ખેડૂતોની આત્મહત્યાનું ખરું કારણ છે નાણાકીય સમસ્યા : શરદ પવાર
શરદ પવાર
નાણાકીય સમસ્યાને કારણે દેશમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવાનું નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના ચીફ અને કૃષિ ખાતાના ભૂતપૂર્વ પ્રધાન શરદ પવારે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવતાં ઉમેર્યું હતું કે ખેડૂતો મોટા પાયે બળવો કરે એ પહેલાં સરકારે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં પ્રવર્તતી નિરાશા અને હતાશાની સ્થિતિનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોને રાહત આપવા શ્રેણીબદ્ધ પગલાં લેવાં જોઈએ.
સાકરના વિક્રમી ઉત્પાદન અને નીચા ભાવને કારણે શુગરમિલ્સ શેરડીના ઉત્પાદકોને સમયસર અને પૂરી કિંમત આપવામાં અસમર્થ રહી છે, જેના કારણે દેશભરમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોમાં આક્રોશ વધી રહ્યો છે. વિક્રમી ઉત્પાદન છતાં નાણાકીય સમસ્યાને કારણે ખેડૂતોને આત્મહત્યાના કરવાની ફરજ પડી રહી છે. શરદ પવારે વડા પ્રધાન મોદીને તાત્કાલિક મધ્યસ્થી કરી સાકરના ટેકાના ભાવ હાલના કિલોદીઠ ૨૯ રૂપિયાથી વધારી ૩૪ રૂપિયા કરવાનું સૂચન કર્યું હતું.