બહિષ્કારનો ભય, બીએમસી પ્રત્યે શંકા, ક્વૉરન્ટીનની બીક...
કાંદિવલીની શિવસેનાની શાખામાં એક વ્યક્તિની ટેસ્ટ કરવામાં આવી હતી. તસવીર : સતેજ શિંદે
મુંબઈના પ્રજાજનોએ બીએમસીની સામૂહિક ટેસ્ટિંગની ઝુંબેશથી મોઢું ફેરવવાનું યથાવત્ રાખ્યું છે, જેને પગલે વૉર્ડ્માં રોજ ૨૦૦ કરતાં ઓછી ટેસ્ટ હાથ ધરાય છે. સામાજિક બહિષ્કારનો ભય, બીએમસીની વ્યવસ્થા પ્રત્યે શંકા અને ક્વૉરન્ટીન થવાની બીકે હજી પણ લોકોના મનમાં કબજો જમાવી રાખ્યો છે.
જેમ કે દહિસર, બોરીવલી અને કાંદિવલીને સમાવતા ઝોન-7માં છેલ્લાં બે સપ્તાહમાં ટેસ્ટિંગનો માત્ર એકતૃતીયાંશ લક્ષ્યાંક પાર પાડી શકાયો છે. લોકો પ્રાઇવેટ લૅબમાં જાય છે અને એ પણ જો લક્ષણ દેખાય તો જ.
ADVERTISEMENT
મ્યુનિસિપલના વડાએ તમામ વૉર્ડ માટે ટેસ્ટિંગના લક્ષ્યાંક નક્કી કર્યા છે, જે પૈકીના સાત વૉર્ડ રોજની ૧૦૦૦ ટેસ્ટનો લક્ષ્યાંક ધરાવે છે.
ઝોન-7માં ટેસ્ટિંગ વધવાની સાથે કેસની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં આશરે ૧૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી હતતી અને એ પૈકીની અડધી ટેસ્ટ એકલા બોરીવલીમાં કરવામાં આવી છે એમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ શંકરવારે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ‘જો લોકોમાં લક્ષણ ન દેખાય તો તેઓ ટેસ્ટ માટે તૈયાર થતા નથી. આ સાથે સામાજિક લાંછન અને ક્વૉરન્ટીન થવાના પ્રશ્નો સંકળાયેલા છે.’
બોરીવલી-ઈસ્ટના બીજેપીના કૉર્પોરેટર વિદ્યાર્થી સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ઝૂંપડપટ્ટીમાંથી થોડો પ્રતિસાદ મળે છે. ત્યાં તમે રહેવાસીઓને સમજાવી શકો છો, પરંતુ બિલ્ડિંગના રહેવાસીઓ કૅમ્પ જોઈને મોં ફેરવી લે છે.’
જોકે ચારકોપમાં થોડી સફળતા સાંપડી હોય એમ જણાય છે. એનાં કૉર્પોરેટર સંધ્યા દોશી જણાવે છે કે ‘હું બીજા વૉર્ડ વિશે નથી જાણતી, પણ અમને કોવિડ-ટેસ્ટિંગ માટે સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.’
ઝોન-7માં ટેસ્ટિંગ વધવાની સાથે કેસની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લાં બે અઠવાડિયાંમાં આશરે ૧૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી હતી અને એ પૈકીની અડધી ટેસ્ટ બોરીવલીમાં થઈ છે.
- વિશ્વાસ શંકરવાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર