પાકિસ્તાન ઘૂંટણિયેઃ ભારત સાથે વાતચીત કરવા તૈયાર
ઈમરાન ખાન
જમ્મુ અને કાશ્મીરથી આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદથી ઊકળી ઊઠેલા પાકિસ્તાને હવે ભારતની સાથે વાતચીતની રજૂઆત કરી છે. છેલ્લા થોડાક દિવસોથી યુદ્ધ અને પરમાણુ યુદ્ધની બોદી ધમકીઓ આપી રહેલા પાકિસ્તાનની સાન ઠેકાણે આવતી લાગી રહી છે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય દ્વિપક્ષીય સ્તરે ભારતની સાથે વાતચીતના વિચારનો વિરોધ નથી કર્યો. કુરેશીએ કહ્યું કે, અમે ક્યારેય વાતચીત માટે ના નથી પાડી, જોકે અમને ભારત દ્વારા ઊભા કરવામાં આવેલા માહોલમાં વાતચીતની શક્યતા નથી લાગતી.
ADVERTISEMENT
આ મુદ્દે બહારના હસ્તક્ષેપ વિશે વાત કરતાં કુરેશીએ કહ્યું કે, આ મુદ્દા પર કોઈ પણ બહારના હસ્તક્ષેપની ખૂબ સરાહના કરવામાં આવશે.
કુરેશીએ ભલામણ કરી કે, જમ્મુ-કાશ્મીરમાં ધરપકડ કરાયેલા રાજનેતાઓની મુક્તિ બાદ રાજકીય નેતૃત્વ દ્વારા ભારતની સાથે વાતચીત શરૂ કરી શકાય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીર મુદ્દે ત્રણ પક્ષ પાકિસ્તાન, ભારત અને કાશ્મીરના લોકો છે.
આ પણ વાંચો : આજથી ભારતીયોના સ્વિસ બૅન્કનાં ખાતાંની વિગતો મળશે
આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કાશ્મીરના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ગઈ છે. દુનિયા કાશ્મીરને નજરઅંદાઝ ન કરી શકે. આપણે સૌ ખતરામાં છીએ. જો દુનિયા કાશ્મીર અને ત્યાંના નાગરિકો પર અત્યાચારને રોકવા માટે આગળ નહીં આવે તો તેનું પરિણામ સમગ્ર વિશ્વને ભોગવવું પડશે. બે પરમાણુ શક્તિથી સંપન્ન દેશ વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની ગઈ છે.