આજે રાધા ગોપીનાથ મંદિરનાં દેવી-દેવતાનાં વસ્ત્રો ડિઝાઇન કરતા ચેતન તન્નાને મળો: ભૌતિકવાદથી ઘેરાયેલી ફૅશનની દુનિયામાં એક વાર પ્રવેશ લેનાર દિવસે ને દિવસે એની માયામાં સપડાય, પણ ફૅશન-ડિઝાઇનર ચેતન તન્ના નોખી રીતે જીવે છે પોતાના પૅશનને
જ્વેલરી કૉન્સેપ્ટનો ડ્રેસ મોતી અને એમરલ્ડથી બનાવવામાં આવ્યો છે.
ઇસ્કૉનનાં ભવ્ય મંદિરો જોઈએ ત્યારે આપણે ભક્તિભાવમાં અભિભૂત થઈ જઈએ છીએ, પણ ક્યારેય એવો વિચાર આવે કે દેવી-દેવતાનાં ભવ્ય વસ્ત્રો કઈ રીતે અને કોના દ્વારા બનાવવામાં આવે છે? દરેક મંદિરમાં દેવી-દેવતા માટે પોશાક બનાવવાની પરંપરા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મોટાં-મોટાં મંદિરોમાં તો ખાસ ડિઝાઇનર્સને એવું ઉત્કૃષ્ટ કામ કરવા માટે આમંત્રિત કરવામાં આવે છે; કારણ કે આ વસ્ત્રો ફક્ત સજાવટ માટે નથી હોતાં, એ દેવી-દેવતાને ભક્તિ અને પ્રેમથી કરેલું અર્પણ હોય છે.
ફૅશન-ડિઝાઇનર ચેતન તન્ના
ADVERTISEMENT
પ્રભુનો નાઇટ ડ્રેસ.
ઇસ્કૉનમાં પણ દેવી-દેવતાને શ્રેષ્ઠ પોશાક પહેરાવવાની આવી પરંપરા સચવાયેલી છે જેને લીધે ભગવાનને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્ત્રો આજે પણ અર્પણ કરવામાં આવે છે. સી. પી. ટૅન્કમાં રહેતા બાવન વર્ષના ચેતન તન્ના આવા જ ડિઝાઇનરોમાંના એક છે જે કેટલાંક વર્ષોથી ચોપાટી પર ભારતીય વિદ્યા ભવન પાસે આવેલા ઇસ્કૉનના રાધા ગોપીનાથ મંદિરનાં દેવી-દેવતાનાં વસ્ત્રો ડિઝાઇન કરીને સેવાકાર્ય કરી રહ્યા છે. ચેતનભાઈ આમ તો પુરુષોના સ્ટાઇલિશ અને એથનિક વેઅરની પ્રખ્યાત બ્રૅન્ડ કોરા સાથે કામ કરે છે. સાથોસાથ ઈશ્વરભક્તિમાં પહેલેથી જ રુચિ હોવાથી વર્ષોથી ઇસ્કૉન મંદિર સાથે જોડાયેલા છે. નીતા અંબાણીના ઘરે ઍન્ટિલિયામાં અને ઈશા અંબાણીના ઘર કરુણાસિંધુમાં મૂર્તિઓના ડ્રેસિંગ માટે પણ તેઓ ગયા છે. પોતે સામાન્ય ફૅશન-ડિઝાઇનરમાંથી દેવી-દેવતાનાં પરંપરાગત વસ્ત્રોના ડિઝાઇનર કઈ રીતે બન્યા એ વિશેની રસપ્રદ માહિતી આપતાં ચેતનભાઈ કહે છે, ‘મારા પપ્પાનો ઍર-કન્ડિશનરનો ધંધો, પણ મને તો બાળપણથી જ ફૅશનમાં રુચિ. મારા શોખને જોઈને ઘરમાંથી પણ સપોર્ટ મળેલો. એ લોકો કહે કે તને જેમાં રુચિ હોય એ જ કર એટલે હું ઍર-કન્ડિશનિંગના ધંધાને બદલે ફૅશનનો બિઝનેસ શીખ્યો. આમ તો મેં કૉમર્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે, પણ ફૅશનમાં રુચિ હોવાને લીધે એ દિવસોમાં મારા એક મિત્રને ત્યાં જતો. તેની સલવાર-કમીઝની દુકાન હતી એટલે તેની પાસેથી શીખતો. પછી ફૅશનમાં ડિપ્લોમા કર્યો. હવે તો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં લગભગ ૨૭ વર્ષ થયાં. પહેલેથી જ ચોપાટી પર આવેલા ઇસ્કૉનના રાધા ગોપીનાથ મંદિરમાં શ્રદ્ધા હોવાથી મારે ત્યાં સેવાકાર્યમાં જવાનું થાય. શરૂઆતમાં મફતલાલ મિલનાં રેખા મફતલાલને અસિસ્ટ કરવા મેં ત્યાંનાં દેવી-દેવતાનાં વસ્ત્રોનું ડિઝાઇનિંગ કર્યું હતું એટલે ઇસ્કૉનનું મૅનેજમેન્ટ મારા કામથી પરિચિત થયેલું. ૨૦૧૨માં એક ટ્રૅજેડી થઈ જેના પરિણામે આ સેવાકાર્ય મારા ભાગે આવ્યું. ત્યાંનું ડિઝાઇનિંગ જેઓ હૅન્ડલ કરતા તે બ્રહ્મચારી અને બીજા એક ડિઝાઇનરનું નેપાલમાં પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયું. ત્યારે મંદિરમાં ડિઝાઇનિંગ હૅન્ડલ કરે એવું કોઈ બીજું હતું નહીં. એટલે મારા કામથી પરિચિત હોવાથી એ લોકોએ મને આ વિશે પૂછ્યું અને મેં પણ સહર્ષ સ્વીકાર્યું. મારો પહેલો અનુભવ બહુ સારો હતો. બધા મદદ કરતા હતા. મારે મારી નોકરી પણ હોય એટલે અડધો દિવસ હું મંદિરમાં કામ કરું. ડિઝાઇનિંગ કરીને બાકીનું કામ ત્યાંના લોકો કરે. બાકીનો દિવસ મારી નોકરી કરું.’
ગીત ગોવિંદ ડ્રેસ, એના પર ગીત ગોવિંદ લખેલું છે.
થીમ આધારિત વસ્ત્રો
આમ તો ચેતનભાઈ ઇસ્કૉન સિવાય ઘણી વાર પર્સનલ મંદિર માટે પણ કપડાં બનાવે છે. કપડાં ઉપરાંત ડ્રેસિંગમાં પણ તેમની સારીએવી હથોટી છે. તેમણે વૃંદાવનના રાધારમણ મંદિર માટે, બરસાણામાં રાધારાણી મંદિર લાડલીલાલ માટે અને આદિકેશવ મંદિર-પ્રયાગરાજ માટે પણ ડિઝાઇનિંગ કર્યું છે એવું જણાવતાં ચેતનભાઈ કહે છે, ‘ઇસ્કૉન માટે કપડાં તૈયાર કરવાનાં હોય ત્યારે મોટા ભાગે અમે અલગ-અલગ થીમ પસંદ કરીએ છીએ. જગન્નાથપુરીમાં જગન્નાથજીને ગીત ગોવિંદ ડ્રેસ હંમેશાં અંત:વસ્ત્ર તરીકે પહેરાવવામાં આવે છે. જગન્નાથજીને ગીત ગોવિંદ બહુ પસંદ એટલે ત્યાં એ થીમ પર આધારિત વસ્ત્રો છે. મૂર્તિઓનાં ઉપરનાં વસ્ત્રો બદલાય, પણ અંદરનાં વસ્ત્રો એમ ને એમ જ હોય. એટલે અમે પણ ગીત ગોવિંદ પર એક ડ્રેસ બનાવ્યો. આજથી લગભગ સાત-આઠ વર્ષ પહેલાં આવું કરેલું. આ સિવાય જ્વેલરીની થીમ પર ડ્રેસ બનાવ્યો છે. જન્માષ્ટમીમાં તાંજોર પેઇન્ટિંગ પર ડ્રેસ બનાવ્યા છે. એમાં ગોલ્ડન લીફ ફૉઇલ પ્રિન્ટ પર હસ્તકલા કરીને બનાવેલો ડ્રેસ છે. એક વર્ષમાં આ રીતે લગભગ અગિયારેક ડ્રેસ બને છે. આ સિવાય દરેકના શયન દર્શન સમયના નાઇટ ડ્રેસ પણ હોય છે. ક્યારેક રાધારાણીના ડ્રેસમાં અલગ-અલગ કટ્સ આપીએ, સ્કર્ટમાં કે બ્લાઉઝની સ્લીવ્ઝમાં કશુંક નવું કરીને પૅટર્ન આપીએ. વસ્ત્રોમાં નવા કલર વાપરીએ, દુપટ્ટામાં કશુંક નવું કરીએ. કાપડ માર્કેટમાં શું નવું આવ્યું છે એ હિસાબે પસંદ કરીએ. અમે ૧૦ વર્ષ પહેલાં એક ડિજિટલ પ્રિન્ટના ડ્રેસની થીમ કરેલી.’
ગોટા પટ્ટી રાજસ્થાની સ્ટાઇલ ડ્રેસ.
આધ્યાત્મિક અનુભવ
કોઈ પણ મૂર્તિ માટે કપડાં નક્કી કરીએ તો દર વખતે નવું-નવું કરવાની કોશિશ કરીએ એવું જણાવતાં ચેતનભાઈ કહે છે, ‘ગીત ગોવિંદ ભગવાનને બહુ ગમે તો એ થીમ પર નાઇટ ડ્રેસ બનાવ્યો છે. આવી જ થીમ પરથી હમણાં અનંત અંબાણીનાં લગ્નમાં લવ-લેટર પર ડ્રેસ બનાવેલો, જે અમે સાત-આઠ વર્ષ પહેલાં કરી ચૂક્યા છીએ. વસ્ત્ર ધારણ કરવાની ક્રિયામાં અમે સાથે જ હોઈએ. અમારું આખું ડેકોરેશન થીમઆધારિત હોય છે. એમાં બૅકડ્રૉપ આવે, ફૂલોનો શણગાર આવે, ફૂલહાર અને મૅચિંગ ઘરેણાં વગેરે નક્કી કરવામાં આવે. થીમ હિસાબે કામ થાય. અમે ૧૧ વર્ષ પહેલાં થ્રી-ડી ડ્રેસ બનાવેલો જે આજકાલ ટ્રેન્ડિંગ ગણાય છે. અમે જડાઉ પર કામ કરીને ૯ વર્ષ પહેલાં ડ્રેસ ડિઝાઇન કરેલો. એ જ સ્ટાઇલમાં હમણાં ઈશા અંબાણીએ અનંત અંબાણીનાં લગ્નમાં એ રીતની ડિઝાઇનવાળું બ્લાઉઝ પહેરેલું. કશુંક ડિઝાઇન કરેલું હોય એ બે-ત્રણ દિવસ પહેલાં માપીને જોઈ લઈએ. પછી ઠીક કરીએ. ઘણી વાર એવું થાય કે તેમનું ચોક્કસ માપ હોય એનાથી એ થોડુંક વધે-ઘટે. એવા સમયે મૂર્તિની અંદર રહેલી ચેતનાનો અનુભવ થાય છે. એનાથી ભક્તિ અને શ્રદ્ધા વધુ દૃઢ બને છે, તેમનો સાક્ષાત્કાર સતત અનુભવાય છે, તેમના થકી મારું કામ ચાલે છે. એ સેવાનો મને જે સંતોષ મળે છે એ મારી ડિઝાઇનમાં દેખાય છે. કોરામાં ગયા વર્ષે સૌથી વધુ મારી જ બનાવેલી ડિઝાઇન વેચાયેલી એટલે મને કોરાનો ‘બેસ્ટ સ્ટાઇલિસ્ટ ડિઝાઇનર અવૉર્ડ’ મળેલો. આ બધી પ્રભુકૃપા જ સમજવી. ઇસ્કૉનની મારી ઘણી ડિઝાઇન વખણાયેલી છે. નાઇટ ડ્રેસમાં ફ્રિલવાળી ડિઝાઇન વખણાયેલી તો જન્માષ્ટમી વખતે ખાસ બનાવેલું મર્મેઇડ સ્કર્ટ પણ બહુ વખણાયેલું. રાધા ગોપીનાથ, લલિતા વિશાખાદેવી, ગોર નીતાઈ (ગૌરાંગ મહાપ્રભુ અને નિત્યાનંદ પ્રભુ) અને શ્રીનાથજીની મૂર્તિ અને નાની ઉત્સવમૂર્તિ રાધાગોપીજન વલ્લભ પણ છે જેના પર અભિષેક થાય છે અને લક્ષ્મીનારાયણ, ગરુડજી, હનુમાનજીના ડ્રેસ તથા બૅકડ્રૉપ પણ ડિઝાઇન કરવામાં આવે છે. હેવી ડ્રેસ હોય તો એ બે-ત્રણ મહિનામાં બને. નાઇટ ડ્રેસ જેવાં હળવાં વસ્ત્રો ઝડપથી બને છે. જન્માષ્ટમીમાં હેવી કપડાં તો ગોર પૂર્ણિમામાં થોડાંક હળવાં અને રાધાપૂર્ણિમામાં ભારે કપડાં બનાવીએ.’

