મહારાષ્ટ્રમાં જરૂર હોવાથી લોકસભાની ટિકિટ કાપી
રાજેન્દ્ર ગાવિત
પાલઘરના શિવસેનાના સંસદસભ્ય રાજેન્દ્ર ગાવિત ગઈ કાલે ફરી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. કૉન્ગ્રેસ, BJP, શિવસેના અને હવે ફરી BJP એમ સાત વર્ષમાં તેમણે ચોથી વખત પક્ષ બદલ્યો છે. મહાયુતિમાં લોકસભાની પાલઘર બેઠક BJPને ફાળવવામાં આવ્યા બાદ રાજેન્દ્ર ગાવિતની ટિકિટ કાપીને અહીં BJPએ આદિવાસી નેતા ડૉ. હેમંત સાવરાને ઉમેદવારી આપી છે. આ નિર્ણયથી રાજેન્દ્ર ગાવિત નારાજ હોવાની ચર્ચા હતી. ગઈ કાલે BJPના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની હાજરીમાં BJPમાં રાજેન્દ્ર ગાવિતનો પ્રવેશ થયો હતો. આ સમયે શા માટે રાજેન્દ્ર ગાવિતની લોકસભાની ટિકિટ કાપવામાં આવી એ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘રાજેન્દ્ર ગાવિત સંસદસભ્ય હોવા છતાં તેમની દિલ્હીને બદલે મહારાષ્ટ્રમાં વધુ જરૂર હોવાથી પક્ષે તેમને લોકસભાની ટિકિટ ન આપવાનો નિર્ણય લીધો છે. ૨૦૧૮માં લોકસભાની પેટાચૂંટણી અને ૨૦૧૯ની શિવસેના સાથેની યુતિની ચૂંટણીમાં તેઓ ચૂંટાઈ આવ્યા હતા. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પાલઘરની બેઠક અને ઉમેદવારની માગણી કરી હતી. અમે રાજેન્દ્ર ગાવિતને આ વાત કરતાં તેમણે સંમતિ આપતાં તેઓ શિવસેનામાં જોડાયા હતા. બાદમાં તેઓ એકનાથ શિંદે જૂથની શિવસેના સાથે ગયા હતા. અમે ફરી તેમને વિનંતી કરી હતી કે BJPમાં આવી જાઓ એટલે તેઓ અમારી સાથે જોડાયા છે.’