વીસ વર્ષથી પૂરા ન થતા પ્રોજેક્ટને ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ
ADVERTISEMENT
નવી મુંબઈમાં છેલ્લાં ૨૦ વર્ષથી રખડી પડેલા કૉમન વેરહાઉસ પ્રોજેક્ટમાં જેમનાં નાણાં ફસાયાં છે એવા વેપારીઓ હવે ૩૧ ડિસેમ્બર સુધીમાં આ મુદ્દે કોઈ યોગ્ય નિવેડો નહીં આવે તો ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને મળશે અને તેમની વ્યથા રજૂ કરશે. નવી મુંબઈનો વિકાસ કરનારી એજન્સી સિડકોએ સાઉથ મુંબઈમાંથી વેપારીઓના સ્થળાંતર બાદ ૧૯૯૨માં વેપારીઓના વધારાના માલને રાખવા માટે દાણાબંદરની સામે બનનારા કૉમન વેરહાઉસ પ્રોજેક્ટ માટે પ્લૉટ ફાળવ્યા હતા. આ પ્રોજેક્ટ માટે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. ૨૦ વર્ષ બાદ પણ આ પ્રોજેક્ટનું ભાવિ હજી અધ્ધરતાલ હોવાથી આ પ્રોજેક્ટમાં જેમનાં નાણાં ફસાઈ ગયાં છે એવા વેપારીઓએ ગઈ કાલે અનોખી ગાંધીગીરી દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. નવી મુંબઈમાં મૂડી બજારમાં ડી-૧૨ અને ડી-૧૬ ગલીના નાકા પર આવેલા લક્ષ્મીનારાયણ મંદિર સામે આ પ્રોજેક્ટની મોટી તસવીર મૂકવામાં આવી હતી અને આશરે ૪૦૦ જેટલા વેપારીઓએ એના પર ફૂલ ચડાવીને આ પ્રોજેક્ટને જાણે શ્રદ્ધાંજલિ આપી હતી.
નવી મુંબઈ કૉમોડિટી બ્રોકર્સ ઍન્ડ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ અરુણ ભીન્ડેએ આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ પ્રોજેક્ટ માટે ઘણી લડત ચલાવી છે, પણ પ્રોજેક્ટનું કામ અટકી ગયું છે એથી નાછૂટકે અમારે આ પગલું લેવું પડ્યું છે. અમે આ પ્રોજેક્ટ માટે ૩૧ ડિસેમ્બર સુધી રાહ જોઈશું. પછી ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને મળીશું. એ વખતે અમારી સાથે આ પ્રોજેક્ટમાં જેમણે નાણાં રોક્યાં છે એïવા મૃત વેપારીઓના પરિવારજનો પણ હાજર રહેશે.’
સિડકો – CIDCO = સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોેરેશન