માનસિક રીતે હું હંમેશાં ફૂટપાથ પર હોઉ છું: અમિત સાધ
અમિત સાધનું કહેવું છે કે તે હંમેશાં માનસિક રીતે ફુટપાથ પર રહે છે. તે પોતાની સ્ટ્રગલના દિવસોને હજી પણ યાદ રાખે છે. સ્ટ્રગલના એ સમયે તેને ઘણુંબધું શીખવાડ્યું છે. તેણે 2002માં આવેલી સિરિયલ ‘ક્યૂં હોતા હૈ પ્યાર’થી કરીઅરની શરૂઆત કરી હતી. તે ‘શકુંતલા દેવી : અ હ્યુમન કમ્પ્યુટર’, ‘યારા’ અને ‘અવરોધ: ધ સીજ વિધિન’માં જોવા મળી રહ્યો છે. પરિણામની ચિંતા તે કરતો નથી એ વિશે અમિત સાધે કહ્યું હતું કે ‘લાઇફમાં આપણે પરિણામની વધુ ફિકર ન કરવી જોઈએ. નિષ્ફળતા મળે તો નાસીપાસ ન થવું અને જો આપણી ઇચ્છા પ્રમાણે સફળતા મળે તો અહંકાર ન આવવો જોઈએ. મારું માનવું છે કે દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં સ્ટ્રગલથી પસાર થાય છે. એને કારણે માનસિક, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી અને ફાઇનૅન્શિયલી દરેક તબક્કે પરિવર્તન આવે છે. જોકે મારું માનવું છે કે મારા ફુટપાથ પરના દિવસોએ મને ઘણુંબધું શીખવાડ્યું હતું. એથી મેન્ટલી હું ફુટપાથ પર જ હોઉં છું. જો હું વિશ્વનો સૌથી બેસ્ટ ઍક્ટર પણ બની જઈશ અથવા તો બેસ્ટ રોલ પ્લે કરીશ તો પણ હું માનસિક રીતે હંમેશાં ફુટપાથ પર જ રહીશ. એ જ બાબત મને નમ્ર બનાવશે.’