અમિત શાહનું એલાન : બિહારમાં નીતિશકુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડીશું
અમિત શાહ
બિહારના વૈશાલીમાં એનઆરસી અને સીએએના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજર રહેલા અમિત શાહે એક જનસભાને સંબોધન કરતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસે ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું છે. સીએએને લઈને જે પણ ગેરસમજ છે એ દૂર કરાશે. આ માટે બીજેપીએ શરૂ કરેલા અભિયાનને બિહારમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે.
તેમણે કહ્યું હતું કે હ્યુમન રાઇટના રખેવાળોને મારે કહેવું છે કે જે હજારો લોકોની સાથે રેપ થયા, તેમનાં ઘર છીનવાયાં તેમની ચિંતા તમને નથી. આ સરકારના કાયદાથી તેમને હ્યુમન રાઇટ્સ મળ્યા છે. મારે મમતા બૅનરજી અને લાલુ પ્રસાદ યાદવને પૂછવું છે કે પછાત સમાજ અને ગરીબોએ તમારું શું બગાડ્યું છે. કૉન્ગ્રેસ અને મમતા બૅનરજીએ તો તોફાનો પણ કરાવ્યાં છે. અમિત શાહે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે બિહારમાં એનડીએ નીતિશકુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે. બીજેપી અને જેડીયુ સાથે જ છે. જેલમાં બંધ લાલુ પ્રસાદ યાદવને ભલે સીએમ બનવાનાં સપનાં આવતાં હોય, પણ હું કહેવા માગું છું કે બીજેપી અને જેડીયુનું ગઠબંધન અતૂટ છે.