અભિનેત્રી આયેશા ખાને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને દાવો કર્યો કે મુંબઈ પોલીસે કોઈ હોબાળો કે વિરોધ કર્યા વગર માત્ર રસ્તા પર ઊભી હોવા છતાં તેની અટકાયત કરી હતી. તેણે કહ્યું કે વરલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, પરંતુ અટકાયતનું કારણ જણાવાયું નથી.
આયેશા ખાન
‘ધુરંધર’ ફિલ્મથી ‘શરારત ગર્લ’ તરીકે લોકપ્રિય થનાર ઍક્ટ્રેસ આયેશા ખાને સોશ્યલ મીડિયા પર અનેક વિડિયો શૅર કરીને દાવો કર્યો હતો કે મુંબઈ પોલીસે તેની અટકાયત કરી છે. એક વિડિયોમાં તેણે કહ્યું હતું કે ‘મારા હાથ ખરેખર ધ્રૂજી રહ્યા છે. હું માત્ર રસ્તા પર શાંતિથી ઊભી હતી, છતાં મને પોલીસ વૅનમાં બેસાડી અટકાયત કરવામાં આવી છે. મેં કોઈ વિરોધ-પ્રદર્શન શરૂ કર્યું નહોતું. મારા ભાઈ અને કેટલાક પુરુષ મિત્રોને પોલીસ દ્વારા દાદરમાં વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનમાં ટેકો આપવા બદલ અટકાયતમાં લેવામાં આવ્યા હોવાથી હું માત્ર રસ્તા પર ઊભી રહીને પરિસ્થિતિ સમજી રહી હતી. દુર્ભાગ્યે મને વૅનમાં બેસાડવા ચાર મહિલા પોલીસકર્મીઓની જરૂર પડી પણ હું ફરી એ જ સવાલ પૂછું છું... શા માટે? શું મેં કોઈ હોબાળો કર્યો હતો? શું મેં કોઈ ચર્ચા પણ શરૂ કરી હતી? માત્ર રસ્તા પર ઊભી રહેવા બદલ મારી અટકાયત કેમ? હું તો વિરોધ કરી રહેલા લોકોના જૂથમાં પણ સામેલ નહોતી.’
આયેશાએ દાવો કર્યો કે તેને જબરદસ્તી વૅનમાં બેસાડીને વરલી પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવી. જોકે તેણે વરલી
પોલીસ-સ્ટેશનના પોલીસકર્મીઓના વર્તનની પ્રશંસા પણ કરી હતી પણ સાથે એ પણ કહ્યું કે તેની અટકાયત શા માટે કરવામાં આવી એ પ્રશ્નનો જવાબ તેને હજુ સુધી મળ્યો નથી.
