નસીરુદ્દીન શાહે મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરીમાં લીડ રોલ ભજવવાનો પોતાનો અનુભવ જણાવ્યો
આ સિરીઝમાં નસીરુદ્દીન શાહે જેઆરડી તાતાની ભૂમિકા ભજવી છે
OTT પ્લેટફૉર્મ પર બાયોપિક્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. આવી જ એક સિરીઝ ‘મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’માં ભારતના જાણીતા ઉદ્યોગપતિ જેઆરડી તાતાના જીવનને દર્શાવવામાં આવ્યું છે. ‘મેડ ઇન ઇન્ડિયા : અ ટાઇટન સ્ટોરી’ હાલમાં ઍમૅઝૉન ઍમઍક્સ પ્લેયર પર સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ છે.
આ સિરીઝમાં નસીરુદ્દીન શાહે જેઆરડી તાતાની ભૂમિકા ભજવી છે જેને દર્શકો અને સમીક્ષકો તરફથી જબરદસ્ત પ્રશંસા મળી રહી છે. આ અનુભવ વિશે વાત કરતાં નસીરુદ્દીન શાહે જણાવ્યું હતું કે આ પાત્ર તેમના માટે માત્ર અભિનય નહોતો પણ એક મોટી જવાબદારી પણ હતી.
ADVERTISEMENT
નસીરુદ્દીન શાહે આ રોલ કરવાનો પોતાનો અનુભવ જણાવતાં કહ્યું, ‘જેઆરડી તાતાના વ્યક્તિત્વની સૌથી મોટી ખાસિયત તેમનો સંયમ અને સાદગી હતી. તેઓ હંમેશાં ખૂબ શાંત અને સંતુલિત રીતે જીવતા હતા. મને સૌથી વધુ પ્રભાવિત કરતી બાબત એ છે કે મોટા ઉદ્યોગપતિ હોવા છતાં તેમણે ક્યારેય પોતાના વ્યક્તિત્વને પ્રચારનું સાધન બનવા દીધું નહોતું. જેઆરડી તાતાને સમજવાનું અને તેમને પડદા પર જીવંત કરવાનું મારા માટે સરળ કાર્ય નહોતું. મારી લાંબી કારકિર્દીમાં મેં અનેક પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, પરંતુ આ પાત્ર ખૂબ વિશેષ અને જવાબદારીભર્યું હતું કારણ કે તેઓ ભારતના ઇતિહાસનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. આ કારણોસર આ ભૂમિકા ભજવતી વખતે મેં ખૂબ ગંભીરતા અને ધ્યાન સાથે કામ કર્યું. મને ખુશી છે કે હું આ પ્રોજેક્ટનો ભાગ બની શક્યો. આ દ્વારા મને એવી વ્યક્તિને નજીકથી સમજવાની તક મળી જેમની વિચારસરણી અને વ્યક્તિત્વ આજે પણ લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. આવાં પાત્રો કલાકારને અંદરથી બદલતા હોય છે, કારણ કે એમાં માત્ર અભિનય નહીં પરંતુ ઊંડાણપૂર્વકની સમજ પણ જરૂરી હોય છે.’
