Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી

વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી

આજે તા.૧૦ મે ૨૦૨૫ની લેખિનીની માસિક સભા અમારાં સહુ માટે ખાસ બની રહી. આજના અજેન્ડામાં, વિષય હતો, સ્વરચિત વાર્તા પઠનનો અને લેખિનીની કાર્યકારી સમિતિની બે સુજ્ઞ સખીઓ, વર્ષાબહેન તન્ના અને કામિનીબહેન મહેતાએ મળીને લખેલી નવલકથા 'ઝંખના એક ક્ષણની' પુસ્તકનાં લોકાર્પણનો. જે આદરણીય કનુભાઈ અને ડૉ.સુશીલાબહેનનાં હસ્તે સંપન્ન થયું તેનો આનંદ. તદ્ઉપરાંત આજની સભા વિશિષ્ટ એ માટે રહી કારણ કે આદરણીય કનુભાઈ તેમ જ ડૉ.સુશીલાબહેનના વરદ હસ્તે લેખિની સંસ્થા-મુંબઈના પ્રાણ સમાન સહુનાં લાડીલાં પ્રીતિબહેનનું બહુમાન કરવામાં આવ્યું. આ સુખદ ઘટનાનાં સાક્ષી બનનાર અમ સહુના ચહેરાનો રાજીપો શબ્દાતીત હતો. પ્રીતિબહેન એટલે લેખિની અને લેખિનીનું નામ લેતા પ્રીતિબહેનનો ચહેરો જ નજર સમક્ષ તરવરી ઉઠે એટલી હદે તેઓ સંસ્થાને સમર્પિત છે. સહુને સાથે લઈને ચાલનારાં પ્રીતિબહેન લેખિનીઓનાં પ્રેરણાસ્રોત બનતાં રહ્યાં છે. કોઈએ ઓછું લખ્યું, સારું લખ્યું કે મધ્યમ લખ્યું હોય બસ કલમની ધાર નીકળતી રહે એ રીતે સહુને પ્રોત્સાહિત કરતાં રહે છે. કનુભાઈએ પ્રીતિબહેનની કર્તવ્યનિષ્ઠતાને બિરદાવતા કહ્યું કે એમને જ્યારે જ્યારે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે તેઓ શતપ્રતિશત પાર ઉતર્યાં છે. સાહિત્ય સંસદની હોય, લેખિની સંસ્થાની હોય, પારિવારિક હોય કે અન્ય કોઈપણ, તેઓએ દરેક ફરજ સારી રીતે નિભાવી છે. પ્રીતિબહેનના કહેવા પ્રમાણે આદરણીય કનુભાઈ અને સુશીલાબહેન તો તેમનાં દત્તક માવતર છે. ત્યાં પણ દીકરી તરીકેની ફરજ બજાવવામાં ઊણાં નથી ઉતર્યાં. આવો મોકો જવલ્લેજ મળે કે આપણી ગમતી વ્યક્તિને પોંખાતી જોઈ શકીએ. આ પ્રસંગે આભાર વિધિ કામિનીબહેન મહેતાએ કરી અને સભાનું સમાપન કર્યું હતું. ડો.સુશીલાબહેને કહ્યું કે હું બે શબ્દ બોલીશ નહીં પણ લખીને આપીશ. અમે તેની રાહમાં... અંતે સેવપુરી, પેંડા અને ચા-કૉફીને ન્યાય આપી ફરીને મળવા માટે વિદાય તો લેવી જ પડી... (અહેવાલ - મીનાક્ષી વખારિયા)

read more

બોરીવલીમાં કન્વેનશન સેન્ટર તોડાયું

બોરીવલીમાં કન્વેનશન સેન્ટર તોડાયું

બોરીવલીના કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટરમાં જ્યાં શુભ પ્રસંગો યોજાતા હોય છે તે આજે ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ કરાયું ત્યારે એસી કોન્વોકેશન સેન્ટરમાં કોઈના પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી.જો કે ઇવેન્ટ મેનેજરે તાત્કાલિક તેમને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપી હોવાનું બહાર આવ્યું હતું. કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટર એક ભવ્ય એસી હોલ અને વ્યવસ્થા વાળું ઇવેન્ટનું સ્થળ હતું.

read more

કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આ વર્ષે પણ ૧૦૦ ટકા

કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આ વર્ષે પણ ૧૦૦ ટકા

પાંચમી મેના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ઉચ્ચ માધ્યમિક બોર્ડનું ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગનું પરિણામ જાહેર થયું. મુંબઈ વિભાગનું પરિણામ 91% આવ્યું છે. તેમાં મુંબઈની નામાંકિત કોલેજોમાં કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આગામી વર્ષે પણ 100 ટકા આવ્યું છે. કોમર્સનાં 1405 વિદ્યાર્થીઓ અને આર્ટ્સનાં 170 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી. ગત વર્ષે કોમર્સ વિભાગમાં 1366 વિદ્યાર્થીઓ અને આર્ટસમાં 147 વિદ્યાર્થીઓ હતા અને 100 ટકા પરિણામ હતું. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર રાજ્યની સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે મેળવનાર આ એકમાત્ર સંસ્થા બની છે. આગામી વર્ષે એકાઉન્ટન્સી વિષયમાં 3 વિદ્યાર્થીઓ અને OCM વિષયમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાને છે. તે ઉપરાંત અન્ય વિષયો અને ભાષામાં 95થી વધુ માર્ક્સ સાથે સફળતા મેળવી છે. કોલેજમાં ડીસ્ટિંગસન તથા પ્રથમવર્ગમાં સફળતા મેળવનાર નો આંકડો ઉચો છે. કોલેજમાં શિક્ષણમાં ગુણાંક સાથે આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય એ પ્રયત્નો સતત રહ્યા છે. સંસ્થાની ઝળહળતી ફતેહ માટે આચાર્યા ડો. લીલી ભૂષણે શિક્ષકોને અઢળક અભિનંદનથી વધાવ્યા. આચાર્યા ડો લિલી ભૂષણ સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપે છે. ઉપાચાર્ય શ્રી રાજીવ મિશ્રા તેમજ સુપરવાઈઝર સિમ્મી ધવનનું માર્ગદર્શન રંગ લાવ્યું. સંસ્થાના સંચાલકોએ પ્રસન્નતાપૂર્વક આ સફળતાને સહર્ષ વધાવી છે. અને સંસ્થાના પ્રમુખ શ્રી મહેશ શાહે સર્વ શિક્ષકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે શિક્ષકોની અથાગ અને સ્માર્ટ કામની પદ્ધતિએ સતત સફળતાનો આંક ઉચ્ચ રાખ્યો છે. એકમાત્ર 100% પરિણામની કોલેજ છે. આ સંસ્થાને અભિનંદન

read more

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી'જીવનમાં ખાટાં, મીઠાં અને તૂરાં સિવાયનાં અન્ય રસનાં સંસ્મરણો પણ હોય છે - દિનકર જોષી       લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે,  એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે  કેમકે એમાં  સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે. ' નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ ' મને સાંભરે રે ' કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી.એમણે એ સાંજે દરેક વક્તાએ પોતાનાં સંસ્કારની વાતો કરી એની પણ નોંધ લીધી. મીનાક્ષીબેને મનભર, રસભર સુક્ષ્મતાથી સ્મરણો લખ્યા છે કહી એમણે ઉમેર્યું,  'હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે.સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.' વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા. ' ક્યારેક જૂઠું બોલવું પડે 'કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ ૮૮ વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ,ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે.  લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યું.વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ વિચારબીજ આપ્યું કે ત્રણ વરિષ્ઠ કલાકાર કે લેખિકા પોતાના બાળપણનાં સારાં માઠાં પ્રસંગોની વાત કરે. કેઈએસ ગુજરાતી ભાષાભવનના નેજા હેઠળ, ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે માતાની સ્મૃતિને ભાવકો સુધી વિસ્તારવાનો ઉપક્રમ તો ખરો જ પણ સાથે સાથે મીનાક્ષીબહેનના બે પુસ્તકો ' અંજની, તને યાદ છે? ' અને 'ઘેરે ઘેર લીલાલહેર ' પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.     'મને સાંભરે રે '  એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જાણીતા કવિ સંગીતકાર  નિનુ મજૂમદારના દીકરી છે અને એક ઉત્કૃષ્ટ કલાકાર છે એવો સંજય પંડ્યાએ પરિચય આપી નિનુ મજૂમદારના સ્વરાંકનવાળા ' ગોપીનાથ ' ફિલ્મના ગીત વિશે અને નિનુભાઈની ખેલદિલી વિશે વાત કરી. મીનળબહેને બાળપણનાં સ્મરણોને યાદ કર્યાં. તેમણે કહ્યું, ' મારાં એક ફોઈ હતાં. દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે. મારા પપ્પા અમને લઈને જાય. હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું.. પ્રલય થયો.પ્રલય થયો.ચાર વર્ષની છોકરીને દરિયો શું  એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.'   મીનળબહેન કહે છે, '  મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા.કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. એક વાત સત્ય છે કે જાતે તોડીને , છુપાઈને ખાવાની જે મજા આવે એ મજા ખરીદીને ખાવામાં ન આવે.પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું. એ ચાલી છુક છુક આગગાડી,કદી સીધીને કદી આડી.... અને એ ગીત ગાયા પછી આપણે હિરોઈન થઈ ગયાં.' આવી  અનેક યાદોને તાજી કરતાં છેલ્લે કહ્યું , 'એક છોકરો ખૂબ ચાંપલો હતો. એકવાર મને ગુસ્સો આવતાં એને ધડાધડ ચોડી દીધી.' નિનુભાઈના સ્વરાંકન'આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી, બલીબલી જાયે જશુમતી મૈયા' નો રાજકપુરે' સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો એનો ઉલ્લેખ પણ એમણે કર્યો.   ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કહ્યું 'શૈશવની પગલીઓમાં જંબુસર ગામની થોડી ધૂળ છે તો મુંબઈનાં પરાં વિસ્તારની થોડી છાપ છે.' તેઓ કહે છે, '  1955માં મારા પપ્પા વોશિંગ્ટન ગયા હતા. ત્યાંથી મારાં માટે ઢીંગલી લાવ્યાં હતા. મને આપતાં કહ્યું હતું મારી આ ઢીંગલી માટે આ ઢીંગલી છે. તારી સાથે જ રહેશે.તું જે કરીશ એ બધું જ એ કરશે. ને ઢીંગલી મારી અજાયબ દુનિયામાં વણાઈ ગઈ. આજે પણ શૉકેસમાં છે. રેડિયોમાં ગીતો સાંભળતાં  પ્રશ્ન થતો જે માને પૂછ્યો કે મા આટલા નાના રેડિયોમાં આટલા બધાં લોકો કેવી રીતે સમાતા હશે ? '  જંબુસર ગામની વાત કરતાં એમણે કહ્યું , ' જંબુસરમાં અમારું નાનું ઘર, ઝાડુવાળો આવે તો બારણાં બંધ કરી દેવાના નહીં તો ઠંડા પાણીએ નહાવું પડે. મારાં વાલીબા કાણ કૂટવા જાય. આવે ત્યારે એમની છાતી લાલ લાલ થઈ ગઈ હોય . મને નવાઈ લાગે ને હું પૂછું ,બા આ શું થયું છે તો કહે કાણ કૂટવા ગઈ તી'ને એટલે ! '  જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર, પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયા કહે છે ,' હું તમને કલકતા લઈ જાઉં છું.બાળપણને જીવવાનો મોકો મિત્રો જ આપે છે.બાળપણાંનાં આ સંભારણા વહેંચવાનો આ પહેલો અવસર છે. મારી મા અમારી પાંચ બહેનોની અને એક ભાઈની  ખૂબ કાળજી લેતી. મા આયુર્વેદની એક ઉક્તિ કહેતી ' આંખે ત્રિફળા દાંતે લુણ,પેટ ન ભરીએ ચારે ખૂણ ' 'મને સ્કૂલે જવાનો બહુ કંટાળો આવે. પપ્પા રમણીકભાઈ મેઘાણી મોં જોઈ પૂછે,  કેમ બેન સ્કૂલે નથી જવું? હું ના પાડું તો કહે , કઈ વાંધો નહીં .અહીં દુકાનમાં બેસો ને પુસ્તકો વાંચો.અમારાં ઘરે શિવકુમાર ભાઈ આવે ભજન ગાય.બધાં રડે પણ મને રડવું ન આવે. પણ એક સમય એવો આવ્યો કે કોઈપણ સંગીત વાગે મને રડવું આવે.બધાં કહે આના કપાળે તો કૂવો છે!વાર્તા સ્પર્ધા હતી. મારી મા સરસ વાર્તાઓ લખે.મેં એને લખીને મોકલવા કહ્યું.ઈનામની રકમ મળે તો કાર્ડિગન લેવાય.ઈનામ જાહેર થયું બાનું નામ ન જોયું. પૂછ્યું વાર્તાનાં ઈનામમાં તારું નામ નથી!  તો બા કહે મેં મોકલી જ નથી. હું નિરાશ થઈ ગઈ,  હવે પેલું કારડીગન નહીં લઈ શકાય.' છેલ્લું સંભારણું યાદ કરતાં તરુબહેને કહ્યું ,' મારી બહેનપણી 'છોટી બહેન ' ફિલ્મ જોઈ આવેલી અને એનાં ગીતો એ ગાયા કરે મને ગીતો બહુ ગમ્યાં .મેં પણ કહ્યું મારે' છોટી બહેન 'ફિલ્મ જોવી છે. અમે ગયાં .પિક્ચર પૂરું થયું ત્યાં સુધી એકપણ ગીત આવ્યું નહીં. હું ઊંચીનીચી થાઉં .મેં પૂછ્યું તો ભાઈ કહે ,ઈગ્લીશમાં હતું. પછી ઘરે આવીને ખબર પડી કે કરુણ ફિલ્મ હતી તેથી એ જોવા નોતા લઈ ગયાં પણ ચાર્લી ચેપ્લિનની 'લાઇમ લાઈટ ' જોવા લઈ ગયાં હતાં. '        અગાઉ સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. એમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.      શીઘ્ર કવિ, ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી.       કવયિત્રી તથા લેખિની પ્રમુખ  પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક 'અંજની તને યાદ છે.'માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કરતાં ,હળવાશથી લઈને કરુણ રસ સુધી ભાવકોને સફર કરાવી. કવિ , નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ 'હળદરની હોળી અને ઓસામણની પિચકારી' રજૂ કર્યો.        કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ' ઘેરે ઘેર લીલા લહેર 'માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. એમણે મીનાક્ષીબહેન સાથેની ઉષ્માસભર વાતોનો પણ ઉલ્લેખ કર્યો. મીનાક્ષીબહેનની વખણાયેલી  વાર્તા 'હીંચકો' પરથી યુવા નાટ્ય કલાકાર  પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ 'હીંચકો'  વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી. કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું.હૉલ એ વખતે ભાવકોથી છલકાતો હતો અને વધારાની ખુરસીઓ મંચની આજુબાજુ મૂકાવવી પડી હતી. અંતિમ પડાવ તરફ જતાં દીકરી પૂર્વી દેસાઈએ હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી. પુત્રી સૌમ્યાબહેને ભાવસભર રીતે સહુનો આભાર માન્યો હતો. એક પ્રેમાળ માતા તથા વાચકોમાં અને નારાયણ દેસાઈ, ગુલાબદાસ બ્રોકર તથા ધીરુબહેન પટેલને પણ પ્રિય એવાં લેખિકાને આના કરતાં ઉત્તમ રીતે સંભારી શકાય ખરાં? (અહેવાલ: પૂરક માહિતી સ્મિતા શુકલ)

