તમે સવારે જાગો ત્યારે તમારી પાસે ધ્યેય હોય તો જાગતાંની સાથે તમારામાં ફ્રેશ એનર્જી આવી જાય છે.
મારી વાત
પ્રતીકાત્મક તસવીર
અત્યારે હું ૭૪ વર્ષનો છું, પણ જો આ બાબતે કોઈ મારી સાથે વાત કરે તો હું એમ જ કહું કે હું ૭૪ વર્ષનો અનુભવી છું. તમે ચીજવસ્તુ ખરીદી શકો, અનુભવ નહીં. એ તો તમારે તમારી જાતે જ મેળવવા પડે. આપણે ત્યાં બધા એવું માને છે કે ૫૦-૬૦ વર્ષના થઈ ગયા એટલે હવે આપણી વૅલ્યુ નથી, પણ તમે હૉલીવુડમાં જુઓ, ત્યાં તમે જેમ મોટા એમ તમારી વૅલ્યુ વધતી જાય. કારણ કે એ વ્યક્તિ પાસે અનુભવ છે. અનુભવ માટે તમારે સમય આપવો પડે અને સમય આપ્યા પછી તમારે એની સાથે ઘડાવું પડે. મારા પિતાશ્રીની નાટક-કંપની હતી, હું વાત કરું છું ૭૦-૮૦ વર્ષ પહેલાંની. તેમની નાટક-કંપનીના જ નાટક ‘છોરું કછોરું’થી મેં ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી, જે આજ સુધી અકબંધ રહી છે. ઉંમરે મને ક્યાંય અટકવા નથી દીધો, બીમારી કે નાદુરસ્તીએ મને ક્યાંય રોક્યો નથી. કારણ કે મેં ઉંમરનાં આ જે બધાં વર્ષો હોય છે એને આંકડા તરીકે જ જોયાં છે. હું પર્સનલી માનું છું કે માણસ જ્યારે નવું શીખતો અટકી જાય ત્યારે તે બુઢ્ઢો થવા માંડે છે.
નવું શીખતાં ક્યારેય અટકો નહીં. જો તમને ખબર ન હોય તો કહું કે રવીન્દ્રનાથ ટાગોરે ૬પ વર્ષની ઉંમરે મ્યુઝિક શીખવાનું શરૂ કર્યું હતું. નવું શીખવાની તૈયારી હોય તો ફ્રેશનેસ અને એનર્જી આપોઆપ આવી જાય. રિટાયરમેન્ટની જે સરકારી ઉંમર છે એ ઉંમરને જીવનના રિટાયરમેન્ટની ઉંમર માનવાની જરૂર નથી. હકીકતમાં તો એ ઉંમર જીવન જીવવાની સેકન્ડ ઇનિંગ્સ જેવી છે. એનો લાભ લો અને નાના બાળક બનીને એ બધું શીખવાનું શરૂ કરો જે તમને આવડતું નથી. મને આ ઉંમરે પણ વિડિયો-બ્લૉગ બનાવવાનું મન થાય છે અને હું એ શીખું છું, પણ મારાં શૂટિંગ ચાલુ હોય એટલે શીખવાની એ પ્રક્રિયા થોડી ધીમી ચાલે છે, પણ જો મને સમય મળશે તો હું મારું એ કામ પણ શરૂ કરીશ અને એ સિવાય પણ મારા બીજા એવા શોખ છે જેને હું આગળ વધારવાનો છું.
ADVERTISEMENT
તમે સવારે જાગો ત્યારે તમારી પાસે ધ્યેય હોય તો જાગતાંની સાથે તમારામાં ફ્રેશ એનર્જી આવી જાય છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં આટલી એનર્જી શું કામ છે એ વિચાર્યું છે ક્યારેય? એક વખત વિચારશો તો તમને સમજાશે કે તેઓ હજી ઘણું બધું કરવા માગે છે એટલે તેમની હાલચાલમાં આ એનર્જી દેખાય છે. આપણે પણ એ જ છીએ અને એવા જ છીએ. બસ, કરવાનું એટલું છે કે આપણી પાસે સવારે જાગ્યા પછી શું કરવું એ વાતનો ગોલ હોય.
અહેવાલ : ફિરોઝ ઈરાની