‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત બીજેપી દ્વારા માટી ભરેલા કુંભ લઈને ગાંધીનગરથી ઇલેક્ટ્રિક વેહિકલ્સ સાથે કાર્યકરો દિલ્હી જશે : આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકમાંથી ૧.૮૨ લાખ કાર્યકરો આવશે
કચ્છના ભુજમાં ગઈ કાલે ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અમૃત કળશયાત્રા કાર્યક્રમ યોજાયો હતો. કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આવેલા માટી ભરેલા કળશોને વધાવવામાં આવ્યા હતા અને કળશયાત્રા યોજાઈ હતી. મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો એમાં જોડાયા હતા.
આજે અમદાવાદના રિવરફ્રન્ટ પર ગુજરાત બીજેપી દ્વારા ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાતની તમામ વિધાનસભા બેઠકમાંથી ૧.૮૨ લાખ કાર્યકરો આવશે. આ કાર્યક્રમ ભારતનો સૌથી મોટો અને યાદગાર કાર્યક્રમ બની રહે તેવો દાવો કરાયો છે તેમ જ ગુજરાતમાંથી એકસાથે ૭૫ ઇલેક્ટ્રિક વાહનો માટી ભરેલા કુંભ સાથે ૨૯મી ઑક્ટોબરે ગાંધીનગરથી દિલ્હી જશે, જે એક રેકૉર્ડ બનશે.
ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે આ કાર્યક્રમ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ તા. ૬ ઑક્ટોબરથી શરૂ કરવામાં આવ્યો હતો. શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ૭૫ ઇલેક્ટ્રિક વાહનોમાં કળશને ૨૯ તારીખે ગાંધીનગરથી દિલ્હી મોકલાશે.પહેલી વખત ઇલેક્ટ્રિક વ્હીકલ દ્વારા ગુજરાતથી કળશ દિલ્હી જશે, જે એક રેકૉર્ડ થશે. ગુજરાતમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ અભિયાનમાં ૧૮૨ વિધાનસભાના દરેક સ્થળે કાર્યક્રમ યોજાયો હતો અને માટી એકત્ર કરવામાં આવી હતી. દરેક વિધાનસભા ક્ષેત્રમાંથી એક હજાર કાર્યકરો કાર્યક્રમમાં આવશે એટલે ગુજરાતની તમામ વિધાનસભામાંથી આજે અમદાવાદમાં ૧ લાખ ૮૨ હજાર કાર્યકરો કાર્યક્રમમાં ભાગ લેશે તેવી સંભાવના છે. ‘મેરી મિટ્ટી મેરા દેશ’નો આ કાર્યક્રમ ભારતનો સૌથી મોટો અને યાદગાર કાર્યક્રમ બની રહેશે.’
ADVERTISEMENT
સી. આર. પાટીલે વધુમાં કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ દરમ્યાન ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ યોજવા પ્રેરણા આપી હતી. આ અભિયાનમાં દેશના જુદા-જુદા ભાગોમાંથી ૭૫૦૦ કળશ દિલ્હી લઈ જવામાં આવશે. ૩૧ ઑક્ટોબરે દિલ્હીમાં કાર્યક્રમ યોજાશે જેમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક કળશ મારફતે ભેગી થયેલી માટીથી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે.’