read more

અમદાવાદમાં ગેમ્સ, ક્વિઝ, ફૂડ મળે તો.. તો.. ફન તો થાય જ ને?

અમદાવાદમાં ગેમ્સ, ક્વિઝ, ફૂડ મળે તો.. તો.. ફન તો થાય જ ને?

ગ્લોઈંગ વિંગ્સ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રસભર કાર્યક્રમ યોજાયો તાજેતરમાં જ ગ્લોઈંગ વિંગ્સ - મોર ધેન વર્ડ્ઝ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન થઈ ગયું. ૨૫ એપ્રિલની સાંજે ઝિંદગી ખુશહાલ હૈ-કનેક્ટિંગ પીપલ સોલફૂલી નામનો આ ઉપક્રમ મહારાજા માણેકચોકવાળામાં યોજાયો. સભ્યો સાથે જાણીતાં ગાયક નમ્રતાબેન શોધન પણ હાજર રહ્યાં. તેમણે ક્વિઝનું ઈનામ લેતાં કહ્યું કે, 'સંગીત સિવાયના આવા કાર્યક્રમમાં ભાગ લઈને ખરેખર, ખૂબ મજા આવી અને બાળપણની યાદો પણ તાજી થઈ ગઈ!' ચાંદીકલા તરફથી વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યાં. નૃતિ શાહ, નિરાલી મનીષ પટેલ (નિરાળી) તથા વિશાલ પિત્તળીયાએ ભેગા થઈને આ ગ્રુપની રચના કરી છે. આયોજક કહે છે કે- દરેક ગેમમાં ભાગ લઈને સૌ કોઈ લાગણીશીલ બની ગયાં હતાં. લાગણી અને ભાવનાથી દૂર થતી જતી પ્રજાને અમે ફરી લાગણીશીલ કરવા માટે ભાવનાત્મક પ્રોગ્રામ લાવતાં રહીશું. જ્યાં ફન એક્ટિવિટી, ક્રિએટિવ ગેમ્સ, ક્વિઝ અને ટેસ્ટી ફૂડની મજા તો મળશે જ.

read more

 સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિયા માટે ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ

સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિયા માટે ભવન્સ કલ્ચરલ સેન્ટર ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમ

વિશ્વ સાહિત્યમાંથી પસંદ કરાયેલી અને અનુવાદિત રહસ્યકથાઓ હવે ગુજરાતી વાચકો માટે પુસ્તકરૂપે આવી રહી છે. અનુવાદક તરીકે અઢી વર્ષથી ‘મમતા’ મેગેઝિન માટે નિયમિત અનુવાદ કરતાં લેખિકા યામિની પટેલ હવે પોતાના પ્રથમ અનુવાદિત રહસ્યકથાઓના સંગ્રહનું પુસ્તક લૉન્ચ કરવા જઈ રહ્યાં છે. આ ખાસ પ્રસંગે 27 એપ્રિલ, રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે, ભવન્સ કલ્ચરલ સેન્ટરના SPJIMR ઑડિટોરિયમ ખાતે પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે મધુ રાય, પદ્મ શ્રી વામન કેન્દ્રે, અરુણારાજે પાટિલ તથા કનુભાઈ સૂચક હાજરી આપશે અને પુસ્તકનું વિમોચન કરશે. ખાસ વાત એ છે કે આ પુસ્તકમાં યામિની પટેલ દ્વારા અનુવાદિત બે વાર્તાઓ હુસૈની દાવાવાલા દ્વારા દિગ્દર્શિત એકાંકી નાટક તરીકે રજૂ કરવામાં આવશે. વિશ્વ સાહિત્યના રહસ્યમય ખજાનામાંથી ઊંડાણપૂર્વક શોધીને લાવવામાં આવેલી આ વાર્તાઓ માત્ર રસપ્રદ જ નહીં, પરંતુ ગુજરાતી ભાષામાં અનુવાદ કરી યામિની પટેલ દ્વારા તેને નવી ઓળખ આપવામાં આવી છે. દરેક સાહિત્યપ્રેમી અને રહસ્યકથા રસિકને આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપવી જોઈએ.

