સંસારને અલવિદા કરતી દીક્ષાર્થીની મહાભિનિષ્ક્રમણ યાત્રા અને મહાતપસ્વીની સન્માનયાત્રા પૅરૅડાઇઝ પરિવારના આંગણેથી પ્રારંભ થઈને જુહુના રાજમાર્ગોને ગજવશે
દીક્ષા
દેશ-વિદેશના લાખો ભાવિકો જેમને પારણાં કરાવવા માટે સાકર અર્પણ કરીને ધન્ય બન્યા છે એવા અખંડ ૧૦૦૮ આયંબિલ તપ આરાધિકા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીનાં પારણાં અવસર-મહાતપોત્સવ તેમ જ સમગ્ર સંસાર ત્યજીને દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલાં દીક્ષાર્થી મુમુક્ષુ શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુનો દીક્ષા મહોત્સવ આજે રવિવાર ૨૦૨૪ની ૨૮ એપ્રિલે સવારે ૮.૩૦ વાગ્યે મુંબઈના વિલે પાર્લે સ્થિત માલિનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હૉલ, ઋતંભરા કૅમ્પસ, જે.વી.પી.ડી. સ્કીમ ખાતે યોજાશે.
સમગ્ર સ્થાનકવાસી સમાજમાં પ્રથમ વાર આવી ઉગ્ર તપસાધના કરનારાં મહાતપસ્વી મહાસતીજીના તપનું સન્માન કરતી ‘તપ સન્માન યાત્રા’ તેમ જ દીક્ષાર્થીની ‘મહાભિનિષ્ક્રમણ યાત્રા’ આજે સવારે ૭.૦૦ વાગ્યે શ્રી વાડીલાલભાઈ મોહનલાલ શાહ (પૅરૅડાઇઝ પરિવાર)ના હસ્તે શ્રી શીલાબહેન ચંદ્રકાંતભાઈ શાહના નિવાસસ્થાન - પૅરૅડાઇઝ ટાવર, જુહુ સ્કીમ ખાતેથી પ્રારંભ થઈને ત્યાગનો જયકાર કરતી, ગાજતી-ગુંજતી ઋતંભરા કૅમ્પસ ખાતે પધારશે. અનેક સંપ્રદાયનાં સંત-સતીજીઓ, સમગ્ર મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત આદિ અનેક ક્ષેત્રોના શ્રી સંઘો, શ્રેષ્ઠિવર્યો, રાજકીય મહાનુભાવો, મહિલા મંડળો, યુવક મંડળો અને હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં તેમ જ લાઇવના માધ્યમે જોડાયેલા દેશ-વિદેશના લાખો ભાવિકોની સાક્ષીએ મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાશે.
ADVERTISEMENT
આ અવસરે મુમુક્ષુ આત્મા પોતાના સંસારજીવનનું અંતિમ વક્તવ્ય આપીને પોતાના અંતરની સંયમ ભાવનાને અભિવ્યક્ત કરીને, માતા-પિતા, ગુરુવર્યો આદિ ઉપકારી તત્ત્વો પ્રત્યે ઉપકારવેદન કર્યા બાદ વેશપરિવર્તન કરશે. સંસારી રંગીન વસ્ત્રોનો ત્યાગ કરીને, શ્વેત વસ્ત્ર પરિધાન કરીને મુંડિત મસ્તકે પધારનાર મુમુક્ષુ આત્માને પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષામંત્ર અને રજોહરણના દિવ્ય દાનની અર્પણતા સાથે તેમનો સંયમ જીવનમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવશે.
ને બીજી તરફ અખંડ ૧૦૦૮ દિવસ સુધી માત્ર લૂખા-સૂકા આહાર સાથેની આયંબિલ તપની અજોડ આરાધના કરનારાં મહાતપસ્વી પૂજ્ય મહાસતીજીને લાખો ઘરોમાંથી અર્પણ કરવામાં આવેલી સાકરના જળથી ગુરુ ભગવંતના શ્રીહસ્તે, હજારો ભાવિકોની અનુમોદનાના પ્રસરતા ભાવો વચ્ચે પારણાં કરાવીને તેમની તપસાધનાને વિરામ આપવામાં આવશે. તપધર્મ અને સંયમધર્મની અનુમોદનાના અવસરે પધારીને જીવનને ધન્ય-ધન્ય બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી વિલે પાર્લે સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.