કર વાર હર બાર, લગાતાર; ભૂલના નહીં, ભૂલને દેના નહીં હૈ
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
આજે ફરી વખત વાત કરવી છે પાકિસ્તાનની અને એના પર સોમવારે મોડી રાતે થયેલા ઍરર્ફોસના અટૅકની. ચાણક્યની વાત પરથી બ્રેક લઈને કહેવું છે કે આપણે એ કામ કરી દેખાડ્યું જે કામ કરવાની આપણી ક્ષમતા હતી. આપણે પુરવાર કર્યું કે આપણી સરકાર બંગડી પહેરીને નથી બેઠી અને આપણી સેનાનો ડ્રેસકોડ પણ સાડી નથી. સહિષ્ણુ છીએ, પણ અમારી સહિષ્ણુતાને તમે કોઈ હિસાબે નામર્દાનગીનું નામ ન આપો. ન ધારો એવું તમે કે આપણે કંઈ પણ કરીએ; પણ આ હિન્દુત્વ વિચારધારા ધરાવતી સેના તો ચૂપ જ રહેશે, રડતી જ રહેશ.
ADVERTISEMENT
સોમવારે રાતે ૩.૩૦ વાગ્યે વાર થયો અને લગાતાર ૨૧ મિનિટ સુધી વાર થતા રહ્યા. પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કૅમ્પો પર મોત વરસતું રહ્યું અને ભારતીય ઍરર્ફોસ જગતમાંથી આતંકવાદીને નામશેષ કરતી રહી. જરૂરી હતું સાહેબ. લાઇન ઑફ કન્ટ્રોલની પેલે પાર ચાલી રહેલા આતંકવાદથી માત્ર ભારત જ નહીં; જગત આખું ત્રાસી ગયું છે, થાકી ગયું છે. તોફાની છોકરાઓનાં તોફાનોને તમે અવગણ્યા કરો એટલે જો એ બાળક એવું ધારી લે કે આપણને ડારો આપતાં નથી આવડતું કે આપણને મારતાં નથી આવડતું તો આ એ બાળકની ભૂલ છે, બાળકને ફડાકો મારનારાં માબાપનો નહીં. ભારત પાકિસ્તાનનું પપ્પા છે એ વાત પાકિસ્તાને પણ સમજી લેવી પડશે. સનાતન સત્ય તમે જેટલું જલદી સમજો અને જેટલી ત્વરા સાથે સ્વીકારો એ તમારા જ હિતમાં હોય છે.
હોશિયારી દેખાડવાની હોય, મર્દાનગી પણ દેખાડવાની હોય; પરંતુ એ દેખાડવાની જગ્યા પણ હોય. જો તમે ખોટી જગ્યાએ ખોટી રીતે હોશિયારી દેખાડવા જાઓ તો તમે હેરાનપરેશાન થઈ જાઓ. જો તમે એવું કરવા ન માગતા હો તો તમારે સમય અને સંજોગોને આધીન થઈને જીવવું જોઈએ. જો તમને એવું લાગતું હોય કે તમે હુમલો કરી શકો એમ છો તો જ તમે એ વિશે બોલો. ખોટી વાત અને એ પણ જાહેર મંચ પર આંતરરાષ્ટ્રીય કાનોને સંભળાય એ રીતે બોલો તો પછી નાક કપાય અને કપાયેલા નાકે જીવવાની જરૂર નથી.
આ પણ વાંચો : મિશન પાકિસ્તાન : બંધ કરો વેપાર, આદાન-પ્રદાન; બહિષ્કાર જ બેસ્ટ છે
ભારતે કહ્યું હતું કે એણે સેનાને સત્તા આપી દીધી છે, સેના યોગ્ય સમયે એને જે યોગ્ય લાગશે એ પગલું ભરશે. થયું પણ એવું જ છે. સેનાએ પોતાની રીતે યોગ્ય સમયે ઘા કર્યો અને એ ઘા એવો કર્યો જેની કળ વળવામાં પણ લાંબો સમય નીકળી જાય. ભારત સરકાર અને ભારતીય સેનાએ કરેલો ઘા ખરેખર બુદ્ધિપૂર્વકનો છે. એવા લોકોને ભારતે હણ્યા છે જેમના મોતની પુષ્ટિ કરવામાં પણ પાકિસ્તાનને તકલીફ પડવાની છે. પાકિસ્તાને ઑફિશ્યલ એવી જાહેરાત કરી છે કે ભારતીય સેનાએ બૉમ્બાર્ડિંગ કર્યું છે એ સાચું છે, પણ એમાં જાનમાલને કોઈ નુક્સાન થયું નથી. ભારતે પૃથ્વી પરથી બસો લોકોને ઓછા કર્યા અને એ પછી પણ પાકિસ્તાન આ વાત સ્વીકારી નથી શકતું. આનાથી મોટી નામર્દાનગી બીજી કઈ હોઈ શકે એ તો જરા વિચારો.