read more

વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ  'મને સાંભરે રે' કાંદીવલીમાં યોજાશે

વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતની સ્મૃતિમાં એક હળવાશભર્યો પરિસંવાદ 'મને સાંભરે રે' કાંદીવલીમાં યોજાશે

મીનાક્ષી દીક્ષિત આપણા જાણીતા વાર્તાકાર અને નિબંધલેખિકા. એપ્રિલ 24 મીએ એમના અવસાનને એક વર્ષ થશે પણ એમના બાળપણની સ્મૃતિકથા ' અંજની તને યાદ છે? ' અને હળવા નિબંધ સંગ્રહ ' ઘેરે ઘેર લીલાલહેર'માં તેઓ હજી જીવંત છે. વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ એક સરસ વિચારબીજ આપ્યું કે મીનાક્ષીબહેનની પુણ્યતિથિ નિમિત્તે 26 એપ્રિલે ત્રણ વિદુષી મહિલાઓ આજથી ૬૦/૭૦ વર્ષ અગાઉના એમના બાળપણની ખાટી, મીઠી અને તૂરી યાદોની ભાવકો સમક્ષ વાત કરે. ગુજરાતી તખ્તા અને સિરિયલના બળૂકાં અભિનેત્રી મીનળ પટેલ, વરિષ્ઠ લેખિકા કલ્પના દવે અને પત્રકાર સંપાદક તરુ કજારિયા પોતાનાં બાળપણની યાદોનો પટારો ભાવકો સમક્ષ ખોલશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે 'નવનીત સમર્પણ' ના સંપાદક દીપક દોશી હાજરી આપશે. મીનાક્ષી દીક્ષિતના બંને પુસ્તકોની નવી આવૃત્તિ પ્રકાશક આર.આર.શેઠ આ મહિને પ્રકાશિત કરી રહ્યા છે. એનું વિમોચન દીપક દોશી તથા સર્વ વક્તાઓ સાથે મળીને કરશે. જાણીતા કવિ અને અદાકાર દિલીપ રાવલ એક નિબંધનું સાભિનય વાચિકમ કરશે. કવયિત્રી પ્રતિમા પંડ્યા અને 'લેખિની' સંસ્થાના પ્રમુખ પ્રીતિ જરીવાલા, મીનાક્ષી દીક્ષિતના સર્જનમાંથી વાચિકમ કરશે. મીનાક્ષી દીક્ષિતની એક ટૂંકી વાર્તા ' હિંચકો ' ખૂબ વખણાઈ છે. એના પરથી યુવાન નાટ્યકલાકાર પ્રીતા પંડ્યાએ એકોક્તિ લખી છે . એ એકોક્તિ ગીતા ત્રિવેદી રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમના સૂત્રધાર કવિ સંજય પંડ્યા રહેશે. સાહિત્યના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે જાણીતી સંસ્થા કે.ઈ.એસ. ગુજરાતી ભાષાભવન તથા કે.ઈ.એસ.ના પ્રમુખ મહેશ શાહ હંમેશાં પીઠબળ આપતા હોય છે. આ કાર્યક્રમ પણ ભાષાભવનના નેજા હેઠળ યોજાયો છે જેને 'લેખિની', 'ઝરૂખો', તથા દીક્ષિત પરિવારે સહયોગ આપ્યો છે. તો ૨૬ એપ્રિલ શનિવારે સાંજે ૫.૩૦ પહેલાં જયંતીલાલ પટેલ લૉ કૉલેજ ઑડિટોરિયમ ( બીજા માળે) , ભોગીલાલ ફડિયા રોડ, કાંદીવલી રિક્રિએશન ક્લબ પાસે, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જશો. બેઠક વ્યવસ્થા વહેલો એ પહેલોના ધોરણે છે.

read more

દિલીપ ઝવેરીના કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'થી કાવ્યમય થવા આવો છો ને?

દિલીપ ઝવેરીના કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'થી કાવ્યમય થવા આવો છો ને?

'જ્યારે જ્યારે લાગે કે હવે શું કરવું ત્યારે એ મૂંઝવણમાં રસ્તો કાઢવા ભગવાન બાળકોની પાસે જાય છે એમની સાથે બેસી એમને ધ્યાનથી જુએ છે અને સલાહ પૂછે છે.' કવિ દિલીપ ઝવેરીએ ૧૯૮૯માં 'પાંડુકાવ્યો' કાવ્યસંગ્રહ આપી ભાવકો તથા વિવેચકો બંનેની ચાહના મેળવી. એ પછી નવી બાની, આધુનિક વિષયવસ્તુ, નવા આંતરલય સાથેનાં કાવ્યો એમણે આપ્યાં 'ખંડિતકાંડ અને પછી' કાવ્યસંગ્રહમાં કંઈક નવું જ આપવાના પડકાર દિલીપ ઝવેરીએ સાહજિકતાથી ઝીલ્યા છે. આ બે સંગ્રહ પછી એમના કાવ્ય સંગ્રહ આવ્યા 'કવિતા વિશે કવિતા' અને 'ભગવાનની વાતો' કવિ દિલીપ ઝવેરી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક 'ભગવાનની વાતો' ને મળ્યું છે.જાણીતા સર્જક રાજેશ પંડ્યાએ એના વિશે લખ્યું છે,' આ કાવ્યોમાં બાળકનું વિસ્મય છે, સંતની સમતા છે, જ્ઞાનીનું ડહાપણ છે ને કવિનું હૃદય છે.' ગુજરાતી અગાઉ આ કાવ્યસંગ્રહ 'ટેલ્સ ઑફ ગૉડ' નામે અંગ્રેજીમાં પ્રકાશિત થયો છે. ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ દિલીપ ઝવેરી 'ભગવાનની વાતો' નાં કાવ્યોનું પઠન કરશે તથા હાજર અન્ય કવિઓ અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે. સાહિત્ય અકાદેમી દ્વારા પુરસ્કૃત અગ્રણી કવિશ્રી દિલીપ ઝવેરીનો ચોથો કાવ્યસંગ્રહ 'ભગવાનની વાતો'  પ્રકાશન વર્ષ : ૨૦૨૧, પૃષ્ઠ : ૭૨ મૂલ્ય : વાચકની ઇચ્છા પ્રાપ્તિસ્થાન: બીજલ પ્રકાશન, વડોદરા (મો. ૭૦ ૪૩૩ ૮૩ ૦૦૪ / ૯૭ ૨૬૦ ૬૮ ૪૪૭) કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. ૧૯ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. ‌‌ઝરૂખો તથા ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પ્રગતિ મિત્ર મંડળ વ્યાખ્યાનમાળાનું આ સંયુક્ત આયોજન છે. સાઈલીલા વૅલ્ફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓએ સર્વને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.

read more

બોટાદના સ્માઈલ ગૃપ દ્વારા ચકલી માટેના માળા અને પાણી કૂંડાનું નિઃશુલ્ક વિતરણ

બોટાદના સ્માઈલ ગૃપ દ્વારા ચકલી માટેના માળા અને પાણી કૂંડાનું નિઃશુલ્ક વિતરણ

તાજેતરમાં જ બોટાદમાં આવેલા સ્માઇલ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લેતાં અબોલ પક્ષી ચકલીઓને રાહત મળે તેવા ઉમદા હેતુથી ત્રણ હજાર જેટલા માટીનાં કૂંડા અને માળાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ઘણા લોકોએ આ વિતરણવ્યવસ્થાનો બહોળા પ્રમાણમાં લાભ લીધો. આ ગૃપ દ્વારા અબોલ જીવની સેવા સાથે પયાર્વરણ બચાવો, રોપા વિતરણ, ગરીબ બાળકોને શિક્ષણ કીટ તથા તહેવારોમાં મીઠાઈ વિતરણ કરી એમનાં ચહેરા પર સ્માઈલ લાવવાનો પ્રયાસ વર્ષ ૨૦૧૮થી કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર સેવાકીય પ્રવૃતિનું આયોજન સમગ્ર ગૃપ દ્વારા દર વર્ષે ખૂબ ઉત્સાહથી કરવામાં આવે છે.

read more

ભવન્સ કલ્ચરલ સેન્ટર - અંધેરીના સહયોગથી પૂર્વાલાપ ફાઉન્ડેશન યોજી રહ્યું છે સૌપ્રથમ કવિ કાન્ત સ્મરણોત્સવ

ભવન્સ કલ્ચરલ સેન્ટર - અંધેરીના સહયોગથી પૂર્વાલાપ ફાઉન્ડેશન યોજી રહ્યું છે સૌપ્રથમ કવિ કાન્ત સ્મરણોત્સવ

