કફની ટૅબ્લેટ ઓવર ધ કાઉન્ટર મળી શકશે, પણ સિરપના ફૉર્મમાં વેચાતી દવા માટે પ્રિસ્ક્રિપ્શન જરૂરી
પ્રતીકાત્મક તસવીર
મધ્ય પ્રદેશમાં કફ સિરપ આપવાને કારણે થયેલાં બાવીસ બાળકોનાં મોત બાદ કેન્દ્ર સરકારે કફ સિરપના વેચાણ બાબતે મહત્ત્વનું પગલું લીધું છે. હવે કેમિસ્ટની દુકાનોમાંથી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ઉધરસ માટે કફ સિરપ ઓવર ધ કાઉન્ટર ખરીદી નહીં શકાય. જો પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ કેમિસ્ટ કફ સિરપ વેચશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫માં ફેરફારની સૂચના આપી હતી જેમાં ડ્રગ્સ અને કૉસ્મેટિક્સ ઍક્ટ, ૧૯૪૦ને લગતા નિયમો સમાવેશ થતો હતો. શેડ્યુલ-Kના ફેરફાર અનુસાર કફ સિરપ સહિતનું કોઈ પણ સિરપ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવા પર પૂર્ણ રીતે બંધી મૂકવામાં આવી છે. જોકે કફ માટેની ટૅબ્લેટ પર કોઈ બંધી મુકાઈ નથી, એ ઓવર ધ કાઉન્ટર મળી શકશે.
ADVERTISEMENT
ગયા વર્ષે જ એ મુસદ્દો ઘડી કાઢવામાં આવ્યો હતો અને એ બાબતે વાંધાવચકા મગાવવામાં આવ્યા હતા. એ પછી હવે પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓની યાદીમાંથી ‘સિરપ’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે.
