શ્રીનગરમાં નજરકેદ 34 કાશ્મીરી નેતાઓ પાસેથી ૧૨ મોબાઇલ ફોન મળી આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં નજરકેદ નેતાઓ પાસેથી 12 મોબાઇલ ફોન મળી આવ્યા (PC : BBC)
(જી.એન.એસ.) જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા પછી નજરકેદમાં લેવાયેલા કાશ્મીરી ૩૪ નેતાઓ પાસેથી ૧૨ મોબાઇલ ફોન મળી આવ્યા છે. મોબાઇલ ફોનના ઉપયોગની સૂચના પર પોલીસ અને પ્રશાસને કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ૩૪ કાશ્મીરી નેતાઓને સેન્ટૂર હોટેલથી ખસેડીને એમએલએ હોસ્ટેલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ દરમ્યાન હોસ્ટેલને અસ્થાયી જેલ જાહેર કરવામાં આવી હતી જે દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હતો.
સૂત્રો મુજબ પ્રશાસનને સૂચના મળી હતી કે હોસ્ટેલમાં નજરકેદ નેતાઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે, જેને ગંભીરતાથી લેતા પ્રશાસને ત્યાં તપાસ આદરી હતી. આ તપાસ દરમ્યાન નેતાઓના રૂમમાંથી ૧૨ મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
આ ફોન પૈકી સૌથી વધારે ફોન નેશનલ કૉન્ફરન્સ સાથે જોડાયેલા નેતાઓ પાસેથી મળી આવ્યા હતા. જો કે આ મામલે પોલીસ દ્વારા કોઈ માહિતી કે ટિપ્પણી કરવામાં આવી નથી. મોબાઇલ ફોન બરામત થતાં હોસ્ટેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.