ઇન્ડિયાબુલ્સ સામે ૯૮,૦૦૦ કરોડ રૂપિયાની ગેરરીતિનો કેસ
ઈન્ડિયાબુલ્સ સામે કેસ
ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ સામે સુપ્રીમ ર્કોટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી અનુસાર કંપનીના ચૅરમૅન અને ડિરેક્ટર્સ દ્વારા ૯૮,૦૦૦ કરોડ રૂપિયાની રકમની ગેરરીતિ આચરવામાં આવી છે. ફરીયાદીએ અરજીમાં આક્ષેપ કર્યો છે કે કંપનીના ચેરમેન સમીર ગેહલૌત અને અન્ય ડિરેક્ટર્સ દ્વારા વ્યક્તિગત રીતે કંપનીનાં નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે ઇન્ડિયાબુલ્સના ગેહલૌત અને સ્પેનસ્થિત એક નાગરિકની મદદ લઈ પોતાની જ શેલ કંપનીઓને ખોટી રીતે લોન આપવામાં આવી છે અને આ સમગ્ર કૌભાંડની તપાસ થવી જોઈએ.
બીજી તરફ, ઇન્ડિયાબુલ્સ દ્વારા આ ફરિયાદને મનઘડંત ગણાવવામાં આવી છે. કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે કંપનીએ આપેલી કુલ લોન રૂ. ૯૦,૦૦૦ કરોડ હોય ત્યારે રૂ. ૯૮,૦૦૦ કરોડની રકમની ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ જ પાયાવિહીન છે. કંપનીએ પોતાનો પક્ષ રાખતા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે કેટલીક ચોક્કસ વ્યક્તિઓ અમને બ્લૅકમેઇલ કરી રહી છે. અમે જો રૂ. ૧૦ કરોડની રકમ તેમને ચૂકવીશું નહીં તો અમારી સામે રૂ. ૫૫,૦૦૦ કરોડનું કૌભાંડ બહાર આવશે એવી ધમકી આપી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: શૅરમાં જોખમ લેવાની વૃત્તિ વધતાં સોનાના ભાવ એક સપ્તાહની નીચી સપાટીએ
આ અંગે પોલીસ ફરિયાદ થઈ છે અને કથિત આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. કંપની દ્વારા દેશના દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે અને આ અંગે કાયદા ઉપર વિશ્વાસ છે. જોકે, આ સમાચાર બહાર આવ્યા પછી ઇન્ડિયાબુલ્સ જૂથની કંપનીઓના શૅરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.