રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતા કૉમેડિયન શ્યામ રંગીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી (Lok Election Sabha 2024) લડશે
શ્યામ રંગીલા
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતા કૉમેડિયન શ્યામ રંગીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી (Lok Election Sabha 2024) લડશે. `રાજસ્થાન તક` સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, “હું વારાણસી જવા રવાના થયો છું. ત્યાં પહોંચ્યા બાદ હું ફોર્મ ભરવાની પ્રક્રિયા અને ચૂંટણી લડવાની રણનીતિને આખરી ઓપ આપીશ. આજકાલ રાજકારણ કૉમેડી જેવું ચાલી રહ્યું છે, તેથી મેં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. વારાણસીથી કૉંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે, જ્યારે બસપાએ સૈયદ નેયાઝ અલીને ટિકિટ આપી છે.
શ્યામ રંગીલા (Shyam Rangila)એ કહ્યું છે કે, “મેં આ નિર્ણય એટલા માટે લીધો છે કે કાશી સુરત અને ઈન્દોર જેવી ન બને. જો વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી રહેલા વિપક્ષી ઉમેદવારો પોતાનું નામાંકન પાછું ખેંચી લેશે તો પણ હું કોઈપણ ભોગે ચૂંટણી લડીશ. વડાપ્રધાન સામે કોઈ પણ ચૂંટણી લડી શકે છે, આ લોકશાહી છે.” તેમણે કહ્યું કે, “હું જનતાના સમર્થનથી વારાણસીથી ચૂંટણી લડીશ. ટૂંક સમયમાં હું મારી યુટ્યુબ ચેનલ પર ચૂંટણી (Lok Election Sabha 2024) લડવાની સમગ્ર પ્રક્રિયાની જાહેરાત કરીશ.”
ADVERTISEMENT
કૉમેડિયન શ્યામ રંગીલાએ કહ્યું કે, તેઓ કાશીમાં ચૂંટણી લડવા માટે શ્રીગંગાનગર (Lok Election Sabha 2024)થી કોઈ ટીમ લઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે, “હું વારાણસીના લોકોમાંથી આખી ટીમ તૈયાર કરીશ. મને વારાણસીમાંથી ઘણા લોકોના ફોન આવી રહ્યા છે, તેઓ બધા મારી સાથે જોડાવા તૈયાર છે. જીતવું કે હારવું એ અલગ વાત છે, પરંતુ હું કોઈપણ ભોગે વડાપ્રધાન સામે ચૂંટણી લડીશ. હું ફેમસ થવા માટે ચૂંટણી લડી રહ્યો નથી, હું પહેલાથી જ લોકોમાં ખૂબ પ્રખ્યાત છું.”
તમને જણાવી દઈએ કે, સુરતમાં દરખાસ્ત પરત ખેંચવાને કારણે કૉંગ્રેસના મુખ્ય અને વૈકલ્પિક બંને ઉમેદવારોના નામાંકન અમાન્ય બન્યા હતા. જ્યારે અન્ય ઉમેદવારોએ સ્વેચ્છાએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા અને આમ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. ઈન્દોરમાં કૉંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું અને ભાજપમાં જોડાયા છે. નોમિનેશનની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ હોવાથી કૉંગ્રેસ વૈકલ્પિક ઉમેદવાર પણ ઊભા કરી શકી ન હતી. આમ ઈન્દોરમાં કૉંગ્રેસ ઉમેદવાર વગર રહી ગઈ છે.”
અતીતનો આયનો બતાવ્યો એટલે મરચાં લાગ્યાં
રાજસ્થાનના બાંસવાડામાં એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કૉન્ગ્રેસ દેશની સંપત્તિ ઘૂસણખોરોમાં વહેંચી દેવાની યોજના ધરાવે છે. એ મુદ્દે હવે ભારે વિવાદ સર્જાયો છે. કૉન્ગ્રેસ આને લઘુમતી સમુદાય સાથે જોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન તાકી રહી છે અને એણે ચૂંટણીપંચમાં મોદી સામે ફરિયાદ કરી છે. બીજી તરફ BJPએ મોદીની ટિપ્પણીનો બચાવ કર્યો છે.
વિપક્ષોને કઈ બાબતે ખોટું લાગ્યું છે એવું જણાવીને BJPના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે “વિપક્ષો દુખી છે, કારણ કે મોદીએ એમને અતીતનો આયનો બતાવ્યો છે. મોદીએ જે કહ્યું છે એ સાચું છે અને દેશવાસીઓ સાથે સંકળાયેલી આ બાબત છે. આ નિવેદન લોકોની ભાવના વ્યક્ત કરે છે, કારણ કે વિપક્ષો માટે દેશના નાગરિકો કરતાં ઘૂસણખોરો અને એમાંય મુસ્લિમ વધારે મહત્ત્વના છે. મોદીએ સાચું કહી દીધું છે એ વિપક્ષને સહન થઈ રહ્યું નથી. તુષ્ટિકરણની નીતિ કૉન્ગ્રેસની રહી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. વિપક્ષો જાતિના આધાર પર અપરાધીઓને સંરક્ષણ આપે છે અને એમાં બંગાળના સંદેશખાલીથી કર્ણાટકના નેહા હત્યાકાંડ સુધીનાં ઉદાહરણો છે.”