1993 Riots: વર્ષ ૧૯૯૩ના મુંબઈ રમખાણોમાં ન્યૂ બોમ્બે બેકરી અને ભાંડુપમાં એક ઘરને આગ ચાંપવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
૩૧ વર્ષ પહેલા વર્ષ ૧૯૯૩માં મુંબઈ રમખાણો (1993 Riots) થયા હતા. આ કોમી રમખાણો (1993 Mumbai Communal Riots) દરમિયાન ટોળાએ ભાંડુપ (Bhandup)માં ન્યુ બોમ્બે બેકરી (New Bombay Bakery) અને એક ઘરને આગ ચાંપી દીધી હતી. આ ટોળાનો ભાગ હોવા બદલ ૫૫ વર્ષના એક હોકરની ધરપકડ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે હોકરને નિર્દોષ જાહેર કર્યો હતો.
આરોપી હરીશ ચંદ્ર નાદરની આ વર્ષે ૧૬ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી અને જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. તેમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ એ જ સરનામે રહે છે અને તેમના અગાઉના વકીલે તેમને કહ્યું હતું કે કેસ બંધ છે, તેથી તેઓ અગાઉ કોર્ટમાં હાજર થયા ન હતા.
ADVERTISEMENT
ફરિયાદ પક્ષનો કેસ એવો હતો કે, ૧૨ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ એક પોલીસ કોન્સ્ટેબલ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. ત્યારે તેમને ખબર પડી કે સવારે લગભગ દસ વાગ્યે ૪૦થી ૫૦ લોકો તોફાન કરવા અને આગ લગાવવા માટે એકઠા થયા હતા.
ન્યુ બોમ્બે બેકરીમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા પેટ્રોલિંગ પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. પોલીસને જોઈ તેઓ ભાગી ગયા હતા. તેનો પીછો કરવામાં આવ્યો હતો પરંતુ તેમને પકડી શકાયા ન હતા. આ અંગે ભાંડુપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
તપાસ પૂર્ણ થયા બાદ આરોપી હરીશ ચંદ્ર નાદરની સહિત ચાર આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. બે આરોપી આનંદકુમાર નાદર અને શશિ તિવારી હજુ ફરાર છે. ચોથા આરોપી સામેનો કેસ બાજુ પર રાખવામાં આવ્યો હતો. પરંતુ પુરાવાના અભાવે તેને પણ વર્ષ ૨૦૦૧માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.
ફરિયાદ પક્ષે આરોપીનો ગુનો સાબિત કરવા માટે માત્ર બે સાક્ષીઓની તપાસ કરી હતી. ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદની સામગ્રીનો પુનરોચ્ચાર કર્યો અને જણાવ્યું કે જ્યારે તે સ્થળ પર પહોંચ્યો ત્યારે તેણે બેકરી સળગતી જોઈ.
ટોળામાં ૩૦-૪૦ લોકો હતા જેઓ તેને અને પોલીસ ટુકડીને જોઈને વિખેરાઈ ગયા હતા. તેણે તેમનો પીછો કર્યો પરંતુ તેઓ ભાગવામાં સફળ રહ્યા. ફરિયાદ પક્ષનો બીજો સાક્ષી એક માણસ હતો જેનું ઘર રમખાણોમાં બળી ગયું હતું. તેણે કહ્યું કે તેનું ઘર બેકરીના જ પરિસરમાં છે. કોમી રમખાણોને કારણે તેણે કહ્યું કે તે તેના ગામ ગયો હતો. તેના મિત્રએ તેને ફોન કર્યો અને કહ્યું કે રમખાણોમાં તેનું ઘર બળી ગયું છે. તેણે આવીને જોયું તો તેનું ઘર બળી ગયું હતું અને તેમાં રાખેલી બધી વસ્તુઓ નાશ પામી હતી.
ન્યાયાધીશે કહ્યું કે, આ બે સાક્ષીઓના પુરાવાથી આરોપી સામે કોઈ ગુનો સાબિત થતો નથી. ન્યાયાધીશે એમ પણ કહ્યું કે, આ બે સાક્ષીઓએ સમજાવ્યું નથી કે આરોપીને ગુનામાં કેવી રીતે ફસાવવામાં આવ્યો. તેથી, તે સાબિત થયું નથી કે આરોપી હુલ્લડ કરવા માટે ગેરકાયદેસર એસેમ્બલીનો ભાગ હતો અને તેણે બેકરીને આગ લગાવી હતી.