નાગપુરનાં આ માજી 10 રૂપિયામાં 4 ઢોસા ખવડાવે છે
૬૧ વર્ષનાં શારદા ચોરગડે
નાગપુરમાં રહેતાં ૬૧ વર્ષનાં શારદા ચોરગડે નામનાં વૃદ્ધા શાળામાં ભણતાં બાળકો અને ગરીબ મજૂરોને ફક્ત ૧૦ રૂપિયામાં ૪ ઢોસા ખવડાવે છે. લોકોએ પૂછ્યું કે આટલા સસ્તા ભાવે ઢોસા શા માટે ખવડાવો છો? ત્યારે શારદાઆજીએ કહ્યું કે ગરીબી અને ભૂખની પીડા હું જાણું છું. હું અને મારો દીકરો અનેક રાત ભૂખ્યા પેટે સૂતાં છીએ. અછત અને અભાવ અસહ્ય બનતાં સાતેક વર્ષો પૂર્વે શારદાઆજીએ ઢોસા બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ એમાં પણ ઝાઝો નફો કમાવાની ઇચ્છા રાખતાં નથી. જેમ પોતાની જરૂરિયાત પૂરી થાય એમ અન્ય ભૂખ્યા લોકોને પણ પેટમાં ટાઢક વળે એ માટે શરૂઆતમાં બે રૂપિયામાં એક ઢોસો વેચતાં હતાં. શારદાઆજી પોતાનું ઘર જાતે ચલાવે છે છતાં માને છે કે ‘અન્યો કરતાં તો મારી સ્થિતિ ખૂબ સારી છે.’