Coronavirus Updates: છેલ્લા 24 કલાકમાં 96,551 કેસ, 1,209 દર્દીઓનાં મોત
તસવીર: સતેજ શિંદે
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ના દરરોજ નોંધાતા આંકડા એક નવો રેકૉર્ડ બનાવે છે. ભારતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જ જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે નોંધાયેલા આંકડાઓએ આજ સુધીના તમામ રેકૉર્ડ્સ તોડી દીધા છે. જે ઝડપથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એક જ દિવસમાં આ આંકડો એક લાખને પાર કરી જશે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 96,551 નવા કેસ નોંધાયા છે અને 1,209 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 45,62,414 કેસ થઈ ગયા છે. જેમાંથી 9,43,480 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 35,42,664 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં 70,880 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 76,271 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત છે. છેલ્લા ચોવીસ કલાકમાં અહીં 23,446 નવા કેસ નોંધાયા છે અને 495 લોકોના મોત થયા છે. જ્યારે 14,253 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 9,90,795 થઈ ગયો છે. તેમાંથી 2,61,798 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 28,282 લોકો મૃત્યુ પામ્યા છે અને 7,00,715 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે નોંધાયેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 1,332 નવા કેસ નોંધાયા હતા અને 15 લોકોના મોત થયા હતા. જ્યારે 1,415 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 1,09,627 થઈ ગયો છે. જેમાંથી 16,230 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 3,167 લોકોના મોત થયા છે અને 90,103 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, ભારતમાં દસ સપ્ટેમ્બર સુધીમાં કોરોનાના 5,40,97,975 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ગુરુવારે 11,63,542 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. તમામ રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ સંખ્યા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.