IPL 2024, Match 43 - DC vs MI: મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ દિલ્હી કૅપિટલ્સ સામે મળેલી હાર માટે તિલક વર્માને ઠેરવ્યો દોષી
હાર્દિક પંડ્યા, તિલક વર્મા
ઈન્ડિયન પ્રીમિયર લીગ - આઈપીએલ (Indian Premier League - IPL) ની ૧૭મી સીઝન (IPL 2024) અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમ માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી સાબિત થઈ નથી. શનિવારે મુંબઈ ઈન્ડિન્સની મેચ દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) સામે રમાઈ હતી. જેમાં MIને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ હાર માટે મુંબઈ ઈન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટીમના ખેલાડી તિલક વર્મા (Tilak Varma) ને જવાબદાર ઠેરવ્યો છે.
આઈપીએલ ૨૦૨૪માં ગઈકાલે એટલે કે ૨૮ એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામે રમાયેલી મેચમાં મુંબઈની ટીમને ૧૦ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ખૂબ જ ખરાબ બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું જેમાં દિલ્હી કૅપિટલ્સે ૨૦ ઓવરમાં ૨૫૭ રન બનાવ્યા હતા. આ લક્ષ્યનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પણ ૨૪૭ રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. મુંબઈની ઈનિંગમાં તિલક વર્માએ ટીમને શરમજનક હારમાંથી બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં તેના બેટથી ૩૨ બોલમાં ૬૩ રનની ઈનિંગ જોવા મળી હતી. જો કે આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ તિલક વર્માની રમત જાગૃતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને આ હારનો મુખ્ય ગુનેગાર ગણાવ્યો હતો.
ADVERTISEMENT
હાર્દિક પંડ્યાએ દિલ્હી કૅપિટલ્સ સામેની મેચમાં હાર બાદ બ્રોડકાસ્ટ સાથે વાત કરતા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, જ્યારે અક્ષર પટેલ (Axar Patel) બોલિંગ કરી રહ્યો હતો ત્યારે ડાબા હાથના બેટ્સમેને તેના પર હુમલો કરવો જોઈતો હતો. મને લાગે છે કે અમે ગેમ અવેરનેસના સંદર્ભમાં થોડા પાછળ રહી ગયા છીએ અને આ પણ અમારી હારનું મુખ્ય કારણ હતું.
તમને જણાવી દઈએ, કે હાર્દિકનો સીધો ઉલ્લેખ તિલક વર્મા તરફ હતો. કારણખે જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે તે જ બેટિંગ કરી રહ્યો હતો. આ મેચમાં અક્ષર પટેલે તેની બે ઓવરમાં માત્ર ૨૪ રન આપ્યા હતા. જ્યારે લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) એ ત્રણ ઓવરમાં ૪૭ રન આપ્યા હતા. કુલદીપ યાદવની પ્રથમ બે ઓવરમાં તિલક વર્મા ૪ બોલ રમ્યો જેમાં તેણે માત્ર ૪ રન બનાવ્યા. આ પછી તિલકે કુલદીપની ત્રીજી ઓવરમાં ચોક્કસપણે ૨ સિક્સર અને ૨ ફોર ફટકારી હતી.
પોતાના નિવેદનમાં હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે, જે રીતે મેચો યોજાઈ રહી છે તેનાથી બોલરો પર ઘણું દબાણ છે. અમે અમારી જાતને સમર્થન આપ્યું હતું કે અમે આ લક્ષ્યનો પીછો કરી શકીએ છીએ, પરંતુ જો તમે અમારી હારનું મોટું કારણ જાણવા માંગતા હોવ તો, અમે કેટલીક મધ્યમ ઓવરોમાં ઝડપી રન બનાવી શક્યા નહોતા જ્યાં અમારે મોટા શોટ રમવાના હતા. પહેલા, જ્યાં બંને ટીમો વચ્ચે જીત-હારમાં ઘણા બોલનો તફાવત રહેતો હતો, પરંતુ હવે તે ઘટીને માત્ર થોડા બોલનો થઈ ગયો છે.
નોંધનીય છે કે, મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી ૯ મેચ રમ્યું છે. જેમાંથી ૬માં હાર અને ૩માં જીત મેળવી છે. જ્યારે દિલ્હી કૅપિટલ્સની ટીમ ૧૦ મેચ રમી છે. જેમાંથી પાંચમાં જીત અને પાંચમાં હાર મેળવી છે.