જનહિતની એક અરજીમાં માગણી કરવામાં આવી છે કે નોટાને સૌથી વધારે મત મળે તો નવેસરથી ચૂંટણી કરવામાં આવે અને પરાજિત ઉમેદવારોને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવા દેવામાં ન આવે
ઇલેક્ટ્રિક વોટિંગ મશીન
સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક પેચીદી પણ રસપ્રદ સ્થિતિનો અભ્યાસ કરવા માટે મંજૂરી આપી હતી. મોટિવેશનલ સ્પીકર અને લેખક શિવ ખેડાએ જનહિતની એક અરજીમાં માગણી કરી હતી કે ઇલેક્ટ્રિક વોટિંગ મશીન (EVM) પર નન ઑફ ધ અબોવ (NOTA-નોટા)ને એક કાલ્પનિક ઉમેદવાર માનવામાં આવે અને એની ઉમેદવારીને પ્રચારિત કરવામાં આવે. જો નોટાને સૌથી વધારે મત મળે તો એ ચૂંટણીમાં ઊભા રહેલા તમામ ઉમેદવારોને પાંચ વર્ષ સુધી ચૂંટણી લડવાની મનાઈ કરવામાં આવે અને આ બેઠક પરની ચૂંટણી રદ જાહેર કરીને ફરીથી ચૂંટણી યોજવામાં આવે.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ મનોજ મિશ્રા, જે. બી. પારડીવાલાની બેન્ચ શરૂઆતમાં આ અરજી પર સુનાવણી કરવા આતુર નહોતી, કારણ કે આ નીતિવિષયક બાબત છે, પણ સિનિયર ઍડ્વોકેટ ગોપાલ શંકરનારાયણે જ્યારે કોર્ટને જણાવ્યું કે સુરત લોકસભા મતવિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સામેના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી એથી તેમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે પણ જો BJPનો ઉમેદવાર કાલ્પનિક ઉમેદવાર નોટા સામે લડ્યો હોત તો લોકોનો ચુકાદો શું છે એની જાણ થઈ હોત. આના પગલે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો નિર્ણય લીધો અને તેમણે આ મુદ્દે ચૂંટણીપંચનો જવાબ જાણવા માટે નોટિસ મોકલી છે.
અરજીકર્તા શિવ ખેડાએ કહ્યું હતું કે ૨૦૧૮માં મહારાષ્ટ્ર અને હરિયાણામાં રાજ્ય ચૂંટણી કમિશનરોએ નોટિફિકેશન જારી કરીને નોટાને કાલ્પનિક ઉમેદવાર જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે જો નોટાને વધારે મત મળશે તો ચૂંટણી રદ ગણાશે અને ફરીથી મતદાન થશે. શિવ ખેડાનું કહેવું છે કે ઇલેક્શન કમિશને નોટાનો કાલ્પનિક ઉમેદવાર તરીકે પ્રચાર કરવો જોઈએ અને કોઈ પણ ઉમેદવાર તમારો મત મેળવવાને લાયક છે કે નહીં એ બાબતની જાગૃતિ મતદારમાં લાવવી જોઈએ જેથી તે જવાબદારીપૂર્વક વોટ આપે.