બે દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં ૬ સભાઓ સંબોધશે મોદી : આજે ડીસામાં ભરતડકે સભા યોજાવાની હોવાથી ૧૦ હેલ્થ-ટીમ, ૬ ઍમ્બ્યુલન્સ તેમ જ ૩૦ હજાર ORSનાં પૅકેટની વ્યવસ્થા
નરેન્દ્ર મોદી
આજે ગુજરાતના સ્થાપનાદિનથી ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારસભાઓ ગજવવા આવી રહ્યા છે અને બે દિવસમાં તેઓ ઉત્તર અને મધ્ય ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં છ સભાઓ સંબોધશે.
આજે બનાસકાંઠાના ડીસા ઍરોડ્રોમ ગ્રાઉન્ડમાં બપોરે ૨.૩૦ વાગ્યે બનાસકાંઠા અને પાટણ લોકસભા માટે નરેન્દ્ર મોદી પહેલી સભા સંબોધશે. આ સભા માટે ડીસાના વિધાનસભ્ય પ્રવીણ માળી સહિતના BJPના આગેવાનોએ કમર કસી છે અને તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અંદાજે એક લાખ જેટલી મેદનીને સમાવી શકે એટલા વિશાળ ગ્રાઉન્ડમાં બપોરે સભા યોજાવાની હોવાથી શ્રોતાઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી છે. ડીસા તાલુકા હેલ્થ-ઑફિસર ટી. એમ. ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સભાસ્થળે ૧૦ હેલ્થ-ટીમો રાખવામાં આવશે. દરેક ટીમમાં એક ડૉક્ટર અને ત્રણ પૅરામેડિકલ સ્ટાફ સહિત કુલ પાંચ જણની ટીમ હશે. આ ઉપરાંત સભાસ્થળે છ ઍમ્બ્યુલન્સ રાખવામાં આવશે જેથી કોઈ ઇમર્જન્સી આવે તો પ્રાથમિક સારવાર આપી શકાય તેમ જ હૉસ્પિટલાઇઝ કરવાની જરૂર જણાય તો ઍમ્બ્યુલન્સમાં લઈ જઈ શકાય. સભાસ્થળે ૩૦ હજાર ઓરલ રીહાઇડ્રેશન સૉલ્ટ્સ (ORS)નાં પૅકેટની વ્યવસ્થા કરી છે.’
આજે ડીસા ઉપરાંત બપોર બાદ સાંજે સવાચાર વાગ્યે સાબરકાંઠા, મહેસાણા લોકસભા અને વિજાપુર વિધાનસભા માટે સાબરકાંઠાના હિંમતનગર ખાતે હિંમતનગર–પ્રાંતિજ રોડ પર વિજય-વિશ્વાસ સભા યોજાશે.
ADVERTISEMENT
ગુરુવારે બીજી મેએ સવારે ૧૦ વાગ્યે આણંદ અને ખેડા લોકસભા તેમ જ ખંભાત વિધાનસભા માટે આણંદ પાસે વલ્લભ વિદ્યાનગર ખાતે સભા યોજાશે. ત્યાર બાદ બપોરે ૧૨ વાગ્યે સુરેન્દ્રનગર, રાજકોટ અને ભાવનગર લોકસભા માટે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર–રાજકોટ રોડ પર સભા યોજાશે; બપોરે સવાબે વાગ્યે જૂનાગઢ, પોરબંદર અને અમરેલી લોકસભા તેમ જ માણાવદર વિધાનસભા માટે જૂનાગઢમાં અને સાંજે સવાચાર વાગ્યે જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે.