ગૃહિણીનાં કાર્યનું મૂલ્ય પગારદાર પતિ કરતાં સહેજ પણ ઓછું નથી: સુપ્રીમ
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ઘરમાં ગૃહિણીનાં કાર્યનું મહત્ત્વ તેના ઑફિસે જતા પતિ કરતાં સહેજ પણ ઓછું નથી અને સુપ્રીમે દિલ્હીમાં એપ્રિલ, ૨૦૧૪માં કારની ટક્કરથી સ્કૂટર પર સવાર દંપતીના સંબંધીઓના વળતરની રકમ વધારી હતી.
જસ્ટિસ એન. વી. રામન અને સૂર્યકાંતની બેન્ચે વળતરની રકમ ૧૧.૨૦ લાખ વધારીને ૩૩.૨૦ લાખ રૂપિયા કરી હતી, જે મૃતકના પિતાને ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મે, ૨૦૧૪થી ૯ ટકાના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવામાં આવશે.
ADVERTISEMENT
જસ્ટિસ રામને ૨૦૦૧ના લતા વાધવા કેસમાં એક ફંક્શન દરમ્યાન લાગેલી આગના પીડિતોના વળતર અંગેના સુપ્રીમના ચુકાદાને ટાંક્યો હતો, જેમાં ઘરમાં ગૃહિણીઓ દ્વારા કરવામાં આવતી સેવાના આધારે તેમને વળતર મળવું જોઈએ તેવું ઠરાવ્યું હતું.
સાથે જ તેમણે નૅશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસનો તાજેતરનો અહેવાલ ટાંક્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે સરેરાશ ધોરણે મહિલાઓ દિવસની લગભગ ૨૯૯ મિનિટ જેટલો સમય પરિવારના સભ્યો માટે જેનું વળતર ચૂકવવામાં ન આવતું હોય તેવી ઘરેલુ સેવાઓ બજાવવામાં વિતાવે છે, જ્યારે પુરુષોમાં આ પ્રમાણ ૯૭ મિનિટ જેટલું હોય છે.