SSR કેસ:આ 7 સેલેબ્ઝને 21 ઓક્ટોબરે મુઝફ્ફરપુર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ
કરણ જોહર, એકતા કપૂર, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધનને ચાર મહિના થઈ ગયા છે. આ કેસમાં દરરોજ કોઈ નવો વળાંક આવે છે. હેવ આ કેસમાં બિહારની મુઝફ્ફરપુર કોર્ટે સાત બૉલીવુડ સેલેબ્સને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. અહેવાલ પ્રમાણે, જજ રાકેશ માલવીયે કરણ જોહર (Karan Johar), આદિત્ય ચોપરા (Aditya Chopra), સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali), સાજિદ નડિયાદવાલા (Sajid Nadiadwala), એકતા કપૂર (Ekta Kapoor), ભૂષણ કુમાર (Bhushan Kumar) અને દિનેશ વિજન (Dinesh Vijan)ને 21 ઓક્ટોબરના રોજ તેઓ જાતે કોર્ટમાં હાજર રહે અથવા તો વકીલને નિવેદન નોંધાવવા માટે મોકલે તેવો આદેશ આપ્યો છે.
આ પહેલા કોર્ટે સલમાન ખાન (Salman Khan) સહિતના સેલેબ્સને સાત ઓક્ટોબરના રોજ સુનાવણીમાં હાજર રહેવાનું કહ્યું હતું. તે સમયે સલમાનના વકીલ સાકેત તિવારીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પરંતુ અન્ય કોઈ સેલેબ્સ હાજર રહ્યાં નહોતા અને તેમના વકીલ પણ આવ્યા નહોતા. હવે કોર્ટે બાકીના સાત સેલેબ્સના એડ્રેસ પર નોટિસ મોકલી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જો તેઓ 21 ઓક્ટોબરના રોજ સુનાવણીમાં હાજર રહેશે નહીં તો એકપક્ષીય આદેશ આપી દેવામાં આવશે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, 17 જૂનના રોજ મુઝફ્ફરપુરના વકીલ સુધીર કુમાર ઓઝાએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આઠ લોકો વિરુદ્ધ કેસ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સુધીરે પોતાની અરજીમાં સલમાન ખાન સહિત આઠ લોકો પર આરોપ મુક્યો હતો કે, આ તમામે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.
સુધીરનો આક્ષેપ છે કે, સુશાંત સિંહ રાજપૂતને અંદાજે સાત ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેની કેટલીક ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવી નહોતી. આ બધી વાતોથી દુઃખી થઈને સુશાંતે આત્મહત્યાનું પગલું ભર્યું હતું. સુધીરે આ તમામ પર IPCની કલમ 360, 109, 504 તથા 506 હેઠળ કેસ કરવાની અપીલ કોર્ટમાં કરી છે.