ફાર્મ બિલનો વિરોધ ખેડૂતો નહીં, સ્થાપિત હિતો દ્વારા થઈ રહ્યો છે: ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર બીજેપીના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે સોમવારે જણાવ્યું હતું કે લોકસભા અને રાજ્યસભામાં તાજેતરમાં જ પસાર કરવામાં આવેલા કેન્દ્ર સરકારના કૃષિ બિલોનો થઈ રહેલો વિરોધ ખેડૂતો દ્વારા નહીં, પરંતુ સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઘણા રાજકીય નેતાઓ આ ક્ષેત્રમાં તેમની સુસંગતતા સુનિશ્ચિત કરવા માટે વિરોધ કરી રહ્યા હતા તેમ ફડણવીસે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે તેના ૨૦૧૯ના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને ખાતરી આપી હતી, પરંતુ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને આપેલાં વચનો પૂરાં કર્યાં હતાં.
ADVERTISEMENT
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સંસદગૃહમાં પસાર થયેલાં બિલો ખેડૂતોને કરાર ખેતી કરવાની સુવિધા પૂરી પાડશે, ખેતી ક્ષેત્રે રોકાણો લાવશે અને ખેડૂતો પરનું ભારણ ઘટાડશે. ખેડૂતો હવે કોઈ પણ પ્રકારનો કરવેરો ચૂકવ્યા વિના તેમની પસંદગી મુજબ તેમની ઊપજનું વેચાણ કરી શકે છે. આ બિલો ક્રાંતિકારી છે.
ફડણવીસે જણાવ્યું હતું કે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ એક્ટ ૨૦૦૬માં કૉન્ગ્રેસ દ્વારા મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવ્યો હતો અને તેનાથી નાશિકના ખેડૂતોને ટામેટાં અને બટાટાની વેલ્યુ ચેઇન ઊભી કરવામાં મદદ મળી છે. સાથે જ તેમણે શિવસેના પર હુમલો કરતાં દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્ત્વ હેઠળનો પક્ષ કૃષિ ક્ષેત્ર અંગે કોઈ વલણ ધરાવતો નથી.