રાજ્યમાં સરકારની રચના : સોનિયા ગાંધી અને શરદ પવાર રવિવારે ચર્ચા કરશે
સત્તાની સાઠગાંઠ : સત્તાવહેંચણી માટે કૉન્ગ્રેસ, શિવસેના અને એનસીપીના દિગ્ગજોએ ગુરુવારે સામાન્ય લઘુતમ કાર્યક્રમ માટે મીટિંગ યોજી ચર્ચા કરી હતી.
કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને એનસીપીના પ્રમુખ શરદ પવાર આવતા રવિવારે દિલ્હીમાં મહારાષ્ટ્રમાં સરકારની રચના વિશે ચર્ચા કરશે. કૉન્ગ્રેસ અને એનસીપી શિવસેના સાથે કૉમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કર્યા પછી એ વિષય પર ૧૭ નવેમ્બરે સોનિયા ગાંધી અને શરદ પવારની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કૉમન મિનિમમ પ્રોગ્રામ રચાયા પછી શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ બન્ને નેતાઓને મળશે કે નહીં એ હજી સુધી નક્કી કરાયું નથી.
કૉમન મિનિમમ પ્રોગ્રામની પ્રાથમિક ચર્ચા માટે બુધવારે કૉન્ગ્રેસ અને એનસીપીની સમન્વય સમિતિની બેઠક યોજાઈ હતી. એ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગઈ કાલે સવારે રાજ્ય સ્તરે કૉન્ગ્રેસના પ્રમુખ બાળાસાહેબ થોરાત અને એનસીપીના પ્રમુખ જયંત પાટીલ ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. એમાં ત્રણ નેતાઓએ પ્રાથમિક ચર્ચા કરી હતી. કૉમન મિનિમમ પ્રોગ્રામનો દસ્તાવેજ ઘડવા માટે ચોવીસ કલાકમાં એ ત્રણ નેતાઓની બીજી બેઠક પણ નક્કી કરવામાં આવી હતી. ત્યાર પછી એ દસ્તાવેજ ત્રણેય પક્ષોના ટોચના નેતાઓને મોકલવામાં આવશે.’