કોરોના-નિયમોનો ભંગ કર્યો તો ગુનો નોંધાશે
રાજ્યના મેડિકલ એજ્યુકેશનના ડિરેક્ટર ડૉ. ટી. પી. લહાણેએ ગઈ કાલે જે. જે. હૉસ્પિટલમાં કોરોના વૅક્સિન લીધી હતી.
માસ્ક પહેરો, નહીં તો જેલભેગા થાવ: મિડ-ડે સતત કડક નિયમોના પાલન વિશે જે આગ્રહ કરી રહ્યું હતું એ વાત બીએમસીએ પણ સત્તાવાર જાહેર કરી છે. એમાં મુખ્ય તો માસ્ક નહીં પહેરો તો ઇન્ડિયન પીનલ કોડની ૧૮૮મી કલમ હેઠળ ગુનો દાખલ કરવાની વાત છે. આ કલમમાં ગુનો કરનારને એક મહિનો જેલની સજાની પણ જોગવાઈ છે. આ ઉપરાંત માસ્ક નહીં પહેરનારને ૨૦૦ રૂપિયાનો દંડ કરવાની જોગવાઈ તો છે જ.
કોવિડ-19ના નવા વાઇરસે દુનિયાભરના ઘણા દેશમાં પગ ફેલાવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના પેશન્ટોની સંખ્યા ફરી વધવા લાગી હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બધાને સાવચેત રહેવાનો નિર્દેશ આપ્યો છે. કોરોના સંદર્ભે બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે વિડિયો કૉન્ફરન્સ દ્વારા સંબંધિત તમામ અધિકારીઓની ઇમર્જન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વહીવટી તંત્રે મહત્ત્વના અનેક નિર્ણયો લીધા છે. આ ઉપરાંત ‘મિડ-ડે’ સતત કડક નિયમોના પાલન વિશે જે આગ્રહ કરી રહ્યું હતું એ વાત પણ બીએમસીએ સત્તાવાર જાહેર કરી છે.
ADVERTISEMENT
બીએમસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં અમુક આ છે:
હોમ-ક્વૉરન્ટીન થયેલા લોકોના હાથ પર સ્ટૅમ્પ મારવામાં આવશે.
ક્વૉરન્ટીનના દિવસો પહેલાં પેશન્ટ ઘરની બહાર નીકળશે તો ગુનો દાખલ થશે.
રેલવેમાં માસ્ક વગરના લોકો સામે કાર્યવાહી કરવા ૩૦૦ માર્શલો નિમાશે. માર્શલોની સંખ્યામાં વધારો કરીને હવે દરરોજ ૨૫,૦૦૦ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું લક્ષ્ય અપાશે.
મંગલ કાર્યાલય, ક્લબ, રેસ્ટોરાં વગેરે ઠેકાણે રેઇડ પાડવાની સૂચના અપાશે.
પેશન્ટો વધી રહ્યા હોય એ વિભાગમાં ટેસ્ટની સંખ્યામાં વધારો થશે.
બ્રાઝિલથી આવનારા લોકોએ સરકારી બિલ્ડિંગમાં રોકાવું પડશે. બ્રાઝિલથી મુંબઈ ઍરપોર્ટ પર આવનારે સાત દિવસ ફરજિયાત ક્વૉરન્ટીન થવું પડશે.
પ્રાઇવેટ ઑફિસોમાં સરપ્રાઇઝ ચેકિંગ
કોવિડનું જોખમ હજી ટળ્યું ન હોવાથી બધા લોકો નિયમોનું પાલન કરે, નહીં તો કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે એવું સ્પષ્ટ રીતે બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલે જણાવ્યું છે. લગ્નના હૉલ, જિમ, ક્લબ, રેસ્ટોરાં, ધાર્મિક સ્થળ, રમવાનું મેદાન, ગાર્ડન, શૉપિંગ મૉલ, પ્રાઇવેટ ઑફિસો એમ સાર્વજનિક જગ્યા પર સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે. માસ્ક વગરના લોકો કે ૫૦થી વધુ વ્યક્તિ એકસાથે દેખાશે તો સંબંધિત વ્યક્તિને દંડ કરવાની સાથે એ ઠેકાણાની આસપાસના લોકો અને વ્યવસ્થાપક પર ગુનો દાખલ કરવામાં આવશે.
વર-વધૂના પેરન્ટ્સ વિરુદ્ધ પણ ગુનો
લગ્નપ્રસંગના હૉલમાં પણ બીએમસીના અધિકારીઓ તપાસ કરશે. દરરોજ આવી પાંચ જગ્યા પર છાપો મારીને તપાસ કરવામાં આવશે. કોઈ પણ નિયમનું ઉલ્લંઘન થયું તો દંડાત્મક કાર્યવાહી સાથે લગ્નના આયોજક અને વર-વધૂના પેરન્ટ્સ તેમ જ સંબંધિત વ્યવસ્થાપક વિરુદ્ધ ગુનો દાખલ થશે.
શિક્ષકોને કામે લગાડ્યા
બીએમસીની માલિકીનાં બધાં બિલ્ડિંગો, કાર્યાલયો, હૉસ્પિટલો વગેરે જગ્યાએ આવશ્યકતા પ્રમાણે બીએમસીના શિક્ષકોની નિયુક્તિ કરીને માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.