૧-૦ની લીડ ધરાવતી ભારતીય ટીમ આજે ત્રણ વન-ડેની સિરીઝ પર કબજો મેળવવા ઊતરશે
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈ કાલે પ્રૅક્ટિસ દરમ્યાન ભારતનો રોહિત શર્મા અને અફઘાનિસ્તાનનો ઑલરાઉન્ડર મોહમ્મદ નબી.
લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વન-ડે સિરીઝની બીજી મૅચ રમાશે. ધરમશાલામાં સિરીઝની પહેલી મૅચ ૭ વિકેટે જીતનાર ભારતીય ટીમ આજે ૨-૦થી સિરીઝ પર કબજો કરવાના ઇરાદા સાથે મેદાન પર ઊતરશે.
લખનઉમાં પહેલી જ વખત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કોઈ મૅચ રમાશે. અફઘાનિસ્તાન માટે આ મેદાન ભારતમાં એને ફાળવવામાં આવેલા હોમ ગ્રાઉન્ડમાંથી એક છે. ૨૦૧૯થી ૨૦૨૩ વચ્ચે ચાર વન-ડે મૅચમાંથી અફઘાનિસ્તાનને ત્રણ વન-ડે મૅચમાં હાર મળી છે. એક માત્ર જીત નેધરલૅન્ડ્સ સામે મળી હતી.
ADVERTISEMENT
ભારત આ મેદાન પર બે વન-ડે મૅચ રમ્યું છે. ૨૦૨૨માં સાઉથ આફ્રિકા સામે હાર મળી હતી, જ્યારે ૨૦૨૩માં અંગ્રેજ ટીમ સામે જીત મળી હતી. લખનઉના એકાના સ્ટેડિયમમાં નવેમ્બર ૨૦૨૩ બાદ પહેલી જ વખત કોઈ ઇન્ટરનૅશનલ મૅચ રમાશે.
મુંબઈકર શ્રેયસ ઐયરની સ્ટાઇલિશ હેલ્મેટ ચર્ચામાં

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં વાઇસ-કૅપ્ટન શ્રેયસ ઐયરની હેલ્મેટ ચર્ચામાં છે. પ્રૅક્ટિસ સેશન અને મૅચ દરમ્યાન મુંબઈનો ક્રિકેટર શ્રેયસ ઐયર ૨૦૦૦ના દશકના ક્લાસિક લુક અને મૉડર્ન સિક્યૉરિટી ટેક્નૉલૉજીથી યુક્ત હેલ્મેટમાં જોવા મળી રહ્યો છે. એક પ્રાઇવેટ કંપની દ્વારા નિર્મિત આ હેલ્મેટ ખેલાડીઓના માથાના આકાર અને પસંદગીના હિસાબે ફિટ થાય છે અને સુરક્ષા આપે છે. અહેવાલ અનુસાર પ્રોફેશનલ ઘોડેસવારો દ્વારા ઉપયોગમાં લેવાતી હેલ્મેટ જેટલી સુરક્ષા શ્રેયસ ઐયરની આ હેલ્મેટ આપે છે.
અફઘાની ક્રિકેટર ગુરબાઝે દિવ્યાંગને પૈસાની મદદ કરી

અફઘાનિસ્તાનના વિકેટકીપર અને બૅટર રહમાનુલ્લા ગુરબાઝે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક દિલ જીતી લેનારો વિડિયો શૅર કર્યો છે. હિમાચલ પ્રદેશના રસ્તા પર રખડતા દરમ્યાન તેની મુલાકાત એક દિવ્યાંગ દુકાનદાર સાથે થઈ હતી. રસ્તાના એક છેડે આ દિવ્યાંગ નાનકડા સ્ટૉલ પર ફ્રિજ, મૅગ્નેટ સહિતની વસ્તુઓ વેચી રહ્યો હતો. રહમાનુલ્લા ગુરબાઝે આ દિવ્યાંગની હિંમત વધારીને તેને પૈસાની મદદ કરીને મકાઈ પણ ખાવા આપી હતી. આ વિડિયો શૅર કરીને તેણે લોકોને આવા દિવ્યાંગ અને જરૂરતમંદોને મદદ કરતા રહેવાની અપીલ કરી હતી.
