રવીના ટંડન, ફારાહ ખાન અને ભારતી સિંહે ક્રિશ્ચયન સમુદાય પાસે માગી માફી
રવીના ટંડન અને ફારાહ ખાન
ક્રિશ્ચયન સમુદાયની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ રવીના ટંડન, ફારાહ ખાન અને ભારતી સિંહે તેમની માફી માગી લીધી છે. એક કાર્યક્રમમાં તેમણે ધાર્મિક લાગણી દુભાવી હોવાને કારણે અમ્રિતસરમાં આ ત્રણેય વિરુદ્ધ પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે રવીનાએ પહેલાં પણ માફી માગી લીધી હતી. રવીના અને ફારાહ ખાને આ પ્રકરણની સંવેદનાને જોતા રૉમન કૅથલિક ચર્ચનાં કાર્ડિનલ સાથે મુલાકાત કરી હતી. સાથે જ તેમણે માફી પણ માગી હતી. આ વિશે ફારાહ ખાને કહ્યું હતું કે ‘અમે માનનિય કાર્ડિનલ ઑસ્વલ્ડ ગ્રેશિયસ સાથે મુલાકાત કરી હતી. અમે તેમની પાસે માફી માગી અને વિનંતી કરી કે અમારી ભુલને માફ કરવામાં આવે. તેમણે વિનમ્રતા દાખવતા અમારી માફીનો સ્વીકાર કર્યો હતો. સાથે જ તેમણે આ મુદ્દાને વધુ ઉછાળવામાં ન આવે એવુ પણ નિવેદન આપ્યુ હતું.’
સોશ્યલ મીડિયા પર જે વિડિયોને કારણે આ આખો વિવાદ ચગ્યો હતો, એ વિડિયોને પણ હટાવવામાં આવ્યો છે. ભારતી સિંહ હાલમાં ભારતથી બહાર છે. આ મુદ્દા વિશે માફી માગતા ટ્વિટર પર ભારતી સિંહે ટ્વીટ કર્યું હતું કે ‘મારા ક્રિશ્ચયન ભાઈઓ અને બહેનોની લાગણીને ઠેસ પહોંચાડવા બદલ હું દિલથી માફી માગુ છું. માનનિય કાર્ડિનલ ઑસ્વલ્ડ ગ્રેશિયસનો આભાર કે તેમણે પર્સનલી મારી માફીની વૉઇસ નોટ સાંભળી અને મને માફી આપી.’