IND VS NZ:ત્રીજી વન ડેમાં 7 વિકેટે ભારતનો વિજય
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ત્રીજી વન ડેમાં હરાવીને સિરીઝ જીતી લીધી છે. પહેલી ત્રણ વન ડે જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પર પણ કબજો જમાવ્યો છે.
ત્રીજી વન ડે જીતીને ભારતે ઈતિહાસ રચી લીધો છે. આ મેચ જીતવાની સાથે જ વિરાટ સેનાએ વન ડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. પાંચ વન ડેની સિરીઝમાં ટીમ ઈન્ડિયા હવે 3-0થી આગળ છે. આ મેચ જીતવાની સાથે જ ભારતે 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી છે. ક્રિકેટ ઈતિહાસમાં માત્ર બીજી વખત ભારત ન્યૂઝીલેન્ડમાં વન ડે સિરીઝ જીત્યું છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયા 1976ના વર્ષથી ન્યૂઝીલેન્ડમાં દ્વિપક્ષીય સિરીઝ રમી રહી છે. ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ વચ્ચે આ 8મી દ્વિપક્ષીય વન ડે હતી. આ પહેલા ભારત માત્ર એક જ વખત ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી શક્યું છે. માર્ચ, 2009માં ટીમ ઈન્ડિયા 5 વન ડેની સિરીઝ 3-1થી જીત્યું હતું.
આ પહેલા ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.
જવાબમાં બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમે પહેલી વિકેટ ઝડપથી ગુમાવી હતી. 39 રનના સ્કોરે જ શિખર ધવનને બોલ્ટે પેવેલિયન ભેગા કરી દીધા. પરંતુ કપ્તાન કોહલી અને રોહિત શર્માની જોડીએ ટીમ ઈન્ડિયાની ઈનિંગને સંભાલી. રોહિત શર્મા 62 અને વિરાટ કોહલી 60 રનના સ્કોરે આઉટ થયા હતા.