શિવસેનાને એનડીએમાં સ્થાન નહીં મળે : રામ માધવ
રામ માધવ
બીજેપી-શિવસેના યુતિ તૂટવાની અધિકૃત જાહેરાત માત્ર બાકી રહી છે. આ બન્ને પક્ષમાં હવે આરોપ-પ્રત્યારોપે માથું ઊંચક્યું છે. બીજેપી નેતા રામ માધવે ગઈ કાલે સખત શબ્દોમાં શિવસેનાને વખોડી હતી. ભવિષ્યમાં હવે ક્યારે પણ શિવસેના નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ સાથે નહીં રહી શકે એવું માધવે માવળમાં એકઠી થયેલી જનતાને સંબોધતાં કહ્યું હતું. બીજેપી સતત ટીકાઓ વરસાવતા સંજય રાઉત પર નિશાન તાકતાં કહ્યું હતું કે રાઉત તો શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના જોસેફ ગોબેલ્સ છે.
હિન્દુત્વની સમાન ઉદ્દેશ સાથે દેશમાં સૌથી વધુ સમય માટે ટકેલી બીજેપી-શિવસેના યુતિ હવે કામય માટે તૂટી જશે એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ખોટું બોલનારાઓ સાથે અમારે મિત્રતા નથી રાખવી એવું શિવસેનાએ જાહેરમાં કહ્યું હતું. આથી વર્ષોનાં વર્ષ બન્ને મિત્રમાં ઊભી તિરાડ પડી હતી અને આજે એકમેકની વિરુદ્ધ ટીકાસ્ત્રો છોડવામાં આવતાં હોવાથી રાજ્યમાં બીજેપીના નેતૃત્વ બાદ હવે બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ પર પણ શિવસેનાએ બાણ છોડવાના શરૂ કરી દીધા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજ્યમાં સરકારની રચના : સોનિયા ગાંધી અને શરદ પવાર રવિવારે ચર્ચા કરશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રની સ્થિતિ પર બુધવારે પહેલી વાર પ્રતિક્રિયા આપીને રાષ્ટ્રપતિશાસન લાગ્યું એના માટે શિવસેનાને જવાબદાર ઠેરવી હતી. મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપી શકાઈ નહીં એના માટે શિવસેનાનું જક્કી વલણ કારણભૂત છે એવો આક્ષેપ શાહે કર્યો હતો. ત્યાર બાદ ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય સ્તરના નેતા રામ માધવે પણ શિવસેના પર ટીકાસ્ત્રો છોડ્યાં હતાં.