મહારાષ્ટ્રમાં કોરોના દર્દીનો આંકડો 50231 અને મુંબઈમાં 30542 પર પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસની એન્ટ્રી ૩૦ જાન્યુઆરીએ ભારતમાં કેરળ રાજ્યમાંથી થયા બાદ દેશભરમાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. રાજ્ય અને મુંબઈની સ્થિતિ નવા અપડેટ મુજબ ચિંતાજનક બની રહી છે.
રાજ્યમાં ગઈ કાલે એક દિવસમાં સૌથી વધુ ૩૦૪૧ કેસ સામે આવ્યા હતા. આની સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા પચાસ હજારને પાર કરીને ૫૦,૨૩૧ થઈ હતી. ગઈ કાલે રાજ્યમાં ૫૮ લોકોનાં મૃત્યુ સાથે કુલ મૃતકોની સંખ્યા ૧૬૩૫ થઈ હતી. રાજ્યમાં સતત સાતમા દિવસે ૨૦૦૦ કરતાં વધારે નવા કેસ નોંધાયા હતા. આની સામે રાજ્યમાં અત્યાર સુધી ૧૪,૬૦૦ દર્દીઓ સાજા થવાથી તેઓ ઘરે આવી ગયા હોવાથી અત્યારે કુલ ૩૩,૯૮૮ સારવાર હેઠળ છે.
ADVERTISEMENT
મુંબઈની વાત કરીએ તો બે દિવસ પહેલાં અહીં એક જ દિવસમાં સૌથી વધારે ૧૭૫૧ કોરોનાના દર્દીઓ નોંધાયા બાદ છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૨૫ નવા દર્દી સામે આવ્યા હતા. આ સાથે જ શહેરમાં દર્દીઓનો આંકડો ૩૦,૫૪૨ થયો હતો, જેમાં ગઈ કાલે વધુ ૪૦ દર્દીનાં મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક ૯૮૮ થયો હતો.