ટીવી કપલ માનિની ડે અને મિહિર મિશ્રાના 16 વર્ષના લગ્ન સંબંધનો અંત
માનિની ડે અને મિહિર મિશ્રા (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
'જસ્સી જૈસી કોઈ નહીં' અને 'C.I.D' ફૅમ ટેલિવિઝન અભિનેત્રી માનિની ડે અને 'સંજીવની' અને 'ઈશ્ક મેં મરજાવા' ફૅમ ટેલિવિઝન અભિનેતા મિહિર મિશ્રાના 16 વર્ષના લગ્ન સંબંધનો અંત આવી ગયો છે. આ બાબતની પુષ્ઠિ અભિનેત્રીએ પોતે કરી છે. માનિનીએ કહ્યું હતું કે, હવે તેમના રસ્તાઓ બદલાઈ ગયા છે. માનિની અને મિહિરે 2004માં લગ્ન કર્યા હતા અને તેમને 21 વર્ષની દીકરી પણ છે. અત્યારે માનિની દીકરી સાથે મુંબઈમાં રહે છે અને મિહિર પુનામાં માતા-પિતા સાથે રહે છે.
મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યુમાં માનિનીએ કહ્યું હતું કે, લગ્ન અન્ય સંબંધ જેવો જ છે. લગ્નમાં પણ ચઢાવ-ઊતાર આવી શકે છે. આ વાત સાચી છે કે હું અને મિહિર છ મહિનાથી અલગ રહીએ છીએ. અમારા અલગ થવાનું કારણ ઘણું જ અંગત છે. અમે અમારા પવિત્ર સંબંધને માન આપીએ છીએ. અમે આ સંબંધને બેસ્ટ આપ્યું પરંતુ જે પરિણામ આવ્યું છે તે અમારા હાથમાં નહોતું. અમે એકબીજાને પ્રેમ કરતાં હતાં અને એકબીજાની કાળજી રાખતા હતાં. અમે પહેલાં મિત્ર બન્યા અને પછી જીવનસાથી. જ્યારે અમે લગ્ન કર્યાં ત્યારે લોકો એમ કહેતા કે અમારા લગ્ન અઠવાડિયું પણ નહીં ટકે. પરંતુ અમે આ વાત ખોટી પાડી. પણ અત્યારે પરિસ્થિતિ જુદી છે. જીવનને જોવાનો અમારો દ્રષ્ટિકોણ અલગ છે. અમરા રસ્તાઓ અલગ થઈ ગયા છે.
ADVERTISEMENT
માનિનીએ એમ પણ કહ્યું હતું કે, હું મિહિર માટે પ્રાર્થના કરું છું. અમારા આ 16 વર્ષ બહુ પ્રેમથી પસાર થયા છે. હું મીડિયાને વિનંતી કરું છું કે અમારી પ્રિવસીનું ધ્યાન રાખે.