હિન્દુ જન નાયક હિન્દુ હૃદયસમ્રાટનો વિકલ્પ બનશે?
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ છત્રપતિ શિવાજી મહારાજની રાજમુદ્રાને કેન્દ્રમાં રાખીને નવો ભગવો પક્ષધ્વજ અપનાવ્યા પછી બંગલાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને દેશમાંથી ભગાડવાની માગણી સાથે યોજાયેલા મોરચામાં ‘હિન્દુ જન નાયક’ લખેલાં ટી-શર્ટ્સ પહેરીને હજારો લોકોએ ભાગ લીધો હતો, પરંતુ એકંદરે છેલ્લાં કેટલાંક વર્ષોમાં રાજ ઠાકરેના મોરચા અને જાહેર સભાઓમાં લોકોની હાજરીમાં ઘટાડો નોંધપાત્ર બન્યો છે. ૨૦૧૨માં આઝાદ મેદાનની હિંસાના વિરોધમાં રાજ ઠાકરેએ યોજેલા મોરચા અને સભામાં એકઠા થયેલા લોકોની સરખામણીમાં ગઈ કાલે ઓછા લોકો સામેલ થયા હોવાની ચર્ચા ચાલતી હતી. મોરચામાં સામેલ થવા માટે નાશિક, પુણે, નવી મુંબઈ અને થાણેથી મનસેના કાર્યકરોની બસો બપોરે બાર વાગ્યાથી મરીન લાઇન્સના દરિયાકિનારે પહોંચવાની શરૂઆત થઈ ગઈ હતી.