ભારતીય જનતા પાર્ટી (BJP) સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનથી ચિંતિત થયેલી BJP માટે મોટી રાહત થઈ છે
ગઈ કાલે મહારાષ્ટ્રના ધારાશિવમાં યોજાયેલી એક ચૂંટણીસભામાં ત્રિશૂલ સાથે નરેન્દ્ર મોદી.
આજથી બે દિવસ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીસભાઓ કરવા આવી રહ્યા છે ત્યારે પરષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી (BJP) સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનથી ચિંતિત થયેલી BJP માટે મોટી રાહત થઈ છે કે ક્ષત્રિય સમાજ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સભામાં ક્યાંય વિરોધ નહીં કરે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને દહેશત છે કે કોઈ હિતક્ષત્રુઓ, રાજકીય હિત ધરાવતી વ્યક્તિઓ પોતાનો બદઇરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એટલે નરેન્દ્ર મોદીની સભાસ્થળે વિરોધ નહીં કરવા સમાજને અપીલ કરી છે.
ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના મુખ્ય સંકલનકર્તા રમજુભા જાડેજાએ સમસ્ત ક્ષત્રિય સમાજને સંદેશ પાઠવતાં જણાવ્યું છે કે ‘BJPવિરોધી મતદાનની નીતિ યથાવત્ છે અને બૉયકૉટ-BJP સાથે લોકશાહી ઢબે ક્ષત્રિય અસ્મિતા-આંદોલન ચાલુ રહેશે અને BJPવિરોધી સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે આહ્વાન કરીએ છીએ. સંકલન સમિતિના આગેવાનોના અભિપ્રાય તથા કોર કમિટીમાં થયેલી ચર્ચા-વિચારણા મુજબ હાલમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા-આંદોલનના ધ્યેયને ભટકાવવા, અવળા પાટે ચડાવવા અને શાંતિ ડહોળવા કોઈ કૃત્ય કરશે કે કોઈ હિતક્ષત્રુઓ, રાજકીય હિત ધરાવતી વ્યક્તિઓ પોતાનો બદઇરાદો પાર પાડવા માટે કંઈક કાંકરીચાળો કરે એવી ભીતિ સેવાઈ રહી છે ત્યારે વડા પ્રધાનથી લઈને સામાન્ય જન સુધી કોઈનો પણ વિરોધ કરવાનો નથી તેમ જ તેમની સુરક્ષા જોખમાય કે ખામી ઊભી થાય એવું ક્ષત્રિય સમાજ ક્યારેય પણ વિચારે નહીં માટે ક્ષત્રિય સમાજને વિનંતી છે કે વડા પ્રધાનની ચૂંટણીસભાઓ, રૅલીઓ તથા સંમેલનો જેવા કાર્યક્રમનાં સ્થોળોએ વિરોધ કરવાથી દૂર રહી આપણું ક્ષત્રિય અસ્મિતા-સંમેલન લોકશાહી ઢબે ચાલુ રાખીને મતદાનના દિવસે ૧૦૦ ટકા મતદાન આપણા ધ્યેય અનુસાર દરેક ગામ, શહેર, તાલુકા, જિલ્લા લેવલના બૂથ સુધી કરાવીએ.’