એક જ ક્લાસમાં ભણે છે બે ધોરણના વિદ્યાર્થીઓ
પ્રાઇવેટ સ્કૂલોની સ્પર્ધાને માત આપવા માટે ક્વૉલિટી શિક્ષણ આપવાનો પ્રયત્ન મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી બાજુ એક જ ક્લાસમાં બે-બે ધોરણના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે અને ખાલી કરવામાં આવેલા ક્લાસરૂમમાં શિક્ષણ વિભાગનું કાર્યાલય શરૂ કર્યું હોવાથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન થઈ રહ્યું છે અને શિક્ષકોની હાલત થઈ રહી હોવાની સાથે શિક્ષણ વિભાગના કર્મચારીઓની પણ અવહેલના થઈ રહી છે. જોકે સ્કૂલમાં આવી પરિસ્થિતિ જોવા મળી રહી હોવાથી શિક્ષણ તરફ પ્રશાસન કેટલું ગંભીર રીતે ધ્યાન આપી રહ્યું છે એ વિશે પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. પાછું એવું નથી કે સ્કૂલમાં પૂરતી જગ્યા નથી, એમ છતાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
મીરા-ભાઈંદર શહેરની જનસંખ્યા ૧૪ લાખની આસપાસ છે અને અહીં લગભગ ૨૭૫ પ્રાઇવેટ સ્કૂલો છે. એની સ્પર્ધામાં મહાનગરપાલિકાની ગુજરાતી સહિત હિન્દી, મરાઠી,
ADVERTISEMENT
ઉર્દૂ માધ્યમની ૩૬ સ્કૂલો છે એમાં અંદાજે ૭૪૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. ભાઈંદર-વેસ્ટ પરિસરમાં ભાઈંદર સેકન્ડરી સ્કૂલ આ મહાનગરપાલિકાની એક સારી સ્કૂલમાંની એક ગણાય છે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના
એક મોટા બિલ્ડિંગમાં ૬ સ્કૂલો ભરાય છે. આ સ્કૂલમાં બાલવાડી (હિન્દી-મરાઠી), ગુજરાતી મીડિયમની સ્કૂલ મરાઠી મીડિયમની સ્કૂલ ક્રમાંક ૧૬, હિન્દી મીડિયમની સ્કૂલ ક્રમાંક ૧૮ અને સ્કૂલ ક્રમાંક ૩૦, ઉર્દૂ મીડિયમની સ્કૂલ ક્રમાંક ૩૧નો સમાવેશ છે. એમાં ગુજરાતી મીડિયમની સ્કૂલ ક્રમાંક ૧૭ આ સ્કૂલના મુખ્ય બિલ્ડિંગના પહેલા માળે છે. આ ગુજરાતી સ્કૂલમાં વિદ્યાર્થીઓનો એક ક્લાસ ખાલી કરીને એ વર્ગને શિક્ષણ વિભાગે પોતાના કબજામાં લઈ લીધો છે. બે મહિના પહેલાં એમાં શિક્ષણ વિભાગનાં બધાં શિક્ષા અભિયાન (સમગ્ર શિક્ષા અભિયાન) હવે આ વિભાગના કાર્યાલયમાં શરૂ કરવામાં આવ્યાં છે. જોકે પહેલાં આ કાર્યાલય ભાઈંદરના નગર ભવન, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર બિલ્ડિંગના બીજા માળે હતું. આ વિભાગ મહારાષ્ટ્ર શાસનના મુખ્ય પ્રધાન સચિવના માર્ગદર્શન હેઠળ કામ કરે છે. સમગ્ર શિક્ષા અભિયાન આ વિભાગના રાજ્ય પ્રકલ્પ ડિરેક્ટરપદે આઇએએસ અધિકારી ડૉ. અશ્વિની જોશીની નિયુક્તિ કરવામાં આવી છે.
વિભાગના કર્મચારીઓને પણ હેરાનગતિ
ઉલ્લેખનીય છે કે એક મહત્ત્વપૂર્ણ વિભાગ સ્કૂલના એક વર્ગમાં કામ કરી રહ્યો છે. જે વર્ગમાં આ કાર્યાલય શરૂ થયું છે ત્યાં ભાઈંદર સેકન્ડરી સ્કૂલ અને મહાનગરપાલિકાની ૬ મળી કુલ ૭ સ્કૂલ એક જ પ્રિમાઇસિસમાં હોવાથી સ્કૂલ છૂટતી અને ભરાતી વખતે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે. એ ઉપરાંત આ વિભાગમાં ૧૫ કર્મચારીઓ ક્લાસમાં અંધારું હોવાથી પૂર્ણ સમય લાઇટ ચાલુ કરીને બેસે છે. વિદ્યાર્થીઓનો અવાજ ન આવે એ માટે ક્લાસનો દરવાજો કાયમ બંધ રાખે પડે છે. ક્લાસની એક જ બાજુએ વિન્ડો છે અને એ વિન્ડો નીચે કારખાનું હોવાથી ખૂબ અવાજ અને ધૂળ આવતાં હોવાથી એ વિન્ડો બંધ રાખવી પડે છે. કર્મચારીઓને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે.
ટૉઇલેટ્સ પણ અલગ-અલગ નથી
કર્મચારીઓ માટે સ્વચ્છતા ગૃહ કે ટૉઇલેટની અલગ-અલગ વ્યવસ્થા ન હોવાથી તેમણે વિદ્યાર્થીઓના ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે. એક બાજુએ કર્મચારીઓ ત્રાસ વેઠી રહ્યા છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓનું પણ નુકસાન થઈ રહ્યું છે.
અલગ ટૉઇલેટ બાંધી આપવા પત્ર મોકલાયો છે
જ્યારે આ બાબતે શિક્ષણ અધિકારી ઊર્મિલા પારધેનું કહેવું છે કે ‘મહાનગરપાલિકાનું આ બિલ્ડિંગ ઘણું મોટું છે એથી ક્લાસની ઊણપ જરાય નથી. સ્કૂલ સવારે અને બપોરે એમ બે સમયે ચાલે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા બાલવાડીના વર્ગ સવારે ૧૧.૩૦ વાગ્યા પછી ખાલી જ હોય છે તેમ જ ગુજરાતી માધ્યમના વર્ગ અને ઉર્દૂ માધ્યમના વર્ગ બપોરે હોય છે એથી અનેક વર્ગ ઉપલબ્ધ હોય છે અને એ વાપરવાની પરવાનગી પ્રિન્સિપાલને આપવામાં આવી છે. કર્મચારી માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વતંત્ર સ્વચ્છતા ગૃહ બાંધી આપવા માટે સાર્વજનિક બાંધકામ વિભાગને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોવાથી વહેલી તકે એ સુવિધા મળી રહેશે.’