રણદીપ હૂડાની ‘સ્વાતંય વીર સાવરકર’ ફિલ્મ બાવીસ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે
રણદીપ હૂડા
રણદીપ હૂડાની ‘સ્વાતંય વીર સાવરકર’ ફિલ્મ બાવીસ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ માટે રિસર્ચ કરતી વખતે તેને જાણ થઈ કે તેમના વિશે સ્કૂલમાં આવું કંઈ નહોતું શીખવાડવામાં આવ્યું. આ ફિલ્મને તેણે ડિરેક્ટ કરી છે. ૧૮૮૩ની ૨૮ મેએ જન્મેલા વિનાયક દામોદર સાવરકર વિશે રણદીપે કહ્યું કે ‘વીર સાવરકર પર આધારિત આ ફિલ્મની સ્ટોરી ૧૮૯૭થી ૧૯૫૦ના સમયની છે. તેમના વિશે ફેલાયેલી ખોટી માહિતીને મેં નીડરતાથી હૅન્ડલ કરી છે. આ ફિલ્મ જ્યારે મારી પાસે આવી તો મને એહસાસ થયો કે હું તેમના જેવો નથી દેખાતો. એથી મેં મારું વજન ઘટાડ્યું હતું. મેં જ્યારે તેમના વિશે સ્ટડી કરવાની શરૂઆત કરી તો મને જાણ થઈ કે મને તો માત્ર એટલી જ ખબર છે કે તેમને કાળા પાણીની સજા મળી હતી. સાથે જ તેમની સાથે જોડાયેલી એવી ઘણીબધી બાબતો હતી જે નથી સ્કૂલમાં શીખવાડવામાં આવી કે નથી જાહેરમાં કહેવામાં આવી. તેમનું નામ આવતાં જ લોકો વિવાદ વિશે ચર્ચા કરવા માંડે છે. મને ખૂબ ગુસ્સો આવતો હતો અને આ ફિલ્મ બનાવવાનું મેં નક્કી કર્યું. મારા અનેક શુભચિંતકોએ મને જણાવ્યું કે હું સારો આર્ટિસ્ટ છું અને જો હું આ ફિલ્મ બનાવીશ તો લોકો મને કોઈ ચોક્કસ પૉલિટિકલ પાર્ટી કે કોઈ પૉલિટિકલ વિચારધારા સાથે જોડી દેશે. આમ છતાં મેં આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ ફિલ્મ દ્વારા હું દર્શકોને સત્ય જણાવીશ.’