પદ્મવિભૂષણ ગાયિકા આશા ભોસલેનો દેહ ગઈ કાલે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. તેમને પ્રિય સફેદ અને પીળાં ફૂલોથી શણગારેલો મોક્ષરથ લોઅર પરેલના તેમના નિવાસસ્થાન કાસા ગ્રાન્ડથી નીકળ્યો ત્યારે તેમને અશ્રુભીની વિદાય આપવા માટે હજારો લોકો રસ્તા પર ઊમટી આવ્યા હતા.
આશા ભોસલેનું રવિવારે સવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ૯૨ વર્ષની વયે મલ્ટીપલ ઑર્ગન-ફેલ્યરને લીધે અવસાન થયું હતું. સોમવારે સવારથી બૉલીવુડની સેલિબ્રિટીઝ, મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો અને રાજકારણીઓ સહિત ફૅન્સ પણ આશા ભોસલેનાં અંતિમ દર્શન કરવા તેમના ઘરે પહોંચ્યા હતા.
રાષ્ટ્રીય સન્માનના ભાગરૂપે રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા આશા ભોસલેના પાર્થિવ દેહને મોક્ષરથમાં મૂકવામાં આવ્યો ત્યારે પોલીસ-બૅન્ડે ધૂન વગાડી હતી. મોક્ષરથ પર ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન નથવાળો તેમનો ફોટો મૂકવામાં આવ્યો હતો. લોઅર પરેલના નિવાસસ્થાનથી લગભગ પાંચ કિલોમીટર દૂર દાદરના શિવાજી પાર્કની સ્મશાનભૂમિ સુધી અંતિમયાત્રા નીકળી હતી. ‘આશાતાઈ અમર રહે’ના નારા સાથે રસ્તામાં રાહ જોતા હજારો લોકોએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી.
શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર દરમ્યાન મુંબઈ પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને આશા ભોસલેને સલામી આપી હતી. તેમને આપવામાં આવેલા સંપૂર્ણ રાજકીય સન્માનના ભાગરૂપે પોલીસ-ટીમે ‘લાસ્ટ પોસ્ટ’ના નાદ સાથે આ પરંપરાગત ગન-સલામી આપી હતી. આશાતાઈના દીકરા આનંદ ભોસલેએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો.
(તસવીરો : રાણે આશિષ, સૈયદ સમીર અબેદી, આશિષ રાજે)
14 April, 2026 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent