ગણેશ ગલીમાં બિરાજ્યા કરકમળ પર અષ્ટભુજાવાળા બાળગણેશ
ગણેશ ગલીના મુંબઈચા રાજાનાં પ્રથમ દર્શન અને વૈષ્ણવાચી વારી થીમની સજાવટ.
ઈશ્વરના મેઘવર્ણ હાથ, એ હાથમાં શોભાતું ગુલાબી કમળ અને એ કમળ પર એક પગના અંગૂઠા પર ઊભેલી શ્રી વિનાયકની પરંપરાગત ધોતી પહેરેલી બાળસ્વરૂપની અષ્ટભુજાવાળી રમણીય અને હૃદયને ભક્તિથી ભરી દે એવી મૂર્તિ તથા આકાશના આંબતા હોય, વાદળ જાણે શ્રી ગજાનનને માર્ગ આપતા હોય એ રીતનું પાછળ કરેલું ડેકોરેશન. ગણેશ ગલીના લાલબાગ સાર્વજનિક ઉત્સવ મંડળના મુંબઈચા રાજાએ ૯૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને દર વર્ષની જેમ બાવીસ ફુટ ઊંચી બૅલૅન્સિંગ ગણેશમૂર્તિની સ્થાપના કરી છે. રવિવારે મુંબઈચા રાજાનાં પ્રથમ દર્શન કરાવવામાં આવ્યાં હતાં.
આ અષ્ટભુજામાં બાળગણેશના હાથોમાં જે વસ્તુઓ છે એનું પણ મહત્ત્વ મુંબઈચા રાજાના ગણેશમંડળના પ્રતિનિધિએ સમજાવ્યું હતું. આ સ્વરૂપ વૈષ્ણવ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરતું હોવાથી ગણેશજીના હાથમાં શંખ અને ચક્ર છે તથા કાગને સંદેશવાહક અને દૂત માનવામાં આવે છે એટલે એને પણ એક હાથમાં દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત નવી પેઢી મૂર્તિ સાથે કનેક્ટ કરી શકે એ માટે જેન-ઝી દ્વારા પહેલી આંગળી અને અંગૂઠાથી બનાવવામાં આવતી હાર્ટની ‘સારંઘે’ સાઇન પણ ગણપતિબાપ્પા કરે છે. આશીર્વાદ આપતા વરદ હસ્ત તો છે જ. સાથે મુંબઈચા રાજાની મૂર્તિની વિશિષ્ટતા તેમના ડાબા હાથમાં પકડેલું મોરપીંછ છે. ગયા વર્ષે આ હાથમાં બાપ્પાએ જાસૂદનું ફૂલ પકડ્યું હતું. બાપ્પાએ પહેરેલા લાંબા સોનાના હારે પણ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
મંડપમાં વીણા અને સિતાર જેવાં પારંપરિક ભારતીય સંગીત વાદ્યોએ પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ વર્ષે પંડાલની થીમ પણ વૈષ્ણવાચી વારીની રાખવામાં આવી છે અને એટલે જ સારંગપાણીના મહાભક્ત ગરુડ ભગવાનની વિશાળ પ્રતિમા, વિઠ્ઠલ-રકુમાઈના વિગ્રહ તથા ગોરા કુંભાર જેવા શ્રી હરિ-કૃષ્ણના ભક્તોની વાર્તા સમજાવતી કલાકૃતિઓ-ડેકોરેશન કરવામાં આવ્યું છે. વિઠોબાના પરચા મળ્યા હોય એવા ભક્તોના કિસ્સાઓ દર્શાવતું ડેકોરેશન પંડાલમાં કરવામાં આવ્યું છે અને આમ કરીને આ વર્ષે મુંબઈચા રાજાએ ફક્ત ગણેશભક્તો જ નહીં, ભગવાન વિઠ્ઠલના ભક્તોનાં દિલ પણ આ વર્ષે જીતી લીધાં છે. પંડાલમાં સંત જ્ઞાનેશ્વર, સંત તુકારામ આ બધા સંતોની મૂર્તિઓ પણ મૂકવામાં આવી છે.
