હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ પર ભારતે મુક્યો પ્રતિબંધ
કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, ભારતના હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ સામેલ નહીં થઈ શકે. જો કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ચીની કંપનીઓને બહુ મોટો ફટકો પડવાનો છે.
નીતિન ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરશે કે ચીની રોકાણકારોને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમો (MSMEs) જેવા વિભિન્ન ક્ષેત્રોમાં પણ નિવેશ ન થાય. સમાચાર એજન્સી પીટીઆઈને નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, અમે સડક નિર્માણ માટે ચીની ભાગીદારવાળા સંયુક્ત ઉદ્યમોને મંજૂરી આપીશું નહીં. અમે સખત વલણ અપનાવ્યું છે કે જો ચીની કંપનીઓ સંયુક્ત ઉદ્યમ દ્વારા આવશે તો પણ અમે તેની મંજૂરી આપીશું નહીં. વર્તમાન સમયમાં કેટલીક પરિયોજના જે પહેલા શરૂ કરવામાં આવી હતી તેમાં કેટલીક ચીની કંપનીઓ સામેલ છે તે વિશે ગડકરીએ કહ્યું હતું કે, આ નિર્ણય ફક્ત નવા પ્રોજેક્ટ પર લાગુ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Coronavirus Outbreak: શહેરમાં 144ની કલમ લાગુ, રાતે નવથી સવારના પાંચ સુધી કર્ફ્યુ
નોંધનીય છે કે, પૂર્વ લદ્દાખમાં થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. બન્ને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સરકાર ચીની કંપનીઓ અને ચીની વસ્તુઓના બહિષ્કાર બાબતે એક પછી એક નિર્ણય લઈ રહી છે. સોમવારે જ સરકારે ટિકટૉક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુક્યો હતો.