સ્થળ: એસ.પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કોલેજ કેમ્પસ, અંધેરી પશ્ચિમ, મુંબઈ. દિવસ અને સમય: ૨૦ એપ્રિલ ૨૦૨૫, રવિવાર, સવારના ૧૦.૦૦ થી ૦૧.૩૦ કાર્યક્રમની હાઈલાઈટ: 'કવિ કાન્ત' ફિલ્મનો પ્રિમિયર શો પૂર્વાલાપ ફાઉન્ડેશન - ટૂંક પરિચય: ગુજરાતના અગ્રેસર કવિ, ખંડકાવ્યના પ્રણેતા, નિબંધકાર, નાટ્યલેખક, અનુવાદક, શિક્ષક અને પ્રખર વિદ્વાન સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત' (૨૦ નવેમ્બર ૧૮૬૭ - ૧૬ જુન ૧૯૨૩)ની સાહિત્યિક સ્મૃતિની જ્યોતને સદા પ્રજવલિત રાખવાના હેતુથી કવિ કાન્તના કટુંબીજનોએ મુંબઈમાં પૂર્વાલાપ ફાઉન્ડેશનની વર્ષ ૨૦૨૩માં સ્થાપના કરી. નસીબની બલિહારી એવી કે ૧૯૨૩ના વર્ષના જે દિવસે કવિ કાન્તના કાવ્યસંગ્રહ પૂર્વાલાપનું અમદાવાદમાં વિમોચન થવાનું હતું એ જ દિવસે કવિનું લાહોર જતી ટ્રેનમાં અણધાર્યું નિધન થઈ ગયું. એમની પૂણ્યશતાબ્દિ (૧૯૨૩-૨૦૨૩) મનાવવા માટે પૂર્વાલાપ ફાઉન્ડેશને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદના સભાગૃહમાં ૧૮ જૂન ૨૦૨૩ના દિવસે એકદિવસીય પરિસંવાદ યોજ્યો હતો. પૂર્વાલાપ ફાઉન્ડેશન ફેલોશીપ અને 'કવિ કાન્ત' ફિલ્મ: આ પ્રથમ ફેલોશીપ સુરતના યુવાન ફિલ્મ દિગ્દર્શક અને સંશોધનકાર જય ખોલિયાને અપાઈ હતી અને તેના ભાગરૂપે 'કવિ કાન્ત'ના નામે ૮૫ મિનિટની ખૂબ અભ્યાસપૂર્ણ ફિલ્મકૃતિનું નિર્માણ થયું અને તેનો પ્રથમ પ્રિમિયર શો મુંબઈમાં ૨૦ એપ્રિલ ૨૦૨૫ના રવિવારે એસ.પી. જૈન ઓડિટોરિયમમાં થશે. આ પ્રસંગે ફિલ્મ સાથે જોડાયલી વ્યક્તિઓ હાજર રહેશે. મુખ્ય વક્તા - કવિ કાન્તના જીવનકવનને વણી લેતી નાટ્યકૃતિ 'જળને પડદે'ના લેખક ડૉ. સતીશ વ્યાસ: ગુજરાતના અગ્રણી સાહિત્યકાર અને કવિ કાન્ત-સ્કોલર અને કાન્તના જીવનકવનને આવરતાં નાટક 'જળને પડદે'ના લેખક ડૉ. સતીશ વ્યાસ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તવ્ય રજૂ કરશે. આ નાટકના નાયક શ્રી કમલ જોશીએ જ જય ખોલિયાની ફિલ્મમાં કવિ કાન્તનો કંઠ આપ્યો છે. ખાસ અતિથિ: ભારતના એકમાત્ર પ્રવૃત્તિશીલ સ્વીડનબોર્ગિયન દેવળના રેવરન્ડ પીટર દેવાસી કેરળથી પધારશે. વિદિત છે તેમ સ્વીડનના અનેક વિદ્યા પ્રવિણ ઇમેન્યૂઅલ સ્વીડનબોર્ગના લખાણોની કવિ કાન્તના જીવન પર ઘેરી અસર પડી હતી. ટ્રસ્ટીઓ ફોન સંપર્કજિજ્ઞેશ મકવાણા: ૯૧૬૭૬૦૫૦૬૧અંકિત રાય: ૯૧૩૭૧૬૭૯૪૨

read more

ભવન્સ અંધેરીના ઉપક્રમે ત્રિદિવસીય ગઝલોત્સવનું ભવ્ય આયોજન

ભવન્સ અંધેરીના ઉપક્રમે ત્રિદિવસીય ગઝલોત્સવનું ભવ્ય આયોજન

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ 2008થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય ગઝલોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે બપોરે ૩.૩૦ થી રાત્રે ૯.૦૦ કલાક દરમ્યાન આ ઉત્સવ બીસીસીએ હૉલ અને એસ. પી. જૈન ઑડિટોરિયમ ખાતે યોજાશે. ત્રણ દિવસના, નવ સત્રના, સોળ કલાકમાં ૪૮ કલાકારો સહભાગી થશે. વક્તવ્યના ત્રણ સત્રમાં જવાહર બક્ષી `જ્યાં જ્યાં ગઝલ મારી ઠરે', રઈશ મનીઆર `છેલ્લાં 50 વર્ષની ગઝલસફર', ડૉ. પ્રકાશ કોઠારી `રૂપની લીલા જોઈ હતી' અને હેમેન શાહ `ગમી તે ગઝલ વિષય' પર વક્તવ્ય આપશે. ઉદયન મારુ, હંસા દવે અને સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. સંગીતના ત્રણ સત્રમાં દેવેશ દવે, હિમાલી વ્યાસ નાયક, અમન રાયઠઠ્ઠા, પ્રતીક શાહ, રાઘવ દવે, પ્રકાશ પરમાર, સુરેશ જોશી, રેખા ત્રિવેદી, વિરાજ-બીજલ, આદિત્ય નાયક, ઉદય મઝુમદાર, જાહન્વી શ્રીમાંકર અને મુદ્રા દવે વિવિષ ગઝલોની સાંગીતિક પ્રસ્તુતિ કરશે. મુશાયરાના ત્રણ સત્રમાં ઉદયન ઠક્કર, કિરણસિંહ ચૌહાણ, સુરેશ ઝવેરી, ચેતન ફ્રેમવાલા, ઈન્તેખાબ અન્સારી, મિતા ગોર મેવાડા, રઈશ મનીઆર, ગૌરાંગ ઠાકર, ભાવિન ગોપાણી, ડૉ. પ્રણય વાઘેલા, હર્ષવી પટેલ, હેમેન શાહ, હિમાંશુ પ્રેમ, ભાવેશ ભટ્ટ, હેમંત પુણેકર, રાજેશ હિંગુ અને દિગંત મેવાડા ગઝલપઠન કરશે. આ અવસરે સૈફ પાલનપુરી, યુસુફ બુકવાલા અને મરીઝના પરિવારજનો ઉપસ્થિત રહેશે. કલાકાર ચિરાગ વોરા શયદાની ગઝલો રજૂ કરશે. વિવિધ સત્રોનું સંચાલન મુકેશ જોષી, દિલીપ રાવલ, હિતેન આનંદપરા, સંજય પંડ્યા અને હરદ્વાર ગોસ્વામી કરશે. પ્રવેશ તથા વધુ વિગત માટે ભવન્સ કાર્યાલયનો સંપર્કઃ 91371 67942 / 91676 05061.

read more

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા જવાહર બક્ષીને પ્રથમ અમૃત ગઝલ પારિતોષિક અર્પણ

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા પ્રારંભ કરાયેલ અમૃત ગઝલ પારિતોષિક સર્વ પ્રથમ જવાહર બક્ષીને ગુજરાતી ગઝલમાં અવિસ્મરણીય પ્રદાન તથા ગુજરાતી સાહિત્યની આજીવન સેવા બદલ વર્ષ ૨૦૨૪ માટે ગાંધીનગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સાહિત્ય સંમેલન દરમ્યાન ભૂતપૂર્વ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને જાણીતા સાહિત્યકાર રમેશ પોખરીયાલવે હસ્તે અપાયો હતો. ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભગ્યેશ જહા તથા મંત્રી જયેન્દ્ર જાદવે ડૉ. જવાહર બક્ષીને સન્માન પત્ર તથા એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. હૉટેલ લીલા ગાંધીનગર ખાતે યોજાયેલ તારીખ ૨૯-૩૦ માર્ચના બે દિવસના રાષ્ટ્રીય સાહિત્ય સંમેલનમાં અનેક પ્રાંતના સાહિત્યકારો વચ્ચે પ્રતિભાવ આપતાં જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે મેં ગઝલ લખવાનો પ્રારંભ કર્યો ત્યારે ઊર્દુ શબ્દો તથા શરાબ સાકી બુલબુલ પારધી જેવા પ્રતીકોની ભરમાર હતી તેના કરતાં શુદ્ધ ગુજરાતી અને શુદ્ધ કાવ્યમય ગઝલો લખવાનું શરૂ કર્યું. સૂફીવાદના પ્રેમ સાથે યોગ વેદાંતની ભૂમિકા વાળી ગઝલો આપી. ગઝલના ચુસ્ત બંધારણના સીમાડા વિસ્તારવા તળપદા પ્રકારો દુહા ગીત છપ્પા કુંડળી ભજન આખ્યાન સાથે સંયોજન અને દેશી છંદો અને શાસ્ત્રીય વિષયો તથા અષ્ટ નાયિકા જેવી ગઝલો ગુજરાત તથા ભારતને ચરણે ધરી છે. ત્રણ બેઠકોમાં સાહિત્ય સમાજ અને સંસ્કૃતિ પર વિશદ અને મૌલિક ચિંતન થયું હતું તેમજ બહુભાષી કવિ સંમેલન તથા સંગીત નાટક અકાદમીના પ્રમુખ શ્રી સંધ્યા પુરેચાના શિષ્યો દ્વારા શાસ્ત્રીય નૃત્યોની પ્રસ્તુતિ થઈ હતી.

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK