આ ફિલ્મની સ્ટોરી ફેમસ લેખક ઉલ્લેખ એનપીની બુક ‘ધ અનટોલ્ડ વાજપેયી : પૉલિટિશ્યન ઍન્ડ પૅરાડોક્સ’ પરથી લેવામાં આવી છે
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિકમાં પ્રકાશ પાડવામાં આવશે તેમની જાણી-અજાણી બાબતો પર
દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બાયોપિક ‘મૈં રહૂં યા ના રહૂં, યે દેશ રહના ચાહિયે - અટલ’માં તેમના રાજકીય અને વ્યક્તિગત જીવન પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મમાં અટલ બિહારી વાજપેયીનું પાત્ર કોણ ભજવશે એની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ફિલ્મની સ્ટોરી ફેમસ લેખક ઉલ્લેખ એનપીની બુક ‘ધ અનટોલ્ડ વાજપેયી : પૉલિટિશ્યન ઍન્ડ પૅરાડોક્સ’ પરથી લેવામાં આવી છે. આ ફિલ્મને વિનોદ ભાનુશાલી અને સંદીપ સિંહ અન્ય પ્રોડ્યુસર્સ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. અટલ બિહારી વાજપેયીની પ્રશંસા કરતાં વિનોદ ભાનુશાલીએ કહ્યું કે ‘મારી લાઇફમાં હું અટલજીથી ખૂબ પ્રભાવિત થયો છું. તેઓ એક જન્મજાત નેતા, એક ઉત્કૃષ્ટ રાજનેતા અને દૂરદર્શી હતા. શ્રી અટલ બિહારી વાજપેયીજી બધાથી પરે હતા. દેશના વિકાસમાં તેમણે આપેલું યોગદાન અતુલનીય રહ્યું છે. અમારું આ સન્માન છે કે ભાનુશાલી સ્ટુડિયોઝ તેમના આ વારસાને સ્ક્રીન પર લાવી રહ્યો છે.’
તો બીજી તરફ પોતાના વિચાર વ્યક્ત કરતાં સંદીપ સિંહે કહ્યું કે ‘એક ફિલ્મમેકર હોવાથી હું માનું છું કે આવી સ્ટોરી લોકો સુધી પહોંચાડવા માટે સિનેમા ઉત્તમ માધ્યમ છે. એના દ્વારા ન માત્ર તેમના રાજકીય વિચારોને અને તેમનાં માનવીય અને કાવ્યાત્મક પાસાંને પણ દેખાડવામાં આવશે. આ જ કારણ છે કે તેઓ વિપક્ષના અને દેશના સૌથી લોકપ્રિય અને વિકાસશીલ વડા પ્રધાન બન્યા હતા.’