૧૨ વર્ષે એજબૅસ્ટનમાં ઇંગ્લૅન્ડનો સતત ૭ વન-ડે જીતવાનો સિલસિલો અટક્યો
એજબૅસ્ટનની વન-ડે મૅચ બાદ ઇંગ્લૅન્ડના હેડ કોચ બ્રેન્ડન મૅક્લમ અને વિરાટ કોહલી ગપસપ કરતા જોવા મળ્યા હતા
મંગળવારે ભારતે ઇંગ્લૅન્ડની ટૂર પર પોતાની પહેલી જીત નોંધાવી હતી. ૨૮ બૉલ પહેલાં ૨૫૯ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ભારતે ઇંગ્લૅન્ડને પહેલી વન-ડે મૅચમાં હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી જીત મેળવી હતી.
ભારત ૨૦૨૨થી ઇંગ્લૅન્ડ સામે સતત છઠ્ઠી વન-ડે મૅચ જીત્યું છે. પહેલી વખત ભારત આ હરીફ સામે સતત ૬ વન-ડે મૅચ જીત્યું છે. અગાઉ ભારત ૨૦૧૧, ૨૦૦૮ અને ૨૦૦૪-’૦૬માં આ હરીફ સામે સતત પાંચ વન-ડે જીત્યા બાદ છઠ્ઠી મૅચ જીતતાં ચૂક્યું હતું.
ADVERTISEMENT
છેક ૧૨ વર્ષ બાદ ઇંગ્લૅન્ડ એજબૅસ્ટનના મેદાન પર વન-ડે મૅચ હાર્યું છે. છેલ્લે ૨૦૧૪માં ઇંગ્લૅન્ડ આ મેદાન પર ભારત સામે ૯ વિકેટે વન-ડે મૅચ હાર્યું હતું. ત્યાર બાદ ઇંગ્લૅન્ડ આ મેદાન પર છેલ્લી ત્રણ મૅચ સહિત સતત ૭ મૅચથી જીતી રહ્યું હતું.
૭ મહિના બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે ભારત માટે રમતા જોવા મળ્યા હતા. જોકે ઓપનર રોહિત શર્મા ૨૧ બૉલમાં એક ફોરની મદદથી ૧૧ રન કરીને સેમ કરૅનની ઓવરમાં કૅચ આઉટ થયો હતો, જ્યારે ત્રીજા ક્રમે રમવા આવેલો વિરાટ કોહલી ૬ બૉલમાં એક ફોરની મદદથી પાંચ રન કરીને જોફ્રા આર્ચર સામે LBW આઉટ થયો હતો.
૨૦૧૬ પછી ભારતે ૨૫૦ પ્લસ રનના ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કર્યો હોય અેવી આ બીજી ઘટના છે જ્યાં રોહિત કે કોહલી ૫૦ રન સુધી પહોંચી શક્યા નહોતા. અગાઉ આ ઘટના ૨૦૨૨માં ઓલ્ડ ટ્રૅફર્ડ ખાતે ઇંગ્લૅન્ડ સામે બની હતી જ્યારે તેઓએ ૨૬૦ રનનો પીછો કર્યો હતો જેમાં રોહિત અને કોહલી બન્નેએ ૧૭-૧૭ રન બનાવ્યા હતા.
