ગુજરાત હાઈ કોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું
પ્રતીકાત્મક તસવીર
કોરોનાકાળમાં તમામ તહેવારોની જેમ ઉત્તરાયણની ઉજવણી વિશે પણ અસમંજસની સ્થિતિ ઊભી થઈ હતી ત્યારે ગઈ કાલે ગુજરાત હાઈ કોર્ટે ઉત્તરાયણની ઉજવણી માટે ગ્રીન સિગ્નલ આપ્યું છે. ઉત્તરાયણ પર સંપૂર્ણ પ્રતિબંધની માગ હાઈ કોર્ટે નકારી હતી. સાથે જ સરકારે ૧૩ મુદ્દાનો પરિપત્ર કરવાની ખાતરી આપી છે, જેનો કડક અમલ કરવા હાઈ કોર્ટે આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં રજૂ કરેલી માર્ગદર્શિકા મુજબ ધાબા, મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી નહીં શકાય. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ નહીં શકે. ફ્લૅટમાં ભીડ ભેગી થઈ તો ચૅરમૅન જવાબદાર ગણાશે. ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ રાત્રિ કરફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.