રિક્ષા મળવાનું હવે વધુ મુશ્કેલ બનશે
ADVERTISEMENT
પોલીસનાં પગલાંથી બચવા અને ઇલેક્ટ્રૉનિક મીટર ન બેસાડવા યુનિયને ૮૦ ટકા રિક્ષાઓ શૅરિંગમાં ચલાવવાનો પ્રસ્તાવ મૂક્યો
આ માગણી ગઈ કાલે મુંબઈ ઑટોરિક્ષા ચાલકોના અસોસિએશનના લીડર શરદ રાવે પરિવહન ડિપાર્ટમેન્ટ સમક્ષ મૂકી છે. હકીકતમાં રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસે (આરટીઓ) એના લેટેસ્ટ કૅમ્પેનમાં છેલ્લા ૧૨ કલાકમાં ૧૫૦ જેટલા રિક્ષાડ્રાઇવરોને પકડ્યા છે, જેમાંથી ૯૭ પર ફાસ્ટ મીટરનો અને લગભગ ૩૦ પર પૅસેન્જરને સવારી માટે ના પાડવાનો આરોપ છે.
જો રિક્ષાચાલકોના યુનિયનના આ સૂચનને માની લેવામાં આવશે તો મુંબઈના ઉપનગરોમાં બાંદરાથી દહિસર સુધી અને સાયનથી મુલુંડ સુધી દોડતી ૧.૦૪ લાખ રિક્ષાઓમાંથી ૮૩,૦૦૦ કરતાં વધુ રિક્ષાઓ પૉઇન્ટ-ટૂ-પૉઇન્ટ જ દોડશે. આ શૅર-એ-રિક્ષાઓનાં સ્ટૅન્ડ છે અને એ રેલવે-સ્ટેશનની બહાર જ ઑપરેટ થાય છે. સામાન્ય રીતે વ્યસ્ત કલાકો દરમ્યાન ઑફિસ કે પછી કામના સ્થળે જવા માટે લોકો એનો ઉપયોગ કરે છે. ૮૦ ટકા જેટલી ઑટોસર્વિસને શૅર-એ-રિક્ષામાં ફેરવી નાખવાના પ્રસ્તાવ પાછળનો મુખ્ય હેતુ રિક્ષાડ્રાઇવરોને લાંબા ગાળે સરકારી પગલાંથી બચાવવાનો અને રાજ્ય સરકારને રિક્ષામાં ઇલેક્ટ્રૉનિક મીટર બેસાડવાનું ફરજિયાત બનાવવાનો નર્ણિય લેતાં અટકાવવાનો છે. જો એક વાર ઈ-મીટર રિક્ષામાં બેસાડી દેવામાં આવશે તો પછી એની સાથે ચેડાં કરવાનું મુશ્કેલ થઈ જશે. શૅર-એ-રિક્ષાની માગણી વિશે વાત કરતાં યુનિયન લીડર શરદ રાવના પુત્ર શશાંક રાવે કહ્યું હતું કે ‘ઉપનગરમાં રિક્ષામાં ઇલેક્ટ્રૉનિક મીટર બેસાડવા કરતાં શૅર-એ-રિક્ષાનો વિકલ્પ વધારે સારો છે. આને કારણે ડ્રાઇવર એક ચોક્કસ રકમ જ ચાર્જ કરી શકશે અને મીટર સાથે ચેડાં કરવાનો તો પ્રશ્ન જ ઊભો નથી થતો.’
જોકે આરટીઓ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘ઉપનગરોના આ પ્રકારના સ્ટૅન્ડમાં પૂરતા પ્રમાણમાં સભ્યો છે અને યુનિયનની આ પ્રકારની માગણી પાછળ ચોક્કસ કારણો છે. એક ગણતરી પ્રમાણે રિક્ષાડ્રાઇવર સામાન્ય ફેરા કરતાં શૅર-એ-રિક્ષામાં ૩૩ ટકા વધારે કમાણી કરે છે. જ્યાં વર્કિંગ લોકો વધારે છે ત્યાં આ યોગ્ય વિકલ્પ છે.’
લાઇસન્સ વગર રિક્ષા ચલાવતા ડ્રાઇવરોને મોકળું મેદાન
શૅર-એ-રિક્ષાની યોજનાને કારણે પરમિટ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગર રિક્ષા ચલાવતા ડ્રાઇવરોને મોકળું મેદાન મળી જશે, કારણ કે તેમના પર નજર રાખનારું કોઈ નહીં હોય. અંધેરી (વેસ્ટ) અને કુર્લામાં આવા ઘણા ડ્રાઇવરો છે. છેલ્લા એક વર્ષમાં સ્ટેટ ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટે બાંદરા (ઈસ્ટ), ગોરેગામ અને મુલુંડ સહિતની લગભગ ૬૦ જગ્યાએ આવાં સ્ટૅન્ડ ઊભાં કર્યા છે.