, ખૂબ મજા આવી અને બાળપણની યાદો પણ તાજી થઈ ગઈ!' ચાંદીકલા તરફથી વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યાં. નૃતિ શાહ, નિરાલી મનીષ પટેલ (નિરાળી) તથા વિશાલ પિત્તળીયાએ ભેગા થઈને આ ગ્રુપની રચના કરી છે. આયોજક કહે છે કે- દરેક ગેમમાં ભાગ લઈને સૌ કોઈ લાગણીશીલ બની ગયાં હતાં. લાગણી અને ભાવનાથી દૂર થતી જતી પ્રજાને અમે ફરી લાગણીશીલ કરવા માટે ભાવનાત્મક પ્રોગ્રામ લાવતાં રહીશું. જ્યાં ફન એક્ટિવિટી, ક્રિએટિવ ગેમ્સ, ક્વિઝ અને ટેસ્ટી ફૂડની મજા તો મળશે જ.
read more
સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિયા માટે ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ
વિશ્વ સાહિત્યમાંથી પસંદ કરાયેલી અને અનુવાદિત રહસ્યકથાઓ હવે ગુજરાતી વાચકો માટે પુસ્તકરૂપે આવી રહી છે. અનુવાદક તરીકે અઢી વર્ષથી ‘મમતા’ મેગેઝિન માટે નિયમિત અનુવાદ કરતાં લેખિકા યામિની પટેલ હવે પોતાના પ્રથમ અનુવાદિત રહસ્યકથાઓના સંગ્રહનું પુસ્તક લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. આ ખાસ પ્રસંગે 27 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે, ભવન્સ કલ્ચરલ સેન્ટરના SPJIMR ઑડિટોરિયમ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે મધુ રાય, પદ્મ શ્રી વામન કેન્દ્રે, અરુણારાજે પાટિલ તથા કનુભાઈ સૂચક હાજરી આપશે અને પુસ્તકનું વિમોચન કરશે. ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં યામિની પટેલ દ્વારા અનુવાદિત બે વાર્તાઓ હુસૈની દાવાવાલા દ્વારા દિગ્દર્શિત એકાંકી નાટક તરીકે રજૂ કરવામાં આવશે. વિશ્વ સાહિત્યના રહસ્યમય ખજાનામાંથી ઊંડાણપૂર્વક શોધીને લાવવામાં આવેલી આ વાર્તાઓ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ ગુજરાતી ભાષામાં અનુવાદ કરી યામિની પટેલ દ્વારા તેને નવી ઓળખ આપવામાં આવી છે. દરેક સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિકને આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપવી જોઈએ.
read more
વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ 'મને સાંભરે રે' કાંદીવલીમાં યોજાશે
મીનાક્ષી દીક્ષિત આપણા જાણીતા વાર્તાકાર અને નિબંધલેખિકા. એપ્રિલ 24 મીએ એમના અવસાનને એક વર્ષ થશે પણ એમના બાળપણની સ્મૃતિકથા ' અંજની તને યાદ છે? ' અને હળવા નિબંધ સંગ્રહ ' ઘેરે ઘેર લીલાલહેર'માં તેઓ હજી જીવંત છે. વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ એક સરસ વિચારબીજ આપ્યું કે મીનાક્ષીબહેનની પુણ્યતિથિ નિમિત્તે 26 એપ્રિલે ત્રણ વિદુષી મહિલાઓ આજથી ૬૦/૭૦ વર્ષ અગાઉના એમના બાળપણની ખાટી, મીઠી અને તૂરી યાદોની ભાવકો સમક્ષ વાત કરે. ગુજરાતી તખ્તા અને સિરિયલના બળૂકાં અભિનેત્રી મીનળ પટેલ, વરિષ્ઠ લેખિકા કલ્પના દવે અને પત્રકાર સંપાદક તરુ કજારિયા પોતાનાં બાળપણની યાદોનો પટારો ભાવકો સમક્ષ ખોલશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે 'નવનીત સમર્પણ' ના સંપાદક દીપક દોશી હાજરી આપશે. મીનાક્ષી દીક્ષિતના બંને પુસ્તકોની નવી આવૃત્તિ પ્રકાશક આર.આર.શેઠ આ મહિને પ્રકાશિત કરી રહ્યા છે. એનું વિમોચન દીપક દોશી તથા સર્વ વક્તાઓ સાથે મળીને કરશે. જાણીતા કવિ અને અદાકાર દિલીપ રાવલ એક નિબંધનું સાભિનય વાચિકમ કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા અને 'લેખિની' સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, મીનાક્ષી દીક્ષિતના સર્જનમાંથી વાચિકમ કરશે. મીનાક્ષી દીક્ષિતની એક ટૂંકી વાર્તા ' હિંચકો ' ખૂબ વખણાઈ છે. એના પરથી યુવાન નાટ્યકલાકાર પ્રીતા પંડ્યાએ એકોક્તિ લખી છે . એ એકોક્તિ ગીતા ત્રિવેદી રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર કવિ સંજય પંડ્યા રહેશે. સાહિત્યના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જાણીતી સંસ્થા કે.ઈ.એસ. ગુજરાતી ભાષાભવન તથા કે.ઈ.એસ.ના પ્રમુખ મહેશ શાહ હંમેશાં પીઠબળ આપતા હોય છે. આ કાર્યક્રમ પણ ભાષાભવનના નેજા હેઠળ યોજાયો છે જેને 'લેખિની', 'ઝરૂખો', તથા દીક્ષિત પરિવારે સહયોગ આપ્યો છે. તો ૨૬ એપ્રિલ શનિવારે સાંજે ૫.૩૦ પહેલાં જયંતીલાલ પટેલ લૉ કૉલેજ ઑડિટોરિયમ ( બીજા માળે) , ભોગીલાલ ફડિયા રોડ, કાંદીવલી રિક્રિએશન ક્લબ પાસે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.
read more
દિલીપ ઝવેરીના કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'થી કાવ્યમય થવા આવો છો ને?
'જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે એમની સાથે બેસી એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.' કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં 'પાંડુકાવ્યો' કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં 'ખંડિતકાંડ અને પછી' કાવ્યસંગ્રહમાં કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા 'કવિતા વિશે કવિતા' અને 'ભગવાનની વાતો' કવિ દિલીપ ઝવેરી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક 'ભગવાનની વાતો' ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,' આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.' ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ 'ટેલ્સ ઑફ ગૉડ' નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી 'ભગવાનની વાતો' નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે. સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત અગ્રણી કવિશ્રી દિલીપ ઝવેરીનો ચોથો કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો' પ્રકાશન વર્ષ : ૨૦૨૧, પૃષ્ઠ : ૭૨ મૂલ્ય : વાચકની ઇચ્છા પ્રાપ્તિસ્થાન: બીજલ પ્રકાશન, વડોદરા (મો. ૭૦ ૪૩૩ ૮૩ ૦૦૪ / ૯૭ ૨૬૦ ૬૮ ૪૪૭) કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. ૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
read more
ADVERTISEMENT