આ ઘટનાની અકાલ તખ્તે ગંભીર નોંધ લીધી છે. કોઈ પણ ગુરદ્વારામાં બક્ષિસ સિંહના અંતિમસંસ્કાર ન કરવામાં આવે એમ જણાવીને આ પરિવારનો બૉયકૉટ કરવાનું કહેવામાં આવ્યું છે
વાઇરલ વિડિયોની તસવીર
પંજાબના ફિરોઝપુરના એક ગુરદ્વારામાં ગુરુગ્રંથસાહિબનાં પાનાં ફાડીને એને અપવિત્ર કરનારા એક મનોરોગી યુવાન બક્ષિસ સિંહની બેરહમીથી હત્યા કરવામાં આવી હતી. આ શૉકિંગ ઘટના શનિવારે બપોરે અઢી વાગ્યે વંડાલા સ્થિત ગુરદ્વારા બાબા બીર સિંહમાં બની હતી. આ મુદ્દે પોલીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. તેમણે કહ્યું હતું કે આ કેસમાં દરેક ઍન્ગલથી તપાસ ચાલી રહી છે. તપાસમાં જે બહાર આવશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જોકે ગ્રંથસાહિબને અપવિત્ર કરવા માટે બક્ષિસ સિંહ સામે કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ બક્ષિસ સિંહના પિતા લખવિંદર સિહે તેના પુત્રના હત્યારાઓ સામે ગુનો નોંધવાની માગણી કરી છે.
બક્ષિસ સિંહ કદી ગુરદ્વારામાં આવતો નહોતો અને તેણે પહેલી જ વાર તેની મુલાકાત લીધી હતી. તેણે ગંથ્રસાહિબનાં પાનાં ફાડી નાખીને દોડવાની શરૂઆત કરી હતી, પણ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો. ગ્રંથસાહિબની બેઅદબી કરવાની વાત આગની જેમ ફેલાઈ હતી અને લોકો ગુરદ્વારામાં ભેગા થઈ ગયા હતા અને તેને મારવાની શરૂઆત કરી હતી. આ ઘટના નજરે જોનારા લોકોએ એનો વિડિયો પણ બનાવ્યો હતો. એમાં દેખાય છે કે તલવારથી સજ્જ માણસ આ યુવાન પર હુમલો કરી રહ્યો છે અને મારી રહ્યો છે. યુવાનનું માથું ફાટી જાય છે અને લોહી વહે છે, તે યુવાન જમીન પર પડી જાય છે. ભીડમાં સામેલ કેટલાક લોકો તેને રોકવાની કોશિશ કરે છે પણ તે માનતો નથી. આ ઘટનાની અકાલ તખ્તે ગંભીર નોંધ લીધી છે. કોઈ પણ ગુરદ્વારામાં બક્ષિસ સિંહના અંતિમસંસ્કાર ન કરવામાં આવે એમ જણાવીને આ પરિવારનો બૉયકૉટ કરવાનું કહેવામાં આવ્યું છે.