પતિએ કૅન્સરમાં મૃત્યુ પામેલી પત્નીનું આરસનું પૂતળું બનાવડાવ્યું
પતિએ કૅન્સરમાં મૃત્યુ પામેલી પત્નીનું આરસનું પૂતળું બનાવડાવ્યું
શાહજહાંએ આગરામાં મુમતાઝ બેગમ માટે તાજમહલ બનાવ્યો હતો અને ચંડીગઢમાં રહેતા ૭૦ વર્ષના વિજય કુમરાએ પત્નીની યાદમાં તેનું આરસનું પૂતળું બનાવ્યું. સવાર-સાંજ તેઓ આ મૂર્તિ સાથે બેસીને વાતો કરે છે. ૧૫ ઑગસ્ટ એટલે કે ગઈ કાલે પત્નીનો જન્મદિવસ ગયો. તેમણે કેક કાપીને બાળકોમાં વહેંચીને ઊજવણી પણ કરી. પત્ની વીણા સાથે વીતાવેલા ૪૮ વર્ષના લગ્નજીવનની દરેક પળને તેઓ હજીયે યાદ કરે છે. તેમના માટે આ મૂર્તિ નથી, પણ હાજરાહજૂર વીણા હોય એવું જ તેઓ મહેસૂસ કરે છે. ૨૦૦૨માં તેઓ પરિવારની જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા એ પછી તેઓ પત્ની સાથે દેશ-વિદેશ ફરવા નીકળી પડ્યા હતા. લગભગ દસ વર્ષ પહેલાં તેઓ કારમાં કન્યાકુમારી ફરવા નીકળેલા. એ વખતે વચ્ચે આગરા નજીના દસુઆ ગામ ગયેલા. ત્યાં આરસની દેવી-દેવતાઓની મૂર્તિઓ જોયેલી.
આ પણ જુઓઃ RakshaBandhan 2019: આપણા સિતારાઓએ આવી રીતે ઉજવ્યું આ પવિત્ર પર્વ
ADVERTISEMENT
૨૦૧૨માં વીણાને બ્લડ-કૅન્સર થયું અને અચાનક થોડા જ મહિનામાં મૃત્યુ પામી. તેમને પેલી મૂર્તિઓ યાદ આવી. તેરમાની વિધિ પતાવીને તેઓ સીધા દસુઆ પહોંચ્યા. પત્નીની ફોટો બતાવીને એની મૂર્તિ બનાવવાની વાત કહી. કલાકારોએ કહ્યું કે અમને તો દેવી-દેવતાઓની મૂર્તિ આવડે છે, પણ તમે આગ્રહ કરો છો તો પ્રયત્ન કરી જોઈએ. તમે માર્બલ લાવી આપો અમે એમાંથી પ્રયત્ન કરીશું. જો બની તો ઠીક, નહીંતર માર્બલ ખરાબ. વિજય ખુદ મકરાણા ગયા અને ૩૦૦ ફુટ નીચેથી લગભગ ૨૪૦૦ કિલોનો માર્બલ પસંદ કર્યો અને મશીનથી બહાર કઢાવ્યો. કારીગરોને એમાંથી મૂર્તિ બનાવવામાં દોઢ મહિનો લાગ્યો. પાંચ ફુટ એક ઇંચની આ મૂર્તિનું વજન ૧૧૦૦ કિલો જેટલું છે. એને ઘરે લાવવા માટે ક્રેન બોલાવવી પડેલી.