દેશમાં ઑક્સિજન, વેન્ટિલેટર, બેડ, દવાઓ દરેક બાબતની અછત વર્તાઈ રહી છે
ફાઈલ તસવીર
ભારતમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ચાલી રહી છે. જે ખરેકર ખુબ ઘાતક સાબિત થઈ રહી છે. દેશના લગભગ દરેક રાજ્યમાં સરકારી હોય કે ખાનગી દરેક હૉસ્પિટલમાં ઑક્સિજન, વેન્ટિલેટર, બેડ, દવાઓ વગેરેની અછત સર્જાઈ રહી છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે આ બાબતે કેન્દ્ર સરકારને નોટિસ મોકલાવી છે. કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે, કેન્દ્ર પાસે કોરોનાવાયરસમાંથી ઉગરવા માટે શું નેશનલ પ્લાન છે? કોર્ટે હરીશ સાલ્વેની અમિકસ ક્યૂરી તરીકે નિમણૂક કરી છે.
ચાર મહત્વના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે નેશનલ પ્લાન માગ્યો છે. તેમાં પ્રથમ સવાલ ઑક્સિજનનો સપ્લાય, બીજો સવાલ દવાઓનો સપ્લાય, ત્રીજો સવાલ વૅક્સિન આપવાની પદ્ધતિ અને પ્રક્રિયા અને ચોથો સવાલ લૉકડાઉન કરવાનો અધિકાર માત્ર રાજ્ય સરકારને જ હોય, કોર્ટને નહિ, આ વિષયોનો સમાવેશ છે. હવે આ મામલાની આગામી સુનાવણી શુક્રવારે હાથ ધરાશે.
ADVERTISEMENT
મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડે, ન્યાયાધીશ એલ નાગેશ્વરા રાવ અને ન્યાયાધીશ એસ.આર. ભટની ત્રણ સભ્યોની બેન્ચે કહ્યું કે, તેઓ દેશમાં કોરોના રસીકરણની રીત સંબંધિત મુદ્દાઓ પર પણ વિચારણા કરશે. બેન્ચે કહ્યું કે, વૈશ્વિક મહામારી દરમિયામ લૉકડાઉનની જાહેરાત કરવાની હાઈકોર્ટની શક્તિના સંબંધિત પાસાની આકારણી પણ કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોરોના વાયરસ સંબંધિત મુદ્દાઓ પર છ જુદી જુદી ઉચ્ચ અદાલતોની સુનવાણીથી મૂંઝવણ ઉભી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, દિલ્હી, બોમ્બે, સિક્કિમ, કલકત્તા, અલ્હાબાદ અને ઓડિશા હાઈકોર્ટમાં કોરોના સંકટ પર સુનાવણીઓ ચાલી રહી